
ડોનાલ્ડ ટ્રમ્પ એકબાજુ ભારત પર ટેરિફ લગાવે છે તો બીજી બાજુ ભારત પ્રત્યે પ્રેમ પણ બતાવે છે. ત્યારે હવે તેમના આ બેવડા વલણ વચ્ચે અમેરિકા તરફથી ભારત માટે વધુ એક આંચકાજનક અહેવાલ સામે આવયા છે. માહિતી અનુસાર ઈરાનના ચાબહાર પોર્ટ માટે અમેરિકા દ્વારા 2018માં પ્રતિબંધોમાં આપેલી રાહતને રદ કરી દેવામાં આવી છે. એટલે કે આ નિર્ણયની અસર સીધી રીતે ભારત પર થશે કેમ કે આ પોર્ટના ડેવલપમેન્ટ-ઓપરેશન-મેનેજમેન્ટની જવાબદારી ભારતે લીધી હતી.
2003માં ભારતે મૂક્યો હતો પ્રસ્તાવ
જાણકારોનો દાવો છે કે 2003માં ભારતે ચાબહાર પોર્ટનું મેનેજમેન્ટ હાથમાં લેવા પ્રસ્તાવ મૂક્યો હતો. જેની મદદથી ભારતીય વસ્તુઓને ઈન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર પ્રોજેક્ટ દ્વારા પાકિસ્તાનની અવગણના કરતા અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સુધી સરળતાથી પહોંચાડી શકાય.

ઈરાન પર દબાણ લાવવાની રણનીતિ
આ પોર્ટનું સંચાલન ઈન્ડિયા પોર્ટ્સ ગ્લોબલ લિમિટેડ દ્વારા કરવામાં આવે છે જ્યારે તેની માલિકી ઈરાનની પોર્ટ્સ એન્ડ મેરીટાઈમ ઓર્ગેનાઈઝેશન ધરાવે છે. અમેરિકન વિદેશ વિભાગના મુખ્ય ઉપ પ્રવક્તા થોમસ પિગોટે સપ્તાહની શરૂઆતમાં એક નિવેદન જાહેર કરી કહ્યું હતું કે અમેરિકાના પ્રતિબંધોમાં છૂટ આપતો 2018નો આદેશ રદ કરવામાં આવી રહ્યો છે. આ પગલું ઈરાનને એકલો પાડવા માટે મહત્તમ દબાણ વધારવાની પ્રમુખ ટ્રમ્પની નીતિને અનુરૂપ છે. પિગોટે જણાવ્યું હતું કે અમેરિકન વિદેશમંત્રીએ અફઘાનિસ્તાનના પુનર્નિર્માણ સહાય અને આર્થિક વિકાસ માટે ઈરાન ફ્રીડમ એન્ડ નોન-પ્રોલિફરેશન એક્ટ (IFCA) હેઠળ 2018માં જારી કરાયેલ પ્રતિબંધોમાંથી મુક્તિને રદ કરી દીધી છે. આ આદેશ 29 સપ્ટેમ્બર, 2025થી અમલમાં આવશે.

ભારત પર શું અસર થશે?
તેમણે કહ્યું કે એકવાર અમારો આદેશ અમલમાં આવ્યા પછી, ચાબહાર બંદરનું સંચાલન કરનારા અથવા સંબંધિત પ્રવૃત્તિઓમાં સામેલ લોકો પર પ્રતિબંધો લાગી શકે છે. અમેરિકન સરકારના આ નિર્ણયની ભારત પર પણ અસર પડશે કારણ કે તે ઓમાનના અખાતમાં આવેલા ચાબહાર પોર્ટ પર ટર્મિનલના ડેવલપમેન્ટમાં સામેલ છે. ભારતે 13 મે, 2024 ના રોજ બંદરનું સંચાલન કરવા માટે 10 વર્ષના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, જે તેને મધ્ય એશિયા સાથે વેપાર વધારવામાં મદદ કરશે.















