

મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના રહેવાસીઓમાં આગથી સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવા હેતુસર અગ્નિશમન શાખા દ્વારા તા. ૦૧/૦૭/૨૦૨૫ થી ૦૭/૦૭/૨૦૨૫ દરમિયાન વિવિધ ફાયર ટ્રેનિંગ અને ફાયર પ્રિવેન્શનના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

આ સમયગાળામાં મોરબીના ૨ કોલેજોમાં કુલ ૪૬૩ વિદ્યાર્થીઓને અને ૨ શાળાઓમાં કુલ ૧૧૩૦ બાળકોને ફાયર સેફટીની તાલીમ આપવામાં આવી હતી. તાલીમમાં અગ્નિથી થતા જોખમો, ફાયર એક્ઝિટ પદ્ધતિ, અગ્નિશમન સાધનોનો ઉપયોગ અને ઈમરજન્સી સમયગાળામાં કરવાના પગલાં અંગે વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું.

આ ઉપરાંત, શહેરની વિવિધ કોમ્પ્લેક્સ, સમાજવાડી, ઉદ્યોગો સહિતની મહત્વપૂર્ણ બિલ્ડીંગોમાં ફાયર સેફટી સર્ટિફિકેટ ચેકિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. જેને ફાયર NOC ન હોય તેવી બિલ્ડીંગોને નોટિસ આપવામાં આવી હતી અને ફાયર પ્રિવેન્શન માટે જરૂરી સૂચનાઓ અને ગાઈડલાઈન આપવામાં આવી હતી.

મહત્વપૂર્ણ રીતે, મોરબી શહેરમાં તાજેતરમાં બે આગ લાગવાના બનાવો બન્યા હતા. જેમાં મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસે સમયસૂચકતા દાખવી ત્વરિત ઘટનાસ્થળે પહોંચી જઈને ઈમરજન્સી સેવા આપી હતી અને વધુ નુકશાન થતું અટકાવ્યું હતું.

મહાનગરપાલિકાની આ કામગીરીનો મુખ્ય હેતુ શહેરના નાગરિકોમાં ફાયર સેફટી અંગે જાગૃતિ લાવવી, આગ જેવી આપત્તિ સમયે ત્વરિત પ્રતિસાદ આપવાનો પ્રેરણા આપવી અને જાન-માલની હાની અટકાવવી છે.
શહેરમાં આગ લગતી કોઈ પણ ઘટના બન્યે તાત્કાલિક મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસનો સંપર્ક ૦૨૮૨૨ ૨૩૦૦૫૦ અથવા ૧૦૧ પર કરી શકાય છે.
























