માધાપર નંદવડી રોડ પર છેલ્લા 15 દિવસથી ખાડાની સમસ્યા: સ્થાનિકોમાં રોષ, વહેલી તકે કામગીરી શરૂ કરવાની માંગ

મોરબીના માધાપર વિસ્તારના નંદવડી રોડ પર છેલ્લા ઘણા દિવસોથી ખાડાની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. માર્ગ પર પડેલા મોટા ખાડાઓને કારણે વાહનચાલકો તેમજ સ્થાનિક રહીશો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને વરસાદી માહોલ બાદ સ્થિતિ વધુ વણસી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે.


સ્થાનિકોના જણાવ્યા અનુસાર, છેલ્લા અંદાજે 15 દિવસથી રોડની હાલત ખરાબ છે અને અનેક વાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો હજી સુધી સ્થાયી ઉકેલ આવ્યો નથી. માર્ગ પર ખાડાઓને કારણે નાના-મોટા અકસ્માતોની ભીતિ પણ ઊભી થઈ છે, જેના કારણે રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.


આ અંગે મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ડ્રેનેજ લાઇન અને ગટર લાઇનના કામકાજ પૂર્ણ થયા બાદ રોડનું રિસર્ફેસિંગ (નવો રોડ બનાવવા) માટે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલ કામ પૂર્ણ થવાના તબક્કામાં છે અને ટૂંક સમયમાં ખાડાઓ પુરાઈ માર્ગ સુવ્યવસ્થિત બનાવવામાં આવશે તેમ પણ તેમણે વિશ્વાસ આપ્યો છે.


સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક પગલાં લેવા અપીલ કરી છે અને રોડની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માંગ કરી છે. જો સમયસર કામગીરી હાથ ધરાશે નહીં તો આગામી દિવસોમાં આંદોલન કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.

વર્કશોપનું ગુગલ મેપ પર લોકેશન મેળવવા માટે એડ પર ક્લિક કરો
error: Content is protected !!