
મોરબી : શહેરમાં વધી રહેલી ગેરકાયદેસર વ્યાજખોરી અને ઉંચા વ્યાજે નાણાં આપતા તત્વો સામે સખત પગલાં લેવા માટે મોરબી પોલીસ સક્રિય બની છે. વ્યાજખોરીનો ભોગ બનેલા નાગરિકોને ન્યાય મળે તે હેતુથી પોલીસ દ્વારા એક વિશેષ જનસંપર્ક કાર્યક્રમ — લોકદરબાર — યોજવામાં આવી રહ્યો છે.

આ લોકદરબાર તા. 24 માર્ચ, 2026ના રોજ સાંજે 4 વાગ્યે મોરબી શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે યોજાશે. રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ યોજાનાર આ કાર્યક્રમમાં પીડિત નાગરિકોને પોતાની ફરિયાદો સીધા રજૂ કરવાની તક મળશે અને સ્થળ પર જ તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

કાર્યક્રમની ખાસ વાત એ છે કે અહીં માત્ર ફરિયાદો સાંભળવામાં નહીં આવે, પરંતુ લોકો વ્યાજખોરોના ચક્રવ્યૂહમાંથી બહાર આવી શકે તે માટે બેંકિંગ વિકલ્પો પણ ઉપલબ્ધ રહેશે. રાષ્ટ્રીયકૃત, શિડ્યુલ્ડ અને કો-ઓપરેટીવ બેંકો તેમજ માઇક્રો ફાઇનાન્સ સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહી જરૂરિયાતમંદોને સરળ લોન સુવિધા આપશે.

મોરબીના ડીવાયએસપી જે.એમ. આલએ નાગરિકોને આહ્વાન કર્યું છે કે, જેમને વ્યાજખોરીનો ત્રાસ સહન કરવો પડી રહ્યો હોય અથવા નાણાંકીય સહાયની જરૂર હોય, તેઓ જરૂરી દસ્તાવેજો સાથે હાજર રહી આ તકનો લાભ લે. મોરબી પોલીસ દ્વારા શહેરના નાગરિકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પોતાના હક માટે અવાજ ઉઠાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.


















