Category: All

  • ભારતમાં હવે 7.52 કરોડ લોકો જ ગરીબ : વિશ્વ બેન્કનો રિપોર્ટ

    ભારતમાં હવે 7.52 કરોડ લોકો જ ગરીબ : વિશ્વ બેન્કનો રિપોર્ટ

    ગરીબી રેખાની મર્યાદા પ્રતિ દિન રૂા.240 કર્યા બાદ પણ ગરીબો ઘટયા : શહેરી ગરીબોમાં મોટો ઘટાડો

    જેમ-જેમ રાષ્ટ્ર આગળ વધે છે, તેમ-તેમ ગરીબીના માપદંડોને અપડેટ કરવા અને આર્થિક સમાવેશનને ટકાવી રાખવા એ ખરેખર સમાન અને સમૃદ્ધ સમાજના નિર્માણ માટે ચાવીરૂપ છે. વર્લ્ડ બેન્કે તાજેતરમાં તેની ગરીબી રેખા મર્યાદામાં સુધારો કર્યો છે, તેને 2.15 પ્રતિ દિવસથી વધારીને 3 પ્રતિ દિવસ કરી છે.

    World Bank report આ નવા ધોરણ મુજબ, ભારતમાં અત્યંત ગરીબી રેટમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. વર્લ્ડ બેન્કના ડેટા અનુસાર, 2011-12માં 27.1%નો અત્યંત ગરીબી રેટ 2022-23માં ઘટીને માત્ર 5.3% થયો છે.

    ભારતે (India) છેલ્લા એક દાયકામાં અનેક ક્ષેત્રોમાં પ્રગતિ કરી છે. આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં થયેલી પ્રગતિનું પરિણામ પણ ધીરે-ધીરે જોવા મળી રહ્યું છે. આ જ પ્રગતિના પરિણામ સ્વરૂપ હવે ભારતમાં ગરીબીના પ્રમાણમાં પણ મોટો ઘટાડો (Reduction in poverty) થયો છે. આનો અર્થ એ થયો કે અત્યંત ગરીબીમાં જીવતી વસ્તી 344.47 મિલિયનથી ઘટીને 75.24 મિલિયન થઈ ગઈ છે.

    વર્લ્ડ બેન્કના ગરીબી અને સમાનતા સંબંધિત સંક્ષિપ્ત વિવરણ (PEB) 100 થી વધુ વિકાસશીલ દેશોમાં ગરીબી, સહિયારી સમૃદ્ધિ અને અસમાનતાના વલણો વિશે માહિતી આપે છે.વર્લ્ડ બેન્ક અને IMF ની વાર્ષિક બેઠકો માટે વર્ષમાં બે વાર આ માહિતી બહાર પાડવામાં આવે છે. આ વિવરણ કોઈ પણ દેશની ગરીબી અને અસમાનતાનું એક સ્પષ્ટ ચિત્ર રજૂ કરે છે.

    રિપોર્ટ અનુસાર ગ્રામીણ વિસ્તારોમાં અત્યંત ગરીબી 2011-12માં 18.4% થી ઘટીને 2022-23માં 2.8% થઈ છે. એ જ સમયગાળામાં શહેરી વિસ્તારોમાં અત્યંત ગરીબી 10.7% થી ઘટીને 1.1% થઈ છે. ગ્રામીણ અને શહેરી ગરીબી વચ્ચેનો તફાવત 7.7% થી ઘટીને 1.7% રહ્યો છે. 2011-12 અને 2022-23 વચ્ચે વાર્ષિક ઘટાડાનો દર 16% રહેશે.

    વર્લ્ડ બેન્કે શોધી કાઢ્યું છે કે, ભારતને નિમ્ન-મધ્યમ આવક સ્તરે ગરીબી ઘટાડવાથી નોંધપાત્ર લાભ મળ્યો છે, જેને પ્રતિ દિન 3.65 અમેરિકી ડોલર પર માપવામાં આવ્યું છે. ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં આ વ્યાપક-આધારિત વૃદ્ધિથી લાખો લોકોને ફાયદો થયો છે.

    2021-22 પછી, રોજગાર વૃદ્ધિમાં સકારાત્મક વલણો જોવા મળ્યા છે, ખાસ કરીને ગ્રામીણ અને શહેરી બંને ક્ષેત્રોમાં નોંધપાત્ર સુધારો થયો છે, જે વર્લ્ડ બેન્કના રિપોર્ટમાં જણાવાયું છે.

