
મોરબી, તા.8 ક્ષત્રિય સમાજના આગેવાન પી.ટી.જાડેજાની ગેરકાયદેસર અટકાયત કરીને તેની સામે પાસાનો હુકમ કરવામાં આવે છે તેનો ગામોગામ વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે મોરબીમાં શ્રી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંધ, શ્રી મોરબી જીલ્લા રાજપૂત સમાજ અને શ્રી રાજપૂત કરણી સેના મોરબી જીલ્લાના હોદેદારોની હાજરીમાં કલેક્ટર મારફતે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને આવેદનપત્ર આપીને પાસાના હુકમને રીવોક કરવાની માંગ કરેલ છે.

જિલ્લાના હોદેદારોની હાજરીમાં મોરબી ક્ષત્રિય સમાજના લોકોની હાજરીમાં આજે કલેકટરે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. કોઈ રાજકીય ઈશારે કિન્નાખોરી પૂર્વક ષડયંત્ર કરવામાં આવે છે.

જેથી સમાજમાં રોષની લાગણી ફેલાયેલ છે અને ગંભીર પ્રકારના અનેક ગુનાઓ આચરનાર વિરૂદ્ધ પાસાની કાર્યવાહી કરવામાં આવતી નથી પરંતુ પી.ટી.જાડેજા સામે પાસાની કાર્યવાહી કરીને અન્યાયકારી વલણ અપનાવામાં આવેલ છે.

જેથી આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢેલ છે. વધુમાં જણાવ્યુ છે કે, પી.ટી.જાડેજા અમરનાથ મંદિરના ટ્રસ્ટી અને પ્રમુખ છે.

તેમણે લોકોની માંગણીને ધ્યાને લઈને અમુક તકવાદી તત્વોને રોકવાનો પ્રયાસ માત્ર કરેલ જે તેની ફરજ પણ હતી. જેથી તેને મોટુ સ્વરૂપ આપી પી.ટી.જાડેજાની સામાજીક પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા હિન પ્રયાસ કરવામાં આવેલ છે.

આ પાસાને રીવોક કરવામાં આવે તેવી માંગ કરેલ છે. નહિ તો અન્યાયની સામે ગુજરાતમાં રાજપૂત સમાજ ન્યાયોચિત લડાઈ લડશે. તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.























