
મોરબીમાં પ્રોપેન ગેસ ન મળવાના કારણે છેલ્લા એક સપ્તાહમાં લગભગ 200 જેટલા સીરામીકના કારખાના બંધ થઈ ગયા છે જેથી તેની અસર હવે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં પણ જોવા મળી રહી છે અને દિવસ રાત દોડતા ટ્રકોના પૈડા થાંભવા લાગ્યા છે. જેથી 24 કલાક ટ્રકોની અવરજવરથી ધમધમતા મોરબીના માર્ગો હવે સૂમસામ જોવા મળી રહ્યા છે અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની મુશ્કેલીમાં વધારો થઈ ગયો છે.

મોરબીની આસપાસના વિસ્તારમાં લગભગ 800 જેટલા સિરામિકના કારખાના ધમધમતા હતા જેથી કરીને ત્યાં રો મટીરીયલ લાવવા માટે તથા તૈયાર માલને લઈ જવા માટે હજારોની સંખ્યામાં ટ્રકોની અવરજવર થતી હતી જો કે, ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે શરૂ થયેલા યુદ્ધના કારણે મોરબીમાં પ્રોપેન ગેસની સપ્લાયની ચેન ખોરવાઈ ગઈ છે અને ગણતરીના દિવસોમાં નેચરલ ગેસની સપ્લાય સામે પણ પ્રશ્ર્નાર્થ ઉભા થાય તેવી શક્યતાઓ છે .

તેવામાં પ્રોપેન ગેસ આધારિત લગભગ 200 જેટલા સીરામીક કારખાનાઓ છેલ્લા એક સપ્તાની અંદર બંધ થઈ ગયા છે જેથી માલનું પરિવહન બંધ થતા હવે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં પણ યુદ્ધની અસર જોવા મળી રહી છે.

મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસો.ના પ્રમુખ પ્રભાતભાઇ ડાંગરે જણાવ્યુ હતું કે, મોરબીમાં દરરોજના 8 થી 9 હજાર જેટલા ટ્રકોની અવરજવર થતી હોય છે અને તેમાં સિરામિક કારખાનાઓની અંદર રો મટીરીયલ પહોંચાડવા અને તૈયાર માલને લઈ જવા માટે ટ્રકો દોડતા હતા જોકે ગેસ ન મળવાના લીધે દિવસેને દિવસે સીરામિકના કારખાનાઓ બંધ થઈ રહ્યા છે જેથી વાહનોની અવરજવર ઘટી ગઈ છે અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં હવે તેની બહુ મોટી અસર જોવા મળી રહી છે અને જે રસ્તાઓ સતત ટ્રકોથી ધમધમતા હતા તે રસ્તાઓ હાલમાં સૂમસામ જોવા મળી રહ્યા છે અને ટ્રકોના પૈડા થંભી જવાના કારણે ડ્રાઇવર ક્લીનરની રોજગારી સામે પણ પ્રશ્ર્નો ઊભા થયા છે.

રાજસ્થાનના ટ્રાન્સપોર્ટર શુભકર્મ બિશ્નોઈ અને શુભેન્દર કુશવાલએ જણાવ્યુ હતું કે, ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધના લીધે સિરામિક કારખાનાઓને ગેસ મળતો બંધ થયો છે જેથી કારખાના બંધ થયા છે અને તેની સાથોસાથ હવે ટ્રકોના પૈડાં થંભવા લાગ્યા છે .

જેથી ટ્રાન્સપોર્ટરોની મુશ્કેલી વધી ગયેલ છે કેમ કે, માર્ચ એંડીંગ હોવાના લીધે મોટાભાગના ટ્રાન્સપોર્ટરોને બેંકમાંથી લોન લઈને લીધેલા ટ્રક, ડમ્પર, ટેન્કર સહિતના વાહનો હપ્તા ભરવાના થશે તે ઉપરાંત વાહનોના વીમા, ડ્રાઈવર-ક્લીનરોના પગાર સહિતના ખર્ચા આવશે જો કે, અચાનક ટ્રકના પૈડાં થંભી જવાથી ટ્રાન્સપોર્ટરો સામે આગામી દિવસોમાં આર્થિક મુશ્કેલી આવશે આટલું જ નહીં પરંતુ જો આ પરિસ્થિતી લાંબો સમય રહેશે તો ટ્રાન્સપોર્ટર ઉદ્યોગને બહુ જ મોટો માર પડશે.

ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ શરૂ થશે તેના લીધે મોરબીનો સિરામિક ઉદ્યોગ બંધ થઈ જશે તેવી કોઈએ કલ્પના પણ કરી ન હતી એટલા જ માટે રાજસ્થાન અને દેશના જુદાજુદા રાજ્યોમાંથી ઘણા ટ્રાન્સપોર્ટર દ્વારા તેઓના ટ્રકમાં રો મટિરિયલ્સ ભરીને મોરબી તેના વાહનને મોકલાવવામાં આવ્યા હતા જો કે, મોરબીમાં ટ્રકો આવી ત્યાં અહી સિરામિક કારખાના બંધ થઈ ગયા છે જેથી બીજા રાજ્યોમાંથી આવેલા ઘણા ડ્રાઈવરો છેલ્લા એક સપ્તાહથી મોરબીમાં ફસાઈ ગયા છે અને હવે કયારે કારખાના ચાલુ થશે અને કયારે તેઓના ટ્રક દોડતા થશે તે અંગેની તેઓને પણ કાશી જ ખબર નથી.