  • ઘઉં વધુ ખાવ છો કે ચોખા? વસતી ગણતરીમાં પુછાશે

    ઘઉં વધુ ખાવ છો કે ચોખા? વસતી ગણતરીમાં પુછાશે

    કેન્દ્ર સરકારે નવી જાતિગત જનગણનાનુ શિડયુલ જાહેર કર્યુ છે અને તે વિશે અનેકવિધ ખુલાસા-ટીપ્પણી થવા લાગી છે. વસતી ગણતરી દરમ્યાન આર્થિક-સામાજીક માપદંડોની પણ ચકાસણી કરવામાં આવ્યા છે અને તેમાં કેટલાંક નવા સવાલ પણ ઉમેરવામાં આવ્યા છે

    વસતી ગણતરીની સમગ્ર કવાયતમાં 10 લાખ કર્મચારીઓને સામેલ કરવામાં આવનાર છે. જેઓ ઘેર-ઘેર જઈને પરિવાર-નાગરિકોની સંખ્યા ગણશે. ઉપરાંત ચોખા, ઘઉં, બાજરો, જુવાર, મકાઈ જેવા કયા અનાજનો વધુ ઉપયોગ કરો છો? તેવો સવાલ પણ પુછવામાં આવશે. દોઢ દાયકા બાદ વસતી ગણતરી થવાની છે.

    આ દરમ્યાન લોકોના જીવન ધોરણ ઉપરાંત સુખ સુવિધા તથા સંશોધનોમાં મોટો બદલાવ આવ્યો છે. જુદા-જુદા સવાલો મારફત યોજનાઓના પ્રભાવ પણ ચકાસવામાં આવશે.

    લોકો બોટલના પાણીનો કેટલો ઉપયોગ કરે છે, રાંધણગેસ-પીએનજી કનેકશનના સવાલ પણ હશે. સોલારનો ઉપયોગ પણ ચકાસાશે. અગાઉની વસતી ગણતરીમાં ટીવી-રેડિયોની સુવિધા વિશે સવાલ થતા હતા. આ વખતે ફ્રી-ડીશ, ડીટીએચ કે કેબલ કનેકશન વિશે સવાલ કરવામાં આવશે.

    આ સિવાય પ્રથમ વખત એસીડ એટેકનો શિકાર બનેલા લોકોની પણ અલગથી ગણતરી કરવામાં આવશે. આ સિવાય જ્ઞાનતંતુના જટિલ રોગ ધરાવતા લોકો તથા બ્લડ ડીસઓર્ડર ધરાવતા લોકોની પણ અલગથી ગણતરી કરવામાં આવશે. આ ઉપરાંત હિજરતી લોકોની વસતી ગણતરી કરવા સાથે તેનું કારણ ચકાસવા કુદરતી આફતોની પણ ચકાસણી થશે.

  • તાલાલા-ગીર પંથકમાં ધ્રુજી ધરા, 3.5ની તીવ્રતાના ભૂકંપનો આંચકો અનુભવાયો; મોટો ધડાકાનો અવાજ સંભળાયો

    તાલાલા-ગીર પંથકમાં ધ્રુજી ધરા, 3.5ની તીવ્રતાના ભૂકંપનો આંચકો અનુભવાયો; મોટો ધડાકાનો અવાજ સંભળાયો

    ગીર સોમનાથના તાલાલા-ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. તાલાલા-ગીરના ગ્રામ્ય વિસ્તારમાં ધરા ધ્રૂજી છે. તાલાલા ગીર પંથકમાં 9:15 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપનો આંચકો રિક્ટર સ્કેલ પર 3.5ની તિવ્રતાનો નોંધાયો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 19 કિમી ઈસ્ટ નોર્થ ઈસ્ટ નોંધાયું છે. ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો હતો. મોટા ધડાકાનો અવાજ આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતાં. તલાલા અને ગીર આસપાસના ગામડામાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

    તલાલા અને ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો

    પ્રાપ્ત માહિતી પ્રમાણે ગીર સોમનાથના તલાલા અને ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. મોટા ધડાકા સાથે ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય માહોલ ફેલાયો હતો. ધડાકાનો અવાજ આવતા જ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતાં. તલાલા અને ગીર આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતાં.

    રિક્ટર સ્કેલ પર 3.5ની તિવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ તલાલાથી 19 કિ.મી દૂર નોંધાયું છે. ભૂકંપમાં કોઈ જાનહાની કે માલ મિલકતને નુકસાન થયાના હજુ સુધી કોઈ પુરાવા કે અહેવાલ મળ્યા નથી.

    રિક્ટર સ્કેલ પર 3.5ની તિવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ તલાલાથી 19 કિ.મી દૂર નોંધાયું છે. ભૂકંપમાં કોઈ જાનહાની કે માલ મિલકતને નુકસાન થયાના હજુ સુધી કોઈ પુરાવા કે અહેવાલ મળ્યા નથી.

