
જો તમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI)નો ઉપયોગ કરીને ફેક ન્યૂઝ કે ફેક વીડિયો ફેલાવતા હોય તો હવે તમે મુશ્કેલીમાં મૂકાઈ શકો છે. વાસ્તવમાં બુધવારે સંસદમાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે, જેમાં કડક કાયદો ઘડવાની અને ફેક ન્યૂઝ-વીડિયો ફેલનારાઓ વિરુદ્ધ 36 કલાકમાં કાર્યવાહી કરવાનો ઉલ્લેખ કરાયો છે.

ફેક ન્યૂઝ ભારતના લોકતંત્ર માટે મોટો ખતરો
કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભાને જણાવ્યું હતું કે, ‘આ અત્યંત ગંભીર મુદ્દો છે અને ફેક ન્યૂઝ ભારતના લોકતંત્ર માટે મોટો ખતરો ઊભો કરી રહ્યું છે. ખોટી માહિતી અને એઆઇ દ્વારા તૈયાર કરાયેલા ડીપફેક પર કડક કાર્યવાહી કરવાની તાત્કાલિક જરૂર છે.’

કડક પગલાં લેવા અને કાયદાકીય માળખાને વધુ મજબૂત કરવાની જરૂર
અશ્વિની વૈષ્ણવે ચિંતા વ્યક્ત કરી કે, ‘સોશિયલ મીડિયાના ઉપયોગની પદ્ધતિને કારણે એક એવી ઈકોસિસ્ટમ બની ગઈ છે, જે ભારતના બંધારણનું અને સંસદ દ્વારા બનાવેલા કાયદાઓનું પાલન કરવા તૈયાર નથી. આના પર નિયંત્રણ લાવવા માટે કડક પગલાં લેવા અને કાયદાકીય માળખાને વધુ મજબૂત બનાવવાની તાત્કાલિક જરૂરિયાત છે.’

36 કલાકમાં વાંધાજનક કન્ટેન્ટ હટાવવાની વ્યવસ્થા
સંસદમાં એક સવાલના જવાબમાં વૈષ્ણવે કહ્યું કે, ‘સરકારે હાલમાં જ નવા નિયમો લાગુ કર્યા છે, જેમાં 36 કલાકની અંદર વાંધાજનક કન્ટેન્ટ દૂર કરવાની બાબત સામેલ છે. એઆઇ દ્વારા બનેલા ડીપફેકની ઓળખ કરવા અને તેના પર કાર્યવાહી કરવા માટેના ડ્રાફ્ટ નિયમો પણ બહાર પાડવામાં આવ્યા છે, જેના પર હાલમાં વિચારણા ચાલી રહી છે. ફેક ન્યૂઝના મુદ્દાને હલ કરવા માટે અભિવ્યક્તિની સ્વતંત્રતા અને લોકતંત્રની સુરક્ષા વચ્ચે એક નાજુક સંતુલન જાળવવું જરૂરી છે અને સરકાર આ દિશામાં કામ કરી રહી છે.’





