
ભારતીય રિઝર્વ બેંક (RBI) ખાતાધારકોના હિતમાં એક મોટી વ્યવસ્થા પર કામગીરી શરૂ કરી દીધી છે. નવી વ્યવસ્થા મુજબ હવે બેંક ખાતાધારકો એકાઉન્ટ નંબર બદલ્યા વગર મોબાઈલ નંબર પોર્ટની જેમ બેંક બદલી શકશે. આરબીઆઈની આ યોજના બેન્કિંગ ક્ષેત્રમાં એક મોટો ફેરફાર ગણવામાં આવી રહ્યો છે. જો આ યોજના શરૂ થશે તો અનેક બેંક ખાતાધારકોને મોટી રાહત મળશે.

ખાતા નંબર એ જ અને બેન્ક નવી
બેંક ખાતાધારકો પોતાની ઈચ્છા મુજબ એકાઉન્ટ નંબર બદલ્યા વગર સરળતાથી બેંક બદલી શકે અને બેંક બદલતા જ આપોઆપ બધુ ટ્રાન્સફર થઈ શકે તે અત્યાધુનિક સિસ્ટમ પર RBIએ કામગીરી શરૂ કરી દીધી છે. ‘પેમેન્ટ્સ વિઝન 2028’ હેઠળ ગ્રાહકોને પોતાની મરજી મુજબ બેંક પસંદ કરવાની આઝાદી મળી શકે તે હેતુથી આરબીઆઈએ નવી વ્યવસ્થા પર વિચારણા શરૂ કરી દીધી છે. આનાથી બેંકોમાં સ્પર્ધા પણ વધશે અને તેના કારણે ગ્રાહકોને સારી સેવા પણ મળશે.
ડોક્યુમેન્ટ્સની ઝંઝટમાંથી પણ મળશે છૂટકારો

હાલના સમયમાં જો કોઈ ગ્રાહકે બેંક બદલવી હોય તો તેમને નવો બેંક એકાઉન્ટ નંબર આપવામાં આવે છે, ત્યારબાદ ડોક્યુમેન્ટ્સની પ્રક્રિયા શરૂ થાય છે, જેમાં ઘણો સમય વેડફાઈ જાય છે. આમાં ગ્રાહકોએ પોતાની નવી બેંક વિગતોમાં પગાર, હોમ લોનની હપ્તા, મ્યુચ્યુઅલ ફંડ (SIP), વીમા પ્રિમિયમ, ગેસ સબસિડી અને વીજળી-પાણી બિલની ચૂકવણી સહિતની પ્રક્રિયા માટે વિગતો અપડેટ કરવી પડે છે. ઘણીવાર માહિતી ખોટી હોવાના કારણે ચૂકવણી રદ થઈ જાય છે અને ગ્રાહકને માનસિક અને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે.

આવી રીતે કામ કરશે નવી સિસ્ટમ
RBIની નવી યોજના મુજબ તમારો વર્તમાન બેંક એકાઉન્ટ નંબર કાયમી બની જશે. જ્યારે તમે બેંક પોર્ટ કરાવશો તો નવી બેંક તમરા જૂના એકાઉન્ટ નંબરને પોતાની સિસ્ટમમાં સામેલ કરી દેશે. રિઝર્વ બેંક એ સુવિધા માટે એક સેન્ટ્રલ પ્લેટફોર્મ તૈયાર કરી રહ્યું છે. તેમાં ગ્રાહકોના તમામ ઓટો-પેમેન્ટ્સ ઓપ્શન, ઈન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ અને બિલ ચૂકવણીની માહિતી સુરક્ષિત રહેશે. જ્યારે તમે બેંક બદલશો તો તમારા એકાઉન્ટ સંબંધી તમામ બાબતો આપોઆપ નવા બેંકમાં ટ્રાન્સફર થઈ જશે.

…તો બેંકોની મનમાની ખતમ થઈ જશે
આ સિસ્ટમ લાગુ થયા બાદ બેંકોની મનમાની ખતમ થઈ જશે. જો કોઈ બેંક ગ્રાહકોને સારી સેવા પુરી ન પાડે અને બિનજરૂરી ચાર્જ વલુવે તો ગ્રાહક કોઈપણ ચિંતા કર્યા વગર પોતાનો એકાઉન્ટ અન્ય બેંકમાં પોર્ટ કરાવી શકે છે. આનાથી દેશના બેન્કિંગ સિસ્ટમમાં પારદર્શીતા આવશે અને ડિજિટલ ટ્રાન્જેક્શન પણ મજબૂત થશે.













