

મોરબી શહેરમાં ગઈકાલે રાત્રે બનેલી કરુણ ઘટનાએ શહેરભરમાં ભારે રોષ ફેલાવ્યો છે. સોની સમાજના યુવાન જતીન આડેસરાની નિર્દય હત્યાને પગલે વેપારીવર્ગ અને નાગરિકોમાં આક્રોશની લાગણી જોવા મળી રહી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, જતીન આડેસરા પોતાના ઘરે વાસ્તુ પ્રસંગ હોવાને કારણે રાજકોટથી પોતાની બહેનને તેડી પરત મોરબી આવી રહ્યા હતા. ત્યારે મોરબીના શનાળા રોડ પર સરદાર બાગ પાસે ઓવરટેક જેવી સામાન્ય બાબતે બે શખ્સો સાથે બોલાચાલી સર્જાઈ હતી. આ દરમિયાન ઉશ્કેરાયેલા શખ્સોએ જતીન પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલો એટલો ઘાતકી હતો કે જતીન આડેસરાનું મોત નિપજ્યું હતું.

મૃતક જતીનને માત્ર ૧૧ માસની એક દીકરી હોવાને કારણે સમગ્ર શહેરમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
આ ઘટનાના વિરોધમાં આજે વેપારીઓએ નેહરુ ગેટ, ગ્રીન ચોકથી લઈને દરબારગઢ સુધીની મુખ્ય બજારો બપોરે ૨:૦૦ વાગ્યા સુધી સ્વૈચ્છિક બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો. વેપારીઓએ માંગણી કરી છે કે શહેરમાં લુખ્ખા અને અસામાજિક તત્વોમાં પોલીસનો ખોફ કાયમ રહે તે માટે આરોપીઓ સામે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે.
સાથે જ આરોપીઓને જાહેરમાં દરબારગઢથી મુખ્ય બજાર સુધી સરઘસ રૂપે ફેરવવાની પણ માંગ ઉઠી છે, જેથી ભવિષ્યમાં આવા બનાવોને અટકાવવા કડક સંદેશો પહોંચે.


















