
તારીખ ૧૯ માર્ચ ૨૦૨૬ના રોજ આવેલ કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં ભારે તારાજી સર્જાઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી કાંતિલાલ ડી. બાવરવાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી છે કે નુકસાનગ્રસ્તોને તાત્કાલિક વળતર ચૂકવવામાં આવે.

રજુઆતમાં જણાવાયું છે કે આ અચાનક આવેલા વરસાદ અને પવનના કારણે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડ્યું છે. ખાસ કરીને રવિ પાકને મોટા પાયે અસર પહોંચી છે. બાગાયતી પાક જેમ કે દાડમ, લીંબુ અને કેરીને વ્યાપક નુકસાન થયું છે, તેમજ ઘઉં, રાયડો, જીરું અને એરંડા જેવા પાકો પણ નાશ પામ્યા છે.

આ ઉપરાંત ઉદ્યોગ ક્ષેત્ર પણ આ આફતથી અછૂત રહ્યું નથી. અનેક ફેક્ટરીઓના છાપરા ઉડી ગયા છે અને માલસામાનને નુકસાન પહોંચ્યું છે. સોલાર પેનલ્સને પણ મોટાપાયે નુકસાન થયાનું નોંધાયું છે.

ગરીબ અને મજૂર વર્ગના લોકો, જે છાપરાંમાં રહે છે, તેમના રહેઠાણને પણ ભારે નુકસાન થયું છે. ઘર ઉપર સોલાર પેનલ લગાવનારાઓને પણ આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. આમ, સમાજના દરેક વર્ગને નાનાં-મોટાં પ્રમાણમાં નુકસાન થયું છે.

હાલની મંદીની પરિસ્થિતિમાં આ નુકસાનથી લોકો ભારે આર્થિક સંકટમાં મુકાયા છે. તેથી સરકાર તાત્કાલિક સર્વે કરી પીડિતોને યોગ્ય સહાય અને વળતર ચૂકવે તેવી માગણી કરવામાં આવી છે.

આ અંગે રાજકોટ જિલ્લાના કલેક્ટરને પણ જાણ કરી યોગ્ય કરવા વિનંતી કરવામાં આવી છે.
















