
મોરબી : ગુજરાત સાહિત્ય અકાદમી અને ધી.વી.સી. ટેકનિકલ હાઈસ્કૂલ, મોરબીના સંયુક્ત ઉપક્રમે તા. ૧૮ ફેબ્રુઆરી, બુધવારના રોજ સવારે ૮:૦૦ વાગ્યે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી નિમિત્તે “માતૃભાષા મહોત્સવ”નું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમ આચાર્ય ડૉ. ભદ્રસિંહ વાઘેલા (શિક્ષણ સેવા વર્ગ-૨)ના માર્ગદર્શન તથા સમગ્ર વી.સી. પરિવારના સહકારથી યોજાનાર છે. કાર્યક્રમ દરમિયાન માતૃભાષાના મહિમાને ઉજાગર કરતાં પ્રેરણાદાયક પ્રવચનો અને સાહિત્યિક રજૂઆતો યોજાશે.
માતૃભાષાના મહિમાગાન માટે શિક્ષક તથા ઉત્તમ વક્તા પુનિતભાઈ મેરજા અને હિરેનભાઈ નથવાણી પોતાના વિચારો રજૂ કરશે. વધુમાં, સુરેન્દ્રનગરથી વિશેષ આમંત્રિત મહેમાન તરીકે કંદર્પ રાવલ (ઉદ્ઘોષક, કવિ, સંગીત વિશારદ) તથા નેહા રાવલ (ઉદ્ઘોષક, ગાયિકા, સંગીત વિશારદ) ઉપસ્થિત રહી માતૃભાષા વિષયક કાવ્ય-સંગીતમય રજૂઆતો દ્વારા કાર્યક્રમને શોભાવશે.

કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે આદરણીય કમલેશભાઈ મોતા (જિલ્લા શિક્ષણાધિકારી, મોરબી) ઉપસ્થિત રહી માર્ગદર્શન અને પ્રોત્સાહન આપશે.કાર્યક્રમ સંયોજક ધવલભાઈ ખાંડેકાએ મોરબીના સાહિત્યપ્રેમી નાગરિકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા અનુરોધ કર્યો છે.

















