
ભારતની સૌથી મોટી ટેલીકોમ કંપની રીલાયન્સ જીયોને ટેલીકોમ રેગ્યુલેટર `ટ્રાઇ’એ ઝટકો આપ્યો છે. કેટલાંક ટેરિફ પ્લાન પારદર્શકતાના નિયમોનો ઉલ્લંઘન કરતા હોવાનો અને ભેદભાવરૂપ હોવાનો આરોપ મુકીને પા ખેંચવાનો આદેશ કર્યો છે.

આમાટે 14 એપ્રિલની મહેતલ આપવામાં આવી છે. તમામ પ્લેટફોર્મ પર એક સમાન ટેરિફ પ્લાન રાખવા તથા અમુક ઓફરમાં ડિવાઇસ કેન્દ્રીત નિયંત્રણો રદ કરવાની સુચના આપી છે.
રીલાયન્સ જીયો દ્વારા એવો બચાવ કરવામાં આવ્યો છે કે કંપની ટ્રાઇના તમામ નિયમોનું પાલન કરે છે. કંપનીના પ્લાન `ઇન્ટેલીબલ ક્રાઇટેરિયા’ પર આધારિત છે અને તેનો ભેદભાવપૂર્ણ ન ગણી શકાય.

રીલાયન્સ જીયોના 50 કરોડ ગ્રાહકો હોવાનું ઉલ્લેખનીય છે. દૈનિક એક જીબીનો એન્ટ્રી લેવલ પ્લાન ધરાવતી પ્રિ-પેઇડ ઓફર કંપનીએ ઓગસ્ટ-2025માં રદ કરી હતી અને તેને પગલે ટ્રાઇએ તપાસ શરૂ કરી હતી. આ ઓફર માત્ર રીટેઇલ સ્ટોર પર જ ઉપલબ્ધ થવાનું કંપનીએ જાહેર કર્યું હતું. તપાસમાં એવું બહાર આવ્યું હતું કે 249 તથા 199ના સ્પેશ્યલ ટેરિફ વાઉચર માત્ર જીયોના સ્ટોરમાં જ ઉપલબ્ધ હતો.

જ્યારે 209ના વાઉચર માત્ર માયજીયો મોબાઇલ એપ્લીકેશન પર જ હતા. રીલાયન્સ જીયોને પાઠવાયેલા પત્રમાં ટ્રાઇએ કહ્યું કે મર્યાદિત સ્થળોએ જ પ્લાન ઉપલબ્ધ કરાવવાનું પારદર્શિતાના સિધ્ધાંતનો ભંગ છે. તમામ પ્લેટફોર્મ પર પ્લાન ઉપલબ્ધ ન હતા.

ટ્રાઇ દ્વારા સપ્ટેમ્બર-2020માં તમામ ટેલીકોમ કંપનીઓને ટેરિફ પ્લાન દરેક પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવવાનો આદેશ કર્યો હતો. આ જ રીતે જીયોફોન તથા જીયો ભારત ફોન ડિવાઇસવાળા ટેરિફ પ્લાનને ભેદભાવપૂર્ણ ગણાવ્યા હતા.

4જી ડિવાઇસ માટેના આ પ્લાન અન્ય સમાર્ટફોન ગ્રાહકોને ઉપલબ્ધ કરાતા નથી તે ભેદભાવપૂર્ણ હોવાથી રદ કરવાની સૂચના આપી હતી. તમામ ડિવાઇસધારકોને મળી શકે તેવા પ્લાન રાખવાની તાકિદ કરી હતી.