  • ચોમાસુ હજુ સ્થગિત : તા.14 સુધી ગુજરાતમાં પ્રવેશની સંભાવના ઓછી

    ચોમાસુ હજુ સ્થગિત : તા.14 સુધી ગુજરાતમાં પ્રવેશની સંભાવના ઓછી

    જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલની તા.14 જુન સુધીની આગાહી : પ્રિ-મોન્સુન ગતિવિધિ હેઠળ કયાંક – કયાંક છુટોછવાયો વરસાદ થશે

    ભારતમાં કેરળ-મહારાષ્ટ્ર સુધીનાં ભાગોમાં એકાદ-બે સપ્તાહ વ્હેલુ આવી ગયેલુ ચોમાસું હવે છેલ્લા 10 દિવસથી સ્થગીત છે અને હજુ આવતા એક સપ્તાહ સુધી તે ગુજરાતમાં એન્ટ્રી લ્યે તેવી સંભાવના ન હોવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે.જોકે, આ દરમ્યાન પ્રિ-મોન્સુન એકટીવીટી ચાલુ રહેશે અને મધ્ય જુન આસપાસ એકાદ-બે સાનુકુળ પરિબળો પણ સર્જાવાની સંભાવના છે.

    તેઓએ આજે જણાવ્યું હતું કે ચોમાસાની પશ્ચિમી પાંખ 26 મે અર્થાત 12 દિવસથી સ્થગીત છે. જયારે પૂર્વીય પાંખ 29 મે અર્થાત 9 દિવસથી સ્થગીત છે.ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી હાલ દરીયાઈ સપાટી દબાણ (એમએસએલપી) 1006 થી 1008 મીલીબર છે.જે પ્રમાણમાં ઊંચુ

    છે આ સ્તર 1000 થી 1002 મીલીબર હોય ત્યારે વરસાદની સંભાવના વધી જાય છે.

    ગુજરાતને જ અસરકર્તા અન્ય એક પરિબળ પર નજર કરવામાં આવે તો જયાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. ત્યાં પુર્વીય પવનો છે. ચોમાસાનો પ્રવેશ બાકી છે તેવા ઉતરના ભાગોમાં પશ્ચિમી પવન છે.પરંતુ ગુજરાતમાં પવન અસ્થિર છે અને કોઈ નિશ્ચિત દિશાનાં નથી તે પણ પ્રતિકૂળ પરિબળ છે.

    ચોમાસું રેખા હાલ મુંબઈ, અહીલ્યાનગર, આદિલાબાદ, ભવનપાટણા, સેન્ડ હેડ, આઈલેન્ડ, તથા બાલુરવાટમાંથી પસાર થાય છે. ઉતર પશ્ચિમ રાજસ્થાન તથા આસપાસમાં 0.9 કીમીની ઉંચાઈએ અપર એરસાયકલોનીક સરકયુલેશન છે.ઉતર પશ્ચિમ ઉતર પ્રદેશમાં પણ એક અપર એરસાયકલોનીક સરકયુશન છે.વધુ એક યુએસી ઉતરપુર્વ, મધ્યપ્રદેશ પર 1.5 કી.મી. સુધીના સ્તરે છે.

    એક ટ્રફ લાઈન વિદર્ભથી ઉતર આંતરિક કર્ણાટક સુધી 1.5 કી.મી.ની ઉંચાઈએ છે. એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડલેવલ ચેક્ષીસ તરીકે 5.8 કી.મી.ની ઉંચાઈએ યથાવત છે જેની લંબાઈ 59 ડીગ્રી પુર્વ અને અક્ષાંશ 27 ડીગ્રી ઉતરથી ઉતરે ચાલે છે.

    તાપમાનને લાગેવળગે છે ત્યાં સુધી મોટાભાગના વિસ્તારોમાં તે નોર્મલ સ્તરે હતું. હવે નોર્મલ તાપમાન 40થી41 ડીગ્રી ગણાય છે. વાદળો હોય ત્યાં મહતમ તાપમાન નીચુ નોંધાતુ હોવાથી મોટુ વેરીએશન રહે છે.

    ગઈકાલે રાજકોટમાં તાપમાન 41 ડીગ્રી હતું તે નોર્મલ કરતા એક ડીગ્રી વધુ હતું. ભુજમાં પણ 39.6 ડીગ્રી તાપમાન નોર્મલ કરતા એક ડીગ્રી વધુ હતું. અમરેલીમાં 40.3 ડીગ્રી ડીસામાં 40.4 ડીગ્રી, અમદાવાદમાં 40.6 ડીગ્રીએ નોર્મલ હતું.

    તા.14 જૂન સુધીની આગાહી કરતા તેઓએ કહ્યું કે આ દરમ્યાન ચોમાસાની એન્ટ્રી થવાની સંભાવના ઓછી છે. આ દરમ્યાન પ્રિ-મોનસુન એક ટીપીટી ચાલુ રહેશે અને કયાંક-કયાંક છુટોછવાયો વરસાદ થશે.

