રશિયાની ભારતને વધુ એક ભેટ : નોકરી માટે દરવાજા ખુલ્લા મુકયા

Written by

in

, ,

અમેરિકાના ટેરિફ સામે ભારત માટે રશિયા એક ઢાલ બનીને ઊભરી રહ્યું છે. રશિયા, યુક્રેન સાથેના યુદ્ધને કારણે મજૂરોની ભારે અછતનો સામનો કરી રહ્યું છે. આ સમસ્યા દૂર કરવા માટે તે હવે ભારત જેવા એશિયન દેશોમાંથી શ્રમિકોને બોલાવી રહ્યું છે.

જેના કારણે મશીનરી અને ઇલેક્ટ્રોનિક્સ જેવા ક્ષેત્રોમાં ભારતીય યુવાનો માટે રોજગારની નવી તકો ઊભી થઈ છે. રશિયામાં ભારતના રાજદૂત વિનય કુમારે જણાવ્યું કે, ’રશિયન કંપનીઓ ખાસ કરીને મશીનરી અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં ભારતીય શ્રમિકોને નોકરી આપવા માટે ખૂબ રસ દાખવી રહી છે.રશિયામાં રોજગારના નવા દરવાજા ખુલવાથી ભારતીય પરિવારોને લાભ થશે.

ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના આંકડા મુજબ, 2021થી 2024 દરમિયાન રશિયામાં ભારતીય કામદારોને મળેલા વર્ક પરમિટની સંખ્યામાં મોટો વધારો થયો છે, જે 5,480થી વધીને 36,208 થઈ ગયો છે.આનાથી રશિયામાં શ્રમિકોની જરૂરિયાત અને ભારતીય કામદારોની માંગ સ્પષ્ટ થાય છે. રશિયામાં ભારતીય કામદારો મુખ્યત્વે બાંધકામ અને કાપડ ઉદ્યોગમાં કામ કરે છે,

પરંતુ હવે મશીનરી અને ઇલેક્ટ્રોનિક્સ જેવા ઉચ્ચ-કુશળ ક્ષેત્રોમાં પણ તેમની માંગ વધી રહી છે.રશિયાને કુશળ શ્રમિકોની જરૂર છે અને ભારત પાસે તે ઉપલબ્ધ છે. રશિયાના નિયમો અને ક્વોટા હેઠળ ભારતીયોને ત્યાં નોકરીઓ મળી રહી છે. જોકે, ભારતીય શ્રમિકોની વધતી સંખ્યાને કારણે દૂતાવાસો પર પાસપોર્ટ રિન્યુઅલ અને અન્ય સેવાઓનું દબાણ વધ્યું છે

આ સમસ્યાને ઉકેલવા માટે, ભારતે રશિયામાં નવા વાણિજ્ય દૂતાવાસો ખોલવાની યોજના બનાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાની મુલાકાત દરમિયાન યેકાતેરિનબર્ગ અને કઝાનમાં નવા દૂતાવાસો ખોલવાની જાહેરાત કરી હતી, જેથી મુસાફરી અને વેપારને સરળ બનાવી શકાય.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *