
મોરબી : સાહિત્ય અને સંશોધન ક્ષેત્રે મોરબીનું નામ દેશભરમાં ગૌરવપૂર્વક ઉજાગર કરનાર જાણીતા યુવા લેખક અને સંશોધક પરમ જોલાપરાની પ્રતિષ્ઠિત ‘ઓથર ઈન્કવેલ એવોર્ડ ૨૦૨૬’ માટે પસંદગી કરવામાં આવી છે. ઉત્તરાખંડના દેહરાદૂન ખાતે યોજાયેલા ભવ્ય રાષ્ટ્રીય સાહિત્યિક સમારોહમાં દેશભરના ખ્યાતનામ લેખકો, સાહિત્યકારો અને અગ્રણીઓની ઉપસ્થિતિ વચ્ચે તેમને આ સન્માન એનાયત કરવામાં આવ્યું હતું.

માત્ર ૧૮ વર્ષની નાની વયે પરમ જોલાપરાએ ભારતીય સંસ્કૃતિ, વેદો અને પૌરાણિક પરંપરાઓના ઊંડા અભ્યાસ પર આધારિત “વિશ્વદેવ વિશ્વકર્મા” પુસ્તકનું લેખન તથા સંશોધન કાર્ય પૂર્ણ કર્યું છે. સામાન્ય રીતે યુવાનો કારકિર્દીની શરૂઆત અને દિશા નક્કી કરતા હોય તેવી ઉંમરે પરમે વેદોક્ત તથા પૌરાણિક સંદર્ભોના સચોટ અભ્યાસ સાથે ઐતિહાસિક પુરાવાઓ આધારિત સંશોધનાત્મક પુસ્તક સમાજ સમક્ષ રજૂ કરીને વિશેષ પ્રશંસા પ્રાપ્ત કરી છે.

તેમના આ અસાધારણ સાહિત્યિક અને સંશોધનાત્મક યોગદાનને ધ્યાનમાં રાખીને સંસ્થા દ્વારા ‘ઓથર ઈન્કવેલ એવોર્ડ ૨૦૨૬’થી સન્માનિત કરવામાં આવ્યા છે. એવોર્ડ સમારોહ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ પરમ જોલાપરાની નાની વયે પ્રાપ્ત થયેલી આ નોંધપાત્ર સિદ્ધિને બિરદાવી તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

પરમ જોલાપરાની આ સિદ્ધિથી મોરબી સહિત સમગ્ર જિલ્લામાં ગૌરવની લાગણી પ્રસરી છે.

























