

મોરબી જિલ્લાના માળિયા મિયાણા તાલુકાના નાની બરાર ગામના ખેડૂતોએ આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી છે. જેમાં ખેડૂતોએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને પાવર ગ્રીડ કંપની દ્વારા નાખવામાં આવી રહેલી હેવી વીજલાઈનનો સખત વિરોધ નોંધાવ્યો છે.

આવેદનમાં જણાવ્યા મુજબ, નાની બરારના ખેડૂતો ગરીબ અને અભણ છે, જેમના માટે ખેતી જ એકમાત્ર આજીવિકાનું સાધન છે. ખેડૂતોને રિલાયન્સ કંપનીની બ્રાન્ચ ઓફિસ તરફથી જાણ ક2વામાં આવી છે કે તેમના સર્વે નંબરની અતિ ફળદ્રુપ જમીન પરથી 765 કેવીની વીજલાઈન પસાર થવાની છે.

આ બાબતે કંપનીએ મંજૂરી આપી દીધી છે, પરંતુ જમીન માલિકોને પૂછવામાં પણ આવ્યું નથી તેવો આક્ષેપ ખેડૂતોએ કર્યો છે. ખેડૂતોએ સ્પષ્ટ કર્યું કે તેઓ રાષ્ટ્રના વિકાસના વિરોધી નથી, પરંતુ પોતાની રોજીરોટીના ભોગે વિકાસ તેમને મંજૂર નથી.

તેમણે સૂચન કર્યું છે કે ફળદ્રુપ જમીનને બદલે અન્ય બંજર જમીન, ખરાબાની જમીન કે દરિયાઈ પટ્ટી વાળા વિસ્તારમાંથી લાઈન પસાર કરવામાં આવે, જેથી ખેડૂતોનું ભવિષ્ય અંધકારમય ન બને. અંતમાં ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, કાયદાની આંટીઘૂંટીમાં ફસાવીને ખેડૂતોને છેતરવામાં આવે છે અને વિકાસના નામે મામૂલી વળતર અપાય છે. જેથી ખેડૂતોને વિશ્વાસમાં લીધા વિના તેમની માલિકીની જમીન પર કોઈપણ પ્રકારની હરકત કરવી નહીં, અન્યથા ખેડૂતો દ્વારા સખત વિરોધ કરવામાં આવશે.















