
Pan Masala MRP Rule : પાન મસાલાને લઈને કેન્દ્ર સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે. કાનૂની મેટ્રોલૉજી (પેકેજ્ડ કોમોડિટીઝ) બીજા સુધારા નિયમો, 2025 અનુસાર, હવે તમામ કદ અને વજનના પાન મસાલા પેક પર છૂટક વેચાણ કિંમત (MRP/RSP) અને અન્ય તમામ સંબંધિત માહિતી દર્શાવવી ફરજિયાત છે.

ગ્રાહક બાબતોના વિભાગના સંયુક્ત સચિવ અનુપમ મિશ્રાના આદેશ મુજબ, આ નિયમ 1 ફેબ્રુઆરી, 2026થી લાગુ થશે. આ પછી તમામ પાન મસાલા ઉત્પાદકો, પેકરો અને આયાતકારોએ તેનું પાલન કરવું પડશે.

પાન મસાલા પેકેટ પર MRPનો નિયમ બદલ્યો
તમને જણાવી દઈએ કે, અત્યાર સુધીમાં 10 ગ્રામ કે તેથી ઓછા વજનના નાના પાન મસાલા પેકેટ પર MRP ન લખવાની છૂટ હતી. જ્યારે હવે તેના પર RSP દર્શાવવાની અનિવાર્ય છે. હવે દરેક પાન મસાલા પેકેટ પર લીગલ મેટ્રોલૉજી રૂલ્સ, 2011માં દર્શાવેલા તમામ ઘોષણાઓમાં વજન, ઉત્પાદન તારીખ, ઉત્પાદકનું નામ, વગેરે સ્પષ્ટપણે દર્શાવવું ફરજિયાત છે. અગાઉ નાના પેકને નિયમ 26(A) હેઠળ ચોક્કસ માહિતી દર્શાવવાથી મુક્તિ આપવામાં આવી હતી, પરંતુ હવે આ મુક્તિ દૂર કરવામાં આવી છે અને નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે.

સરકારના નવા નિયમ મુજબ હવે નાના પેકેટ પર સ્પષ્ટ MRP લખવી પડશે. જેનાથી હવે કોઈપણ વધારે કે ઓછી રકમ વસૂલી નહીં શકાય અને ગ્રાહકો યોગ્ય જાણકારીથી તેની ખરીદી કરી શકશે. જેને પગલે બજારમાં પારદર્શિતા આવશે.

નવા નિયમના અમલીકરણ સાથે, સરકારને આશા છે કે રિટેલ સેલિંગ પ્રાઇસ(RSP)ના આધારે પાન મસાલા પર GSTનું સચોટ મૂલ્યાંકન થશે. આનાથી GST કાઉન્સિલના નિર્ણયોનું વધુ સારી રીતે પાલન થશે. નાના હોય કે મોટા, દરેક પેકેજ પર યોગ્ય કર વસૂલાત કરવામાં આવશે. આનાથી કરચોરી પર પણ અંકુશ આવશે.




