
મોરબી : શ્રી રામનવમીના પાવન અવસરે આજે મોરબી સહિત સમગ્ર દેશભરમાં હિન્દૂ સમાજ દ્વારા ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મોરબી શહેરમાં પણ હિન્દૂ સમાજના તમામ વર્ગોના લોકો સ્વયંભૂ રીતે વિશાળ શોભાયાત્રામાં જોડાયા હતા અને સમગ્ર શહેર ભક્તિભાવ, ઉત્સાહ અને જય શ્રીરામના ગુંજતા નારાઓથી ગૂંજી ઉઠ્યું હતું.

શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં યુવાનો, મહિલાઓ, વડીલો અને બાળકો પરંપરાગત વેશભૂષામાં શોભાયાત્રામાં જોડાયા હતા. શોભાયાત્રા દરમિયાન ભગવાન શ્રીરામના જયઘોષ, ધાર્મિક ધ્વજો, ડીજેના ભક્તિમય સૂર અને વિવિધ આકર્ષક ઝાંખીઓએ સમગ્ર વાતાવરણને રામમય બનાવી દીધું હતું.

મોરબીના મુખ્ય માર્ગો પર ભગવા ધ્વજોની શોભા જોવા મળી હતી અને સમગ્ર શહેરમાં ભક્તિ, એકતા અને સાંસ્કૃતિક ગૌરવનો અનોખો માહોલ સર્જાયો હતો. શહેરના અનેક વિસ્તારોમાં શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ ઠંડા પાણી, શરબત અને પ્રસાદના સ્ટોલ પણ ગોઠવાયા હતા.

આ ભવ્ય શોભાયાત્રાએ હિન્દૂ સમાજની એકતા, શ્રદ્ધા અને ધાર્મિક ભાવનાનું ભવ્ય પ્રતિક રજૂ કર્યું હતું. રામનવમીના આ પાવન પર્વે મોરબી શહેરે ભક્તિ અને ઉત્સાહનો અદભૂત દ્રશ્ય સર્જી સમગ્ર વાતાવરણને આધ્યાત્મિક રંગે રંગી દીધું હતું.













