
અમદાવાદ શહેરમાં દોડતી BRTS બસમાં સિનિયર સિટીઝન અને દિવ્યાંગજનો માટે મુસાફરી સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. બસમાં સિનિયર સિટીઝનની મફત મુસાફરી માટે વય મર્યાદામાં ઘટાડો કરવામાં આવ્યો છે. હવે BRTS બસમાં 65 વર્ષ કે તેથી વધુ વયના નાગરિકો મફતમાં મુસાફરી કરી શકશે. અગાઉ બસમાં મુસાફરી માટે 75 વર્ષની વયમર્યાદા હતી, જેમાં હવે ઘટાડો કરીને 65 વર્ષ કરવામાં આવ્યો છે.

સાથે જ, પહેલા 40% રકમ ચૂકવીને મળતા મુસાફરી પાસ પર મુસાફરી કરતા દિવ્યાંગજનો માટે પણ હવે સિટી બસમાં સંપૂર્ણપણે મફત મુસાફરીની વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે, બંને કેટેગરીના લાભાર્થીઓને દર વર્ષે પોતાનો પાસ રીન્યૂ કરાવવો ફરજિયાત રહેશે.

અત્યાર સુધી BRTS બસ સેવા બાબતે ડ્રાઈવરોની બેદરકારીને લઈને અનેક ફરિયાદો મળતી રહી છે. છેલ્લા ચાર વર્ષમાં બસ ડ્રાઈવરો વિરુદ્ધ કુલ 792 ફરિયાદો નોંધાઈ છે. આવી પરિસ્થિતિ વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં પરિવહન અને અન્ય સેવાઓને મજબૂત બનાવવા માટે અંદાજે 2500 કર્મચારીઓની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.


























