
ગુજરાતમાં ચોમાસાની વિદાય ટાણે જ મેઘરાજા ફરી એકવાર મહેરબાન થયા છે. હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક માટે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના પગલે ગુજરાતમાં મેઘરાજાએ ખેલૈયાઓ તથા ગરબા આયોજકોના ધબકારા વધાર્યા છે. ખાસ કરીને ગુજરાતના 6 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ગુજરાત સહિત દેશભરમાં 22મી સપ્ટેમ્બરથી આસો નવરાત્રિની શરૂઆત થવાની છે. લાખોની સંખ્યામાં માતાજીના ભક્તો ગરબે ઘૂમવા થનગની રહ્યા છે. આવતીકાલથી જ દેશભરમાં ધામધૂમથી નવરાત્રિની ઉજવણી કરવામાં આવશે. ત્યારે આજે ગુજરાતનાં અનેક જિલ્લામાં વરસાદના કારણે ખેલૈયાઓની ચિંતા વધી છે.

આજે દક્ષિણ ગુજરાતનાં કેટલાક જિલ્લામાં વરસાદ નોંધાયો છે ત્યારે પહેલા નોરતે પણ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આવતીકાલે 22મી સપ્ટેમ્બરે ગુજરાતના 6 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નવરાત્રિના પહેલા દિવસે ગુજરાતનાં 6 જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી અને વલસાડમાં યલો એલર્ટ જાહેર કર્યું છે.

આ ઉપરાંત, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને ભાવનગર જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા છે. ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ અને દીવ જિલ્લાઓમાં યેલો એલર્ટ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા વ્યક્ત કરી છે, જેની ગતિ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાક જેટલી રહી શકે છે.

આગામી 7 દિવસ સુધી રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવા અને જરૂરી તકેદારી રાખવાની સલાહ આપી છે. જો તમે નવરાત્રીની ઉજવણીનું આયોજન કરી રહ્યા હો, તો હવામાનની આગાહીને ધ્યાનમાં રાખીને જ આગળ વધવું હિતાવહ રહેશે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી આગાહી કરી કે, 2025નું ચોમાસુ તેના અંતિમ ચરણમાં છે ત્યારે બંગાળની ખાડીમાં એક સાઇકલોનિક સર્ક્યુલેશન બનવા જઈ રહ્યું છે. જેના કારણે નવરાત્રિ પર ભારે વરસાદ જેવા મળે તેવી સંભાવના છે. આ મહિનાના અંતેમાં વરસાદનો વધુ એક મોટો રાઉન્ડ આવી રહ્યો છે. બંગાળની ખાડી સક્રિય થઈ છે, અને આ મહિનાના અંતમાં એક સયાક્લોનિક સરરક્યુલેશન બનશે. હવામાન વિભાગે ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા વ્યક્ત કરી છે, જેની ગતિ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાક જેટલી રહી શકે છે.

અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, દક્ષિણ ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, ભરૂચ, પંચમહાલ, ઉત્તર ગુજરાત અને સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ જોવા મળી શકે છે. આ વરસાદ 22 સપ્ટેમ્બર સુધી રાજ્યના જુદા જુદા ભાગોમાં ચાલુ રહે તેવી શક્યતા છે. બંગાળ ઉપસાગર ની મજબૂત સિસ્ટમને લઈને આગામી દિવસમાં પણ વરસાદનું જોર યથાવત રહેશે. કેટલાક ભાગમાં ચાર ઇંચ વરસાદ, તો કેટલાક ભાગમાં છ થી આઠ ઇંચ જેટલો વરસાદ થઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.













