ગત મધરાત્રે ડેમ છલકાતા બે તાલુકાના 29 ગામને એલર્ટ કરાયાઃ મોરબી-માળીયાને પુરૂ વર્ષ પીવા-સિંચાઇનું પાણી મળશે

મોરબી અને માળિયા તાલુકા માટે આશીર્વાદ સમાન કહી શકાય તેવો મચ્છુ 2 ડેમ ઓવરફ્લો થાય તેની સામાન્ય લોકો પણ આતુરતાથી રાહ જોતા હોય છે ચાલુ વર્ષે ધીમી ધારે વરસાદ પડ્યો હોવાના કારણે મોરબીનો મચ્છુ 2 ડેમ ઓવરફ્લો થશે કે કેમ તેને લઈને ઘણી અવઢવ ચાલી રહી હતી પરંતુ કુદરત છેલ્લા ત્રણ દિવસમાં મોરબી અને માળિયા તાલુકાના લોકો ઉપર રીજી જતા મોરબી અને માળિયા તાલુકાને 12 મહિના સુધી પીવા અને સિંચાઈનું પાણી પૂરું પાડતાં મચ્છુ 2 ડેમમાં 40% જેટલો જળ જથ્થો આવ્યો છે.

જેથી આ ડેમ ગઇકાલે મોડી રાત્રિના પોણા બે વાગ્યાના અરસામાં ઓવરફ્લો થયો છે અને બે દરવાજાને બે અઢી ફૂટ સુધી ખોલીને હાલમાં મચ્છુ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે અને પાણી છોડતા પહેલા મોરબી તથા માળિયા તાલુકાના 29 ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા.

ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન ધીમીધારે મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં વરસાદ વરસ્યો હતો જેથી સ્થાનિક જળાશયોમાં પાણીની આવક ધીમીધારે થઈ હતી અને સપ્ટેમ્બર મહિનો શરૂ થઈ ગયો હતો જેથી કરીને પાણીના પ્રશ્નો ઊભા થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી હતી જોકે, 15મી સપ્ટેમ્બરે વિધિવત રીતે ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થાય ત્યાર પહેલા મેઘરાજાએ મોરબી જિલ્લાને પાણી પાણી કરી દીધો હતો.

છેલ્લા ત્રણ દિવસની અંદર પાંચેય તાલુકામાં હળવો ભારે વરસાદ થવાના કારણે સ્થાનિક જળાશયોમાં નવા નિર્માણમાં આવક થયેલ છે અને કેટલાક જળાશયો ઓવરફ્લો પણ થઈ ગયા છે જેમાં ખાસ કરીને પીવાનું પાણી પૂરું પાડતા હોય તેવા મોરબી જિલ્લાના મચ્છુ 1, મચ્છુ 2, બ્રાહ્મણી 1 અને બ્રાહ્મણી 2 ડેમની અંદર નવા નિર્માણ થવાથી લોકોના હૈયે ટાઢક થયેલ છે.

જો મચ્છુ 2 ડેમની વાત કરીએ તો ગત ગુરુવારે સાંજના 5ઃ00 વાગ્યાના અરસામાં ડેમની અંદર માત્ર 59% પાણીનો જળ જથ્થો સંગ્રહિત થયો હતો પરંતુ હવામાન ખાતાની જે રીતે વરસાદની આગાહી કરી હતી તે મુજબ સમગ્ર રાજ્યના જુદા જુદા જિલ્લા તાલુકામાં વરસાદ થયો અને ખાસ કરીને મોરબીના મચ્છુ 2 ડેમના કેચમેટ વિસ્તારમાં તથા તેની ઉપરવાસમાં જે વરસાદ શનિવારે અને રવિવારના દિવસ દરમિયાન થયો તેના કારણે ડેમમાં વિપુલ પ્રમાણમાં નવા નીરની આવક થઈ હતી.

માત્ર ત્રણ જ દિવસની અંદર મચ્છુ 2 ડેમમાં 40% થી વધુ વરસાદી પાણીની આવક થવાના કારણે મંગળવારે રાત્રે પોણા બે વાગ્યાના અરસામાં મચ્છુ 2 ડેમ ઓવરફ્લો થઈ ગયો હતો.

આ અંગે સિંચાઈ વિભાગના અધિકારી ભાવિનભાઈ પનારા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે હાલમાં ડેમમાં 3236 કયુસેક પાણીની ઉપરથી આવક ચાલુ છે જેથી કરીને ડેમના બે દરવાજાને અઢી ફૂટ સુધી ખુલ્લા રાખીને મચ્છુ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે અત્રે ઉલ્લેખનીએ છે કે ગઈકાલે સાંજના સમયે મચ્છુ 2 ડેમમાં ઉપરવાસમાંથી જે પાણીની આવક હતી તેમાં અચાનક ઘટાડો થયો હતો.

2600 ક્યુસેક જેટલી પાણીની આવક થઈ ગઈ હતી પરંતુ વરસાદ ન હોવા છતાં પણ મોડી રાત્રીના સમયે પાણીની આવકમાં વધારો થતા 3236 દિવસે જેટલું પાણી મચ્છુ 2 ડેમમાં આવવા લાગ્યું હતું જેથી આ ડેમ ઓવરફ્લો થઈ ગયો છે અને 12 મહિના સુધી મોરબી તથા માળિયા તાલુકાના લોકોને પીવાના પાણીની ચિંતામાંથી મુક્તિ મળી ગયેલ છે.














