સંજય દત્તનો આ ડાયલોગ્સ આખરે કોર્ટના હુકમથી મ્યુટ (બંધ) કરી દેવામાં આવેલ છે

રણવીર સિંહ અભિનિત સ્પાય થ્રિલર ફિલ્મ `ધુરંધર’ તાજેતરમાં થિયેટરમાં સુધારેલા વર્ઝન સાથે રિલીઝ કરવામાં આવી છે. આ ફેરફાર બાદ રાજકીય સંવેદનશીલતાને લઈને ચર્ચા શરૂ થઈ હતી, પરંતુ ફિલ્મ સાથે સંકળાયેલા સૂત્રોએ સ્પષ્ટ કર્યું છે કે આ બદલાવ ખૂબ મર્યાદિત છે અને ફિલ્મની કહાની કે મુખ્ય સામગ્રીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

ફિલ્મના નિર્માતાઓએ કેટલાક સંવાદોમાં ઉપયોગમાં લેવાયેલાં `બલોચ’ શબ્દને મ્યૂટ કર્યો છે. આ નિર્ણય બલોચ સમુદાયના કેટલાક સભ્યો દ્વારા ઉઠાવવામાં આવેલાં વાંધાઓ બાદ લેવામાં આવ્યો છે. ગયા અઠવાડિયે બલોચ સમુદાયના પ્રતિનિધિઓએ ગુજરાત હાઇકોર્ટનો સંપર્ક કરીને ફિલ્મમાં તેમનાં વિરુદ્ધ દ્વેષપૂર્ણ ભાષા ઉપયોગ થવાનો આક્ષેપ કર્યો હતો.

વિવાદનું કેન્દ્ર બનેલો સંવાદ સંજય દત્ત દ્વારા બોલવામાં આવ્યો હતો, જેમાં તેઓ કહે છે, મગરમચ્છ પર ભરોસો કરી શકાય, પરંતુ બલોચ પર નહીં. સમુદાયના પ્રતિનિધિઓએ આ સંવાદને અપમાનજનક ગણાવી કોર્ટમાં રજૂ કર્યો હતો.

કોર્ટની કાર્યવાહી બાદ ફિલ્મની ટીમને સલાહ આપવામાં આવી હતી કે, જ્યાં આ શબ્દ અપમાનજનક રીતે સમજાઈ શકે, ત્યાં તેને મ્યૂટ કરવામાં આવે. તેના અનુસંધાને, 1 જાન્યુઆરીથી `ધુરંધર’નું સુધારેલું વર્ઝન થિયેટરમાં પ્રદર્શિત થઈ રહ્યું છે, જેમાં આ ચોક્કસ શબ્દ અવાજ વગર રાખવામાં આવ્યો છે.

આ તમામ ઘટનાક્રમ છતાં ફિલ્મનાં બોક્સ ઓફિસ પર કોઈ નકારાત્મક અસર પડી નથી. ભારતમાં જ ફિલ્મે રિલીઝના 29 દિવસમાં 739 કરોડ રૂપિયાથી વધુ નેટ કમાણી કરી છે. પાકિસ્તાનમાં આતંકી સંગઠનમાં ઘૂસણખોરી કરતાં ભારતીય જાસૂસની ભૂમિકામાં રણવીર સિંહનું અભિનય દર્શકોને ખાસ પસંદ આવી રહ્યો છે.

ફિલ્મમાં સંજય દત્ત, અક્ષય ખન્ના, અર્જુન રામપાલ, સારા અર્જુન અને રાકેશ બેદી ઉપરાંત નવીન કૌશિક, સૌમ્યા ટંડન, નસીમ મુગલ, ડેનિશ પંડોર અને ગૌરવ ગેરા જેવા કલાકારો મહત્વપૂર્ણ ભૂમિકામાં નજરે પડે છે.











