
ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણીઓ-૨૦૨૬ અન્વયે મોરબી જિલ્લામાં આદર્શ આચારસંહિતા અમલી છે. આગામી તા. ૨૬/૦૪/૨૦૨૬ના રોજ યોજાનાર મતદાન પ્રક્રિયા દરમિયાન રાજકીય પક્ષો, ઉમેદવારો કે સંસ્થાઓ દ્વારા વર્તમાન પત્રો, ઇલેક્ટ્રોનિક મીડિયા, ટીવી ચેનલ્સ, કેબલ નેટવર્ક તેમજ એફ.એમ. રેડિયો દ્વારા કરવામાં આવતા પ્રચાર અને જાહેરાતો પર દેખરેખ રાખવા જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી કે.બી. ઝવેરી (IAS) દ્વારા પ્રતિબંધાત્મક હુકમ જારી કરવામાં આવ્યો છે.

આ જાહેરનામા અનુસાર નિયમોને આધીન રહીને નૈતિકતા અને કાયદાની જોગવાઈઓનું પાલન થાય તે હેતુથી કોઈપણ રાજકીય જાહેરાત પ્રસિદ્ધ કે પ્રસારીત કરતા પહેલા જિલ્લા કક્ષાની કમિટી પાસેથી પૂર્વ-પ્રમાણીકરણ મેળવવું ફરજિયાત છે. આ હુકમ મુજબ, નોંધાયેલ રાજકીય પક્ષો અને ઉમેદવારોએ જાહેરાત પ્રસારીત કરવાના ઓછામાં ઓછા ત્રણ દિવસ અગાઉ, જ્યારે બિન-નોંધાયેલ પક્ષો કે અન્ય સંસ્થાઓએ ઓછામાં ઓછા સાત દિવસ અગાઉ નિયત નમૂનામાં ટ્રાન્સક્રિપ્ટની ત્રણ નકલો સાથે જિલ્લા કક્ષાની કમિટીને અરજી કરવાની રહેશે.

અરજીમાં જાહેરાત નિર્માણનું ખર્ચ, પ્રસારણનું અંદાજિત ખર્ચ અને ઇન્સર્શન્સની સંખ્યા જેવી વિગતો દર્શાવવાની રહેશે. જો કોઈ અન્ય વ્યક્તિ ઉમેદવારના લાભ માટે જાહેરાત આપે, તો તે કોઈ પક્ષ કે ઉમેદવારના પ્રલોભન માટે નથી તેવું સોગંદનામું રજૂ કરવાનું રહેશે તેમજ તમામ ચુકવણીઓ એકાઉન્ટ પેઈ ચેકથી કરવાની કબૂલાત આપવાની રહેશે. જરૂરી પ્રમાણપત્ર મેળવ્યા વિના કરવામાં આવતું પ્રસારણ ગેરકાયદે ગણાશે અને આવા કિસ્સામાં ચૂંટણી અધિકારીઓને તપાસ તેમજ સાધનો સીઝ કરવાની સત્તા સોંપવામાં આવી છે.

આ જાહેરનામું તા. ૩૦/૦૪/૨૦૨૬ સુધી સમગ્ર મોરબી જિલ્લામાં અમલમાં રહેશે. જો કોઈ કેબલ ઓપરેટર, સંસ્થા કે વ્યક્તિ આ હુકમનો ભંગ કરશે તો તેમની સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.















