
પીએમ મોદીએ આસામના બરપેટામાં આયોજિત એક વિશાળ ચૂંટણી રેલીમાં દેશની મહિલાઓ માટે એક અત્યંત મહત્ત્વની જાહેરાત કરી છે. પીએમ મોદીએ જણાવ્યું કે, કેન્દ્ર સરકાર આગામી 16 એપ્રિલથી સંસદનું એક વિશેષ સત્ર બોલાવવા જઈ રહી છે. આ સત્રમાં ‘મહિલા અનામત વિધેયક'(Women’s Reservation Bill)ને લઈને મોટા ફેરફારો કરવામાં આવશે. તેમણે તમામ રાજકીય પક્ષોને અપીલ કરી હતી કે દેશની નારીશક્તિના અધિકારો સાથે જોડાયેલા આ ઐતિહાસિક કાયદાને કોઈ પણ વિરોધ વગર સર્વસંમતિથી પસાર કરવામાં આવે. પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું કે આ બિલથી પૂર્વોત્તર કે દક્ષિણ ભારતના રાજ્યોમાં બેઠકો ઘટશે નહીં, કારણ કે સરકાર મહિલાઓ માટે વધારાની બેઠકો અને કુલ બેઠકોની સંખ્યા વધારવા પર કામ કરી રહી છે.

PM મોદીએ શું કહ્યું?
પીએમ મોદીએ જણાવ્યું કે, દેશની દીકરીઓ અને બહેનોના અધિકારો માટે સરકાર આગામી 16 એપ્રિલથી સંસદનું વિશેષ સત્ર બોલાવી રહી છે. વડાપ્રધાને સ્પષ્ટતા કરી હતી કે આ બિલથી કોઈ પણ રાજ્યને નુકસાન થશે નહીં. ખાસ કરીને દક્ષિણ ભારત અને પૂર્વોત્તરના રાજ્યો, જ્યાં વસ્તી નિયંત્રણ સફળ રહ્યું છે, ત્યાં પ્રતિનિધિત્વ ઘટશે એવી અફવાઓ પર પૂર્ણવિરામ મૂકતા તેમણે કહ્યું કે, અમે મહિલાઓ માટે વધારાની બેઠકોની વ્યવસ્થા કરી રહ્યા છીએ. હાલની બેઠકોની સંખ્યામાં વધારો કરવામાં આવશે જેથી કોઈના હક છીનવાશે નહીં. પીએમ મોદીએ તમામ રાજકીય પક્ષોને આ કાર્યમાં સહકાર આપવા વિનંતી કરી છે. તેમણે અસમના બહેનોને ખાસ અપીલ કરી કે તેઓ તમામ પક્ષોના નેતાઓ પર દબાણ લાવે જેથી આ કાયદો સર્વસંમતિથી પસાર થઈ શકે. તેમણે આરોપ લગાવ્યો કે કેટલાક લોકો આ ઉમદા કાર્ય વિશે ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ આ બિલ સમગ્ર દેશના હિતમાં છે.

સંસદના ઇતિહાસનો સૌથી મોટો ફેરફાર
ભારતીય સંસદના ઇતિહાસમાં આ સૌથી મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. વર્ષ 2029ની લોકસભા ચૂંટણી પહેલા જ બેઠકો વધારવા અને 33% બેઠકો મહિલાઓ માટે અનામત રાખવાનો પ્રસ્તાવ રજૂ કરવાની તૈયારી છે. રિપોર્ટ મુજબ, હાલ લોકસભાની બેઠકો 543 છે જે વધારીને 816 કરવામાં આવી શકે છે, જેમાંથી 273 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે. સરકાર ‘નારી શક્તિ વંદના અધિનિયમ’ અને ‘સીમાંકન’ કાયદામાં ફેરફાર કરવા માટે સંસદમાં બે અલગ-અલગ બિલ લાવવાની યોજના બનાવી રહી છે. આ માટે ભાજપ અને શિવસેના(UBT) વચ્ચે ચર્ચા થઈ ચૂકી છે, જ્યારે અન્ય પ્રાદેશિક પક્ષો સાથે પણ વાતચીત ચાલી રહી છે. નોંધનીય છે કે, આ જ મોડેલ રાજ્યોની વિધાનસભાઓમાં પણ લાગુ કરવાની સરકારની યોજના છે.

નારી શક્તિ વંદન અધિનિયમ અમલીકરણની તારીખ હજુ અકબંધ
મહિલા અનામત બિલ એટલે કે, નારી શક્તિ વંદન અધિનિય 20 સપ્ટેમ્બર-2023માં લોકસભામાં અને 21 સપ્ટેમ્બરે રાજ્યસભામાં પાસ થયું હતું. ત્યારબાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ તેને મંજૂરી આપી દીધી હતી. જોકે આ કાયદો કંઈ તારીખથી લાગુ કરવાનો છે, તે હજુ સુધી નક્કી કરાયું નથી. કેન્દ્ર સરકાર નોટિફિકેશન દ્વારા આ કાયદો લાગુ કરશે અને જરૂર પડશે તો તેમાં ફેરફાર પણ કરી શકે છે.

નવી વસ્તી ગણતરીની રાહ જોયા વગર પ્રક્રિયા પૂર્ણ કરવાની તૈયારી
આ સાથે જ વિપક્ષ પર આકરા પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે, આ વખતે આસામની જનતા બે મોટા નિર્ણયો લેવા જઈ રહી છે. પહેલો નિર્ણય એ છે કે રાજ્યમાં ભાજપ-એનડીએ સરકારની જીતની હેટ્રિક નક્કી છે, અને બીજો એ કે દિલ્હીમાં બેઠેલો ‘શાહી પરિવાર’ આ વખતે પોતાની હારનું શતક ફટકારશે. કોંગ્રેસ પર નિશાન સાધતા તેમણે ઉમેર્યું કે, કોંગ્રેસે હંમેશા ટૂંકા ગાળાની રાજનીતિ કરી ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપ્યું છે, જ્યારે ભાજપ મહત્ત્વના અને દીર્ઘકાલીન વિકાસના કાર્યો કરી રહી છે. છેલ્લી વસ્તી ગણતરી અને સીમાંકનની રાહ જોવાને બદલે, સરકાર 2011ની વસ્તી ગણતરીના આધારે જ આ પ્રક્રિયા પૂર્ણ કરવા માંગે છે જેથી 2029 પહેલા મહિલાઓને તેમનો હક મળી શકે.

અનામત કાયદો પસાર કરાવવા નેતાઓ પર દબાણ લાવવા અપીલ
ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે વડાપ્રધાને પક્ષના કાર્યકર્તાઓને પણ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે, ભાજપ ‘રાષ્ટ્ર પ્રથમ’ના મંત્ર સાથે અને આધુનિક વ્યૂહનીતિના સથવારે આત્મનિર્ભર ભારત તરફ આગળ વધી રહી છે. બરપેટાની રેલીમાં ઉમટેલી અભૂતપૂર્વ ભીડનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ આસામની મહિલાઓને ખાસ વિનંતી કરી હતી કે તેઓ તમામ પક્ષના નેતાઓ પર આ મહિલા અનામત કાયદો પસાર કરાવવા માટે દબાણ બનાવે.













