
વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલા તોતિંગ ઉછાળા વચ્ચે ભારત સરકારે સામાન્ય નાગરિકો માટે રાહતના સમાચાર આપ્યા છે.

કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે દેશમાં સામાન્ય પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં પેટ્રોલ હજુ પણ 94.77 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 87.67 રૂપિયા પ્રતિ લિટરના જૂના ભાવે જ મળી રહ્યું છે.

મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા એક મહિનામાં આંતરરાષ્ટ્રીય સ્તરે તેલના ભાવમાં 100 ટકા સુધીનો વધારો થયો હોવા છતાં, સરકારે સામાન્ય જનતાને મોંઘવારીથી બચાવવાની પ્રતિબદ્ધતા હેઠળ આ ભાવ સ્થિર રાખવા પ્રયત્ન કર્યો છે.

આંતરરાષ્ટ્રીય બજારના ઊંચા ભાવ છતાં સ્થાનિક સ્તરે કિંમતો સ્થિર રાખવાનો પ્રયાસ

જ્યારે વિશ્વના અન્ય દેશોમાં ઇંધણના ભાવમાં 30થી 50 ટકાનો વધારો જોવા મળ્યો છે, ત્યારે ભારતમાં સરકારી ઓઇલ કંપનીઓ(PSU OMCs) ભારે આર્થિક બોજ સહન કરીને પણ સામાન્ય ઇંધણ સસ્તા ભાવે વેચી રહી છે.

આંકડા મુજબ, કંપનીઓ હાલમાં પેટ્રોલ પર લિટર દીઠ 24.40 રૂપિયા અને ડીઝલ પર 104.99 રૂપિયાનું નુકસાન(Under-recoveries) વેઠી રહી છે, જેથી ભારતના સામાન્ય નાગરિકોના બજેટ પર આંતરરાષ્ટ્રીય કટોકટીની સીધી અસર ન પડે.