    પવનની ઝડપ હાલ 12થી25 કી.મી. (ઝાટકાના પવન) 25થી35 કી.મી. છે તે 12થી14 જૂનમાં વધીને 20થી30 કી.મી. (ઝાટકાના 30થી40 કી.મી.) થશે. આકાશમાં આંશિક વાદળો થશે. તાપમાનમાં વેરીએશન રહેશે.

    તેઓએ એવો નિર્દેશ કર્યો હતો કે આગાહી દરમ્યાન ગુજરાતમાં દરિયાઈ દબાણ ઘટીને 1000થી1002 મીલીબાર સુધી આવી જશે તે સાનુકુળ હશે. ઉપરાંત દક્ષિણ ભારતમાં બ્હોળુ સરકયુલેશન સર્જાવાની શકયતા છે.

  • ગામડાની જમીન-પ્રોપર્ટી આધાર સાથે લિંક થશે

    ગામડાની જમીન-પ્રોપર્ટી આધાર સાથે લિંક થશે

    જમીનના રેકર્ડમાં સરનામા-મોબાઈલ નંબર અપડેટ કરવા ઉપરાંત માપણી-શબ્દોનાં અર્થઘટન સ્પષ્ટ કરાશે: કેન્દ્રનો મહત્વાકાંક્ષી પ્રોજેકટ

    કેન્દ્ર સરકારે ગામડાઓની સંપતિઓનાં રેકર્ડને આધારકાર્ડ સાથે જોડવા તથા મોબાઈલ નંબર અપડેટ કરવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. ગ્રામીણ ભૂમિ રેકર્ડનાં આધુનિકીકરણ તથા ડીજીલાઈઝેશનનાં મહત્વપૂર્ણ પ્રોજેકટ અંતર્ગત આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

    જમીન માલીકોનાં કારનામા તથા મોબાઈલ નંબર પણ અપડેટ કરવામાં આવશે જોકે આધાર સાથે લીંક કરવાનું ફરજીયાત નથી છતાં જમીન રેકર્ડમાં પારદર્શકતા લાવવાના હેતુસર આ પ્રોજેકટ હાથ પર લેવામાં આવ્યો છે.

    કેન્દ્ર સરકારે તમામ રાજયોને જમીનનાં રેકર્ડ સચોટ અને અદ્યતન રહે તે માટે ડીજીટલાઈઝેશન કરવાની તાકીદ કરી છે તેના મારફત પછી સરકારી યોજનાઓ તથા બેંકીંગ સેકટર સાથે સરળતાથી જોડી શકાશે. આ વર્ષનાં બજેટમાં જમીન સુધારા પગલા માટે રાજય સરકારોને સહાય આપવાની દરખાસ્ત કરવામાં આવી હતી.

    સરકારનો ઉદેશ પીએમ ગતિશકિત યોજનાનો ઉપયોગ કરીને આ પ્રોજેકટ હેઠળ ગામડાઓની તમામ જમીનનું આધુનિકીકરણ કરવા તથા શહેરી વિકાસની દિશા નકકી કરવાનો છે.

    કેન્દ્રીય નાણા મંત્રાલય પ્રોજેકટ સંબંધિત યોજના ગ્રામીણ વિકાસ તથા શહેરી બાબતોનાં મંત્રાલયોને પણ મોકલાવી છે અને તેના આધારે ગ્રામીણ જમીન રેકર્ડ મામલે મોટાપાયે સુધારા થઈ શકશે. આ પ્રોજેકટથી જમીન પાર્સલ તેના માલીક તથા ઉપયોગ વિશે સ્પષ્ટ માહીતી હાંસલ થશે.

    બીજા તબકકામાં તમામ જમીન માટે ઓળખકાર્ડ ફરજીયાત થશે અને જમીનના નકસા સંબંધિત વિંસગતતા પણ દુર કરાશે. જમીન નાસા હાલ સમજવા પણ મુશ્કેલ છે. શબ્દનાં અર્થઘટનથી માંડીને માપણી પ્રક્રિયામાં ઘણી ગડમથલ છે. અલગ-અલગ રાજયોમાં જુદા અર્થઘટન છે.

    સરકાર દ્વારા 2700 કરોડની નાણાકીય સહાયતા ધરાવતા પ્રોજેકટમાં જમીન રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ રીતે ઓનલાઈન કરવાની પ્રક્રિયા પણ સામેલ છે.

