
અમેરિકાએ ભારતીય નિકાસકારો માટે પોતાના દરવાજા વધુ ખુલ્લા કર્યા છે. હવે ભારતીય માલ અમેરિકા ખાતે કરમુક્ત વેચાઈ શકશે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલ એ સંસદમાં આ બાબતને “સારા સમાચાર” ગણાવતા જણાવ્યું હતું કે ભારતને પણ બાંગ્લાદેશની જેમ ઝીરો-ડ્યુટી લાભો મળશે.

વાણિજ્ય મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા સાથે ચાલી રહેલી વેપાર વાટાઘાટોમાં ભારતને બાંગ્લાદેશ સમાન શરતો આપવામાં આવશે. સંસદમાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલા દાવાઓનું ખંડન કરતા પિયૂષ ગોયલે કહ્યું હતું કે અમેરિકન કપાસમાંથી બનેલા ભારતીય કપડાં પર કોઈપણ પ્રકારનો આયાત કર લાગુ નહીં પડે.

ભારત–અમેરિકા વેપાર સોદો ભારતીય કાપડ ઉદ્યોગ અને નિકાસકારો માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. અગાઉ એવી ચિંતા હતી કે યુએસ બજારમાં બાંગ્લાદેશને મળતી વિશેષ છૂટછાટોના કારણે ભારતીય કાપડ ઉદ્યોગને નુકસાન થઈ શકે. જોકે, હવે સરકારની સ્પષ્ટતા બાદ આ શંકાઓ મોટાભાગે દૂર થઈ ગઈ છે.

ભારતીય ઉત્પાદનો યુએસ બજારમાં વધુ સ્પર્ધાત્મક બનશે
વાણિજ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, જો ભારતીય કાપડ ઉત્પાદકો યુનાઇટેડ સ્ટેટ્સ માંથી કપાસ ખરીદી તેને પ્રોસેસ કરીને ફરીથી અમેરિકા નિકાસ કરે છે, તો તેમને કોઈ આયાત શુલ્ક ચૂકવવું પડશે નહીં. આ વ્યવસ્થાને “પારસ્પરિક ટેરિફ” તરીકે ઓળખવામાં આવી રહી છે, જેનાથી ભારતીય ઉત્પાદનો યુએસ બજારમાં વધુ સ્પર્ધાત્મક બનશે.

આ મુદ્દે સંસદમાં રાજકીય ગરમાવો પણ જોવા મળ્યો. રાહુલ ગાંધીએ આરોપ મૂક્યો હતો કે અમેરિકા સાથેના વેપાર કરારમાં બાંગ્લાદેશને ભારત કરતાં વધુ ફાયદો મળ્યો છે. જવાબ આપતા પિયૂષ ગોયલે કહ્યું કે વિપક્ષ દ્વારા ફેલાવવામાં આવી રહેલી માહિતી ખોટી છે અને હકીકતમાં ભારતને પણ બાંગ્લાદેશ સમાન જ લાભ મળશે.

વેપાર કરારમાંથી ઉત્પાદનોને બાકાત રાખવામાં આવ્યા
પિયૂષ ગોયલે વધુમાં જણાવ્યું હતું કે આ કરારનું માળખું હાલમાં તૈયાર થઈ રહ્યું છે અને વચગાળાનો કરાર પૂર્ણ થયા બાદ તેની તમામ શરતો જાહેર કરવામાં આવશે. તેમણે દેશના ખેડૂતોને પણ આશ્વાસન આપ્યું હતું કે આ વેપાર કરારમાંથી 90 થી 95 ટકા કૃષિ ઉત્પાદનોને બાકાત રાખવામાં આવ્યા છે, જેથી ભારતીય કૃષિ ક્ષેત્રને કોઈ નુકસાન ન થાય.

સરકારના જણાવ્યા મુજબ, આ પગલાથી ભારતીય નિકાસકારોને નવી તકો મળશે અને સાથે સાથે ખેડૂતોના હિતોનું પણ પૂરતું રક્ષણ થશે. કુલ મળીને, ભારત–અમેરિકા વચ્ચેનો આ ઝીરો-ડ્યુટી સોદો દેશના કાપડ ઉદ્યોગ અને નિકાસ ક્ષેત્ર માટે હકારાત્મક સાબિત થવાની આશા છે.



















