
સાર્થક વિદ્યામંદિરમાં આજ રોજ આધ્યાત્મિક અને સંસ્કારમય માહોલ વચ્ચે ‘માતા પિતા પૂજન દિવસ’ ની ભાવભીની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓએ પોતાના માતા-પિતાનું તિલક કરી, પૂજન કરીને અને મો મીઠું કરાવી આદર વ્યક્ત કર્યો હતો.

કાર્યક્રમ દરમિયાન આશરે 50 જેટલા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ભક્તિભાવ અને સંસ્કારના માહોલમાં યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓએ માતા-પિતાના મહિમા અને તેમની જીવનમાં અગત્યની ભૂમિકા અંગે પ્રેરણાદાયક ભાષણો આપી દિવસનું મહત્વ સમજાવ્યું હતું.

આ પ્રસંગે ટ્રસ્ટી કમલેશ ગુરુજી, બન્ને પ્રધાનચાર્ય ગણેશ ગુરુજી, વિવેક ગુરુજી તેમજ વિવિધ વિભાગોના HOD ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને આશીર્વચન પાઠવ્યા હતા. વાલીઓએ પણ શાળાના આ સંસ્કારસભર આયોજનને બિરદાવ્યું હતું.

કાર્યક્રમના અંતે સર્વે ઉપસ્થિતોએ આવી પરંપરાગત અને મૂલ્યઆધારિત ઉજવણીઓ દ્વારા વિદ્યાર્થીઓમાં સકારાત્મક સંસ્કારો વિકસે તેવા સંકલ્પ વ્યક્ત કર્યા હતા.
