  • મોરબી માટે ખુશખબર: નવરાત્રી સુધી ત્રણ મહિના માટે ફ્રી ગરબા ટ્રેઇનિંગ કાર્યક્રમનો આરંભ

    મોરબી માટે ખુશખબર: નવરાત્રી સુધી ત્રણ મહિના માટે ફ્રી ગરબા ટ્રેઇનિંગ કાર્યક્રમનો આરંભ

    મોરબી: મોરબી શહેરમાં ગરબાપ્રેમીઓ માટે અનોખી તક ઉપસ્થિત થઈ છે. અનસ્ટોપેબલ વોરિયર ગ્રુપ દ્વારા પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે નવરાત્રી સુધી ત્રણ મહિના માટે તદ્દન મુફ્ત ગરબા શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ ખાસ કાર્યક્રમમાં મહિલાઓ, બાળકો અને પુરૂષોને અલગ અલગ બેન્ચમાં ગરબા શિખવવામાં આવશે.

    આ કાર્યક્રમનો ગ્રાન્ડ ઓપનિંગ ૧૯ જૂન ૨૦૨૫ના રોજ સાંજે ૭:૦૦ વાગ્યે થશે. મોરબીના તમામ નાગરિકોને રજીસ્ટ્રેશન કરવા અનુરોધ કરવામાં આવે છે.

    ફોર્મ મેળવવા માટેના સ્થળો:

    1. અનસ્ટોપેબલ વોરિયર ગ્રુપ – છાત્રાલય રોડ, સુપર માર્કેટ
    2. નીલકંઠ સ્કૂલ – રવાપર રોડ
    3. ઓમ શાંતિ ઇંગ્લિશ સ્કૂલ – સનાળા રોડ
    4. વિનર્સ ડાન્સ એકેડમી – કોહિનૂર કોમ્પ્લેક્સ, રવાપર ચોકડી

    ગરબા શિખવા માટેના સ્થળો:

    1. રામેશ્વર પાર્ટી પ્લોટ – રવાપર ઘુંનડા રોડ, ન્યૂ એરા સ્કૂલની બાજુમાં, મોરબી-૧
    2. શિવાલીકા કોમ્પ્લેક્સ – મહેન્દ્રનગર ચોકડી, મોરબી-૨

    પ્રમુખ હેતલબેન પટેલની યાદીમાં જણાવ્યા મુજબ, આ કાર્યક્રમ માટે વિશેષ કોર્સ ઇન્સ્ટ્રક્ટરોની ટીમ નિમવામાં આવી છે:

    સ્પેશિયલ લેડીસ કોર્સ માટે:

    • શ્રુતિ વ્યાસ
    • બ્રિજલ ઠક્કર
    • મીરા દવે
    • અર્ચના રાજા
    • પૂજા પટેલ
    • દિવ્યા રાવલ
    • કિંજલ ભાનુશાલી

    સ્પેશિયલ જેન્ટ્સ કોર્સ માટે:

    • અવી પટેલ
    • પ્રતિક મહેતા
    • તુસર ચાવડા
    • કલ્પેશ લાલવાણી
    • કૌશિક પટેલ
    • જૈનમ સોની
    • શિવમ શર્મા

    આ કાર્યક્રમને સાથો આપે છે:

    • જીતુભાઇ રબારી
    • રામભાઈ મહેતા
    • અંકિતભાઈ ગજ્જર

    આ આયોજનને સફળ બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે:
    વિનર્સ ડાન્સ એકેડમીના ઓનર સંજયભાઈ વ્યાસ, તાન્યા ગુલવાણી તથા સમગ્ર વિનર્સ ટીમ.

    સંપર્ક માટે:
    📞 9979182222

    તો મોરબી વાસીઓ થઈ જાવ તૈયાર… આ વર્ષે ગરબાની તૈયારીઓ શરૂ થાઈ ગઈ છે

  • મોરબીને 2.70 કરોડ, સુરેન્દ્રનગરને 257 કરોડ સહિત 1700 કરોડની ફાળવણી

    મોરબીને 2.70 કરોડ, સુરેન્દ્રનગરને 257 કરોડ સહિત 1700 કરોડની ફાળવણી

    છ નવરચિત મનપા, પાંચ પાલિકા, બે મહાનગરોના કામોને એક સાથે મંજૂરી આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ : શહેરી વિકાસ વર્ષ-2025 માં જન સુખાકારી વધુ સુવિધાયુક્ત બનાવવાનો અભિગમ

      આ સંદર્ભમાં 6 નવરચિત મહાનગર પાલિકાઓ, 5 નગર પાલિકાઓ અને અમદાવાદ તથા ગાંધીનગર મહાનગર પાલિકાઓમાં વિવિધ વિકાસ કામો માટે એક સાથે એક જ દિવસમાં 1700.57 કરોડ રૂપિયા થી વધુના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

      વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી તરીકે અસરકારક અને આયોજનબદ્ધ શહેરી વ્યવસ્થાપનની શરુઆત 2005માં શહેરી વિકાસ વર્ષની ઉજવણીથી કરી હતી. તેમની દૂરંદેશીથી શહેરીકરણને વિકાસ માટેની એક અનોખી તક તરીકે સ્વીકારીને જનભાગીદારીથી સુંદર, સ્વચ્છ અને ગતિશીલ શહેરોના વિકાસને પગલે રાજ્યના શહેરો વેલપ્લાન્ડ ડેવલપ સિટી તરીકે પ્રસ્થાપિત થયા છે.

      વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગત 27મી મેના રોજ આ શહેરી વિકાસ વર્ષ ની ઉજવણીનો પ્રારંભ કરાવતા શહેરોને આર્થિક પ્રવૃત્તિઓના ગતિશીલ કેન્દ્રો બનાવવાના આપેલા વિઝનને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 1700.57 કરોડ થી વધુ રૂપિયાના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપીને સાકાર કર્યું છે.

      મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસ કામો માટે મંજૂર કરેલી આ રાશિમાંથી અમદાવાદ મહાનગર પાલિકાને 546 કરોડ, ગાંધીનગરને 32 કરોડ તેમજ નવરચિત મહાનગર પાલિકાઓમાં આણંદ 148 કરોડ, મોરબી 270.08 કરોડ, સુરેન્દ્રનગર 257.60 કરોડ, નડિયાદ 71.91 કરોડ તથા વાપી 251.91 કરોડ અને નવસારીને 90.35 કરોડ રૂપિયા મળશે.

      આ ઉપરાંત વડનગર નગર પાલિકાને 16.37 કરોડ, હિંમતનગરને 7.33 કરોડ, સિદ્ધપુરને 3.74 કરોડ, હળવદને 4.02 કરોડ અને ભરૂચ નગર પાલિકાને 85.52 લાખ રૂપિયા વિકાસ કામો માટે પ્રાપ્ત થશે.

      આંતર માળખાકીય સુવિધા

      મુખ્યમંત્રીએ સ્ટ્રીટલાઇટ, સોલાર સુવિધા, સિટી બ્યુટીફિકેશન, ડેવલપમેન્ટ ઓફ પબ્લિક ગાર્ડન, ડ્રેનેજ, ટ્રાફિક સર્કલ, રેન વોટર હાર્વેસ્ટિંગ, સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇન, સિટી સિવિક સેન્ટર, ફાયર ઉપકરણો વગેરે મળીને આંતરમાળખાકીય સુવિધાના 247 જેટલા કામો 6 નવરચિત મહાનગર પાલિકાઓમાં હાથ ધરવા માટે 676.28 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

      મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત રોડ નવીનીકરણ, રીસરફેસિંગ, વ્હાઇટ ટોપિંગ તથા 60 ફુટથી મોટા માર્ગોના રિપેરિંગ માટે તેમણે આણંદ, સુરેન્દ્રનગર, વાપી અને મોરબીની નવરચિત મહાનગર પાલિકાઓ તેમજ અમદાવાદ અને ગાંધીનગર મહાનગર પાલિકા માટે કુલ 652.78 કરોડ રૂપિયાના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

      એટલું જ નહીં, ફિલ્ટર પ્લાન્ટ રિપેરિંગ, રોડ-રસ્તા, ગટર અને સ્ટોર્મ ડ્રેન તથા પાણીની સુવિધા જેવા મૂળભૂત માળખાકીય સુવિધાના કામો માટે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે કુલ 191.91 કરોડ રુપિયાના કામો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગર, વાપી અને આણંદ મહાનગર પાલિકાઓ માટે મંજૂર કર્યા છે.

      તેમણે આણંદ અને સુરેન્દ્રનગર મહાનગર પાલિકાઓને આઇકોનિક રોડના નિર્માણ માટે 31 કરોડ રૂપિયા તથા ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના હેઠળ ભરૂચ નગર પાલિકા વિસ્તારની સોસાયટીઓમાં કોમન પ્લોટ પેવર બ્લોકના કામો માટે 85.52 લાખ રૂપિયાના કામોની અનુમતિ આપી છે.

      નગરો અને મહાનગરોમાં નવા સમાવાયેલા વિસ્તારોને પીવાના પાણીની સુવિધા સરળતાએ ઉપલબ્ધ કરાવવા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી પાણી પુરવઠાનાં કામો માટે હિંમતનગર અને સિદ્ધપુર નગર પાલિકા તથા મોરબી મહાનગર પાલિકાને કુલ 67.35 કરોડ રૂપિયા મુખ્યમંત્રીશ્રીએ મંજૂર કર્યા છે.

