
પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ ભારતને યુદ્ધની ખોખલી ધમકી આપી છે. તેમનું કહેવું છે કે, જો ભારત સિંધુ જળ સંધિને સ્થગિત રાખે છે અને સિંધુ નદી પર ડેમ બનાવવાનો પ્રયાસ કરે છે, તો પરિસ્થિતિ યુદ્ધ સુધી પહોંચી શકે છે.

બિલાવલે આ નિવેદન હઝરત શાહ અબ્દુલ લતીફ ભિટ્ટાઈના 282માં ઉર્સ દરમિયાન, ભીત શાહમાં આયોજિત ‘શાહ લતીફ પુરસ્કાર’ સમારોહમાં આપ્યું હતું. જણાવી દઈએ કે, પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરૂદ્ધ આકરાં પગલાં ભર્યા હતા, જેમાં સિંધુ જળ સંધિને રોકવાનું પણ સામેલ હતું. આ પગલાંથી પાકિસ્તાન હડધૂત થયું છે.

7 મેના રોજ ભારતે પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લેતા પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલો કરી તેને પૂર્ણ રીતે નષ્ટ કરી દીધા. આ પાકિસ્તાન માટે મોટો ઝટકો હતો. જો કે, 10મેના રોજ બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ થઈ ગયું હતું.



















