
મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર પ્રજા હિત માટે સતત કાર્યરત છે. વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા સમયાંતરે ગામડાઓની મુલાકાત લઈ ગામની સવલતો અને ખૂટતી સુવિધાઓ સહિતની બાબતો અંગે અંગત રસ લઇ સમીક્ષા કરવામાં આવે છે. ત્યારે વહીવટી કાર્યક્ષમતા અને નાગરિકલક્ષી સેવાઓના વિતરણને સુનિશ્ચિત કરવાના હેતુથી આજરોજ તા.૧૨/૧૨/૨૦૨૫ ના રોજ વહેલી સવારથી વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ જિલ્લાના ૪૦ ગામડાઓની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા છે.

આ મુલાકાત અન્વયે મોરબી તાલુકાના ૧૨, માળિયા તાલુકાના ૦૨, હળવદ તાલુકાના ૦૭, ટંકારા તાલુકાના ૦૫ અને વાંકાનેર તાલુકાના ૧૪ ગામ મળી કુલ ૪૧ ગામમાં અધિકારીઓ દ્વારા વિવિધલક્ષી તપાસ અને સમીક્ષા કરવામાં આવી છે. પ્રજા હિતલક્ષી મહત્વની સેવાઓ અને કામગીરીની સુલભતા સાથે ગામડાઓમાં સરકારી મકાનો/કચેરીની સ્વચ્છતા તથા સ્વચ્છતા માટેનું આયોજન, સફાઈ માટેની નિયમિત અને કાયમી વ્યવસ્થા તથા સ્વચ્છતા ઝુંબેશની અમલવારી અને જાગૃતિ સહિતના મુદ્દાઓ પર વધુ ભાર મુકવામાં આવ્યા છે.

અધિકારીઓ દ્વારા ગામડાઓમાં પહોંચી પીએચસી સીએચસી સબ સેન્ટરની કામગીરી અને સ્ટાફની હાજરી, તલાટી અને ગ્રામ સેવકની કામગીરી અને હાજરી, ગામમાં પીવાના પાણી બાબતે ઉપલબ્ધ સુવિધાઓ સહિતની બાબતોની તલસ્પર્શી તપાસ કરવામાં આવી છે. ઉપરાંત આંગણવાડી, શાળા, મધ્યાહ્ન ભોજન તથા સસ્તા અનાજની દુકાનો અને સહકારી મંડળીઓની પણ મુલાકાત લઈ યોગ્ય સમીક્ષા કરવામાં આવી છે.

આકસ્મિક મુલાકાત અનુસંધાને સરકારીની વિવિધ યોજનાઓ અને લોક કલ્યાણકારી સેવાઓ ગામડા સુધી પહોંચે અને રોડ રસ્તા, આરોગ્યપ્રદ જીવન પ્રણાલી, પોષણયુક્ત ખોરાક, શિક્ષણ, સલામતી અને સુરક્ષા, પીવા અને સિંચાઈ માટેનું પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ ગ્રામ્ય વિસ્તાર માટે સુલભ અને તે બાબતો પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.