      આઉટગ્રોથ

      આ ઉપરાંત, આઉટગ્રોથ વિસ્તારોમાં પીવાના પાણીની લાઇન, ભૂગર્ભ ગટર, ડામર રોડ, સીસી રોડ, ફાયર સ્ટેશન નિર્માણ જેવા કામો માટે પણ મોરબી અને વાપી મહાનગર પાલિકા તથા હળવદ નગર પાલિકાને કુલ મળીને 64.02 કરોડ રૂપિયાના કામોની મંજૂરી આપવામાં આવી છે.

      મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શહેરો અને શહેરી વિસ્તારોના સુઆયોજિત વિકાસ સાથે નાગરિકો ‘અર્નિંગ વેલ-લિવિંગ વેલ’નો ધ્યેય સાકાર કરી શકે તે હેતુથી શહેરી જન સુખાકારીના વિકાસ કામો માટે ફાળવેલી આ રકમ આવનારા દિવસોમાં રાજ્યના શહેરી વિકાસમાં નવુ બળ ઉમેરશે.

    • પાણી માટે તડપતું પાકિસ્તાન : સિંધુ જલ સંધી બહાલ કરવા માટે ભારતને કરી આજીજી

      પાણી માટે તડપતું પાકિસ્તાન : સિંધુ જલ સંધી બહાલ કરવા માટે ભારતને કરી આજીજી

      પહેલગામની આતંકી ઘટના બાદ સિંધુ જળ સમજૂતીને સ્થગીત કરવાના ભારતના નિર્ણય બાદ પાકિસ્તાનમાં બેચેની વધી રહી છે. પાકિસ્તાન આ સમજુતી લાગુ કરવા માટે ભારતને અત્યાર સુધીમાં ચાર-ચાર પત્ર લખી ચૂકયું છે.

      જલશક્તિ મંત્રાલયને લખેલા આ પત્રો આગળ વિચાર માટે વિદેશ મંત્રાલયને મોકલ્યા છે, દરમિયાન ભારત સરકાર સ્પષ્ટ કરી ચૂકી છે કે આતંકવાદ ચાલુ રહેવાને લઈને આ સંધી હાલ સ્થગીત જ રહેશે.

      ઉલ્લેખનીય છે કે, પહેલગામ હુમલા પહેલા ત્રણ મુખ્ય નદીઓ સિંધુ, ચિનાબ અને ઝેલમથી મળતા મોટાભાગના પાણીનો ઉપયોગ ભારત પોતાના અનુસાર કરી રહ્યું છે. સમજુતી અંતર્ગત મોટાભાગનું (80 ટકાથી વધુ) પાકિસ્તાન જતું હતું.

      આ ઉપરાંત રાવી, સતલજ, બિયાસનું પાણી પણ ભારત પોતાના હિસાબે છોડશે કે બંધ કરશે. બીજી બાજુ પાકિસ્તાનના લોકો પણ સિંધુમાં જળને લઈને પાક. સરકાર પર દબાણ કરી રહ્યા છે, તેને લઈને દેખાવો પણ થયા છે.

    • એમેઝોન અને ગુજરાત સરકારના એમએસએમઈ કમિશનરેટે એમઓયુ સાઈન કર્યા

      એમેઝોન અને ગુજરાત સરકારના એમએસએમઈ કમિશનરેટે એમઓયુ સાઈન કર્યા

      ગુજરાતના 16,500થી વધુ નિકાસકારો પહેલેથી જ એમેઝોન ગ્લોબલ સેલિંગ સાથે વિશ્વભરમાં ગ્રાહકોને વેચાણ કરે છે

      એમેઝોન ઈન્ડિયાએ લાખો સ્થાનિક એમએસએમઈને ડિજિટલ બનાવીને રાજ્યથી નિકાસોને વેગ આપવામાં મદદ કરવા માટે ગુજરાત સરકારના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઈ) મંત્રાલયના કમિશનરેટ સાથે એમઓયુ કર્યાની આજે જાહેરાત કરી હતી.

      આ ભાગીદારી દ્વારા એમેઝોન અને કમિશનરેટ એમેઝોન ગ્લોબલ સેલિંગ દ્વારા તેમની નિકાસો શરૂ કરવા અને વધારવા માટે રાજ્યમાં વ્યવસાયો માટે વર્કશોપ યોજવા, તાલીમ આપવા અને ટેકો પૂરો પાડવા માટે સાથે મળીને કામ કરશે.

      આ ઉપરાંત એમઓયુ હેઠળ એમેઝોન ગાંધીનગરમાં સમગ્ર ભારતમાં નિકાસકારો વચ્ચે સહયોગ વધારે તથા સતત સમર્થન આપે તેવું એક્સપોર્ટ કોમ્યુનિટી-લોકલ નેટવર્ક ઊભું કરશે. તે ઇકોમર્સ અને ઇ-કોમર્સ નિકાસોની જરૂરિયાતો અંગે એમએસએમઈ કમિશનરેટના સભ્યોને તાલીમ પણ આપશે જેઓ બદલામાં સમગ્ર રાજ્યમાં એમએસએમઈ માટે તાલીમનું આયોજન કરશે.

      આ એમઓયુ ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન્સ (FIEO) અને એપરલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (AEPC) સાથેના સહયોગમાં એમેઝોન ગ્લોબલ સેલિંગ દ્વારા યોજાયેલી ફ્લેગશિપ ઇવેન્ટ એવી અમદાવાદની એક્સપોર્ટ કનેક્ટ 2025ના ઉપક્રમે કરવામાં આવ્યો હતો.

      આ કાર્યક્રમમાં અમદાવાદ અને આસપાસના વિસ્તારોના 700થી વધુ નિકાસકારોએ ભાગ લીધો હતો જેમાં તેમને આંતરરાષ્ટ્રીય ગ્રાહકો સુધી તેમની પહોંચ વિસ્તારવામાં મદદ કરવા માટે એમેઝોન ગ્લોબલ સેલિંગની લીડરશિપ તરફથી આંતરદ્રષ્ટિ, સંસાધનો અને માર્ગદર્શન પૂરા પાડવામાં આવ્યા હતા.

      રાજ્યમાં 36.51 લાખથી વધુ એમએસએમઈ સાથે ગુજરાત નિકાસોમાં મજબૂત પાયો ધરાવે છે. આ પાયો રાજ્યને નિકાસોની બાબતે ભારતની ઇ-કોમર્સ સંભાવનાઓ અનલોક કરવા માટેના એમેઝોનના વ્યાપક પ્રયાસોમાં મહત્વનો વિસ્તાર બનાવે છે.

    • એલન મસ્કનું નવુ મેસેજિંગ ફીચર XChat લોંચ : વોટસએપને સીધી ટકકર આપશે

      એલન મસ્કનું નવુ મેસેજિંગ ફીચર XChat લોંચ : વોટસએપને સીધી ટકકર આપશે

      એલોન મસ્કે તેના X પ્લેટફોર્મે પર XChat નામનું એક નવું મેસેજિંગ ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચરની મદદથી એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન, ઓટો ડિલીટ થયેલા મેસેજ અને કોઈપણ પ્રકારની ફાઇલો મોકલવાનો વિકલ્પ મળશે.

      આ ફીચર હાલમાં બીટા વર્ઝનમાં છે. એલોન મસ્કે 1 જૂને પોસ્ટ કરીને આ ફીચર વિશે માહિતી આપી છે. પોસ્ટમાં લખ્યું છે કે, નવું XChat રોલઆઉટ કરવામાં આવી રહ્યું છે, જે એન્ક્રિપ્શન, વેનિશિંગ મેસેજ અને ફાઇલો મોકલવાનો વિકલ્પ આપે છે.

      મસ્કે દાવો કર્યો છે કે, XChat બિટકોઈન-સ્ટાઈલ એન્ક્રિપ્શનનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેને સંપૂર્ણપણે નવા આર્કિટેક્ચર પર તૈયાર કરવામાં આવ્યું છે.

      મસ્કે બીજી પોસ્ટમાં જણાવ્યું છે કે, XChatની મદદથી યુઝર્સ ઓડિયો અને વીડિયો કોલ પણ કરી શકશે. આ માટે મોબાઈલ નંબર લિંક કરવાની જરૂર નથી. ટેકક્રન્ચના રિપોર્ટ્સ અનુસાર, XChat હાલમાં ટેસ્ટિંગ ફેઝમાં છે અને કેટલાક લોકો પર તેનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે.

      જોકે, કંપનીએ હજુ સુધી તે અંગે માહિતી આપી નથી કે તે સામાન્ય લોકો માટે ક્યારે રિલીઝ કરશે. પરંતુ મસ્કે ટ્વિટ કરીને જે રીતે માહિતી આપી છે એ જોતા એવું લાગી રહ્યું છે કે બહુ જ જલ્દી સામાન્ય લોકોને પણ આ નવું ફિચર મળી શકે છે.

      X પ્લેટફોર્મે વર્ષ 2023 માં એન્ક્રિપ્ટેડ મેસેજિંગ સેવા શરૂ કરી હતી અને તે દરમિયાન આ સેવા મર્યાદિત લોકો માટે શરૂ કરવામાં આવી હતી.

      XChatમાં ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન WhatsApp  માં ઉપલબ્ધ બધી સુવિધાઓ છે. જોકે, WhatsApp ને મોબાઇલ નંબરથી લોગ ઇન કરવું પડશે. જ્યારે XChatમાં મોબાઇલ નંબર કનેક્ટ કરવાની જરૂર રહેશે નહીં.

    error: Content is protected !!