
કરોડો ક્રિકેટપ્રેમીઓમાં ભારે રોમાંચ, સંજુ સેમસનના સ્થાને અભિષેક શર્મા અને અર્ષદીપના બદલે કુલદીપ યાદવ રમે તેવી શકયતા
ક્રિકેટ રસિકો જેની આતુરતા પુર્વક રાહ જોઈ રહ્યા હતા તે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો ટી-20 વર્લ્ડકપ મુકાબલો આવતી કાલે મહાશિવરાત્રીના દિવસે કોલંબોના આર.પ્રેમાદાસા સ્ટેડિયમ ખાતે રમાશે આ મેચને લઈને માત્ર ભારત અને પાકિસ્તાનમાં જ નહીં પરંતુ બાંગલાદેશમાં પણ ચર્ચા જોવા મળી રહી છે. સ્વભાવિક છે કે, બાંગ્લાદેશના ખેલાડીઓને આઈપીએલમાં રમવા ન દેતા બાંગ્લાદેશે આ વિશ્ર્વકપનો બહિષકાર કર્યો હતો. જેના સમર્થનમાં પાકિસ્તાને પણ ભારત સામેેનો મેચ રમવાની ના પાડી દીધી હતી. પરંતુ આઈસીસી અને સત્તાવાળાની સાથેની બેઠકમાં પાકિસ્તાનની શાન ઠેકાણે આવતા તેમણે આ મેચ રમવાનો નિર્ણય કર્યો હતો.

સ્વભાવિક છે કે, ટી-20 વર્લ્ડકપની આ સૌથી મોટી મેચ અને ઈવેન્ટ માનવામાં આવે છે. ફોમની દ્રષ્ટિએ જોઈએ તો ભારત હોટફેવરીટ માનવામાં આવે છે. પરંતુ પાકિસ્તાની ટીમને નબળી આંકવાની ભૂલ ભારત પણ ક્યારે કરતુ નથી ત્યારે આ મેચને લઈને ઉત્સાહ ચરમસીમા ઉપર છે.

ભારતીય ક્રિકેટ ટીમ ગઈ કાલે સાંજે કોલંબો પહોંચી હતી અને આજે ભારતીય ટીમે નેટપ્રેક્ટિસ અને પ્રેસ કોન્ફરન્સ પણ કરવા જઈ રહી છે. સ્વભાવિક રીતે જ ભારતને પ્રેક્ટિસ માટે માત્ર આજનો દિવસ જ મળ્યો છે. ત્યારે ટીમના તમામ ખેલાડીઓ પસંદગીકારો અને ટીમ મેનેજમેન્ટની નજરમાં છે. કારણ કે, ભારતે જીતેલા પ્રથમ બે મેચમાં જે ટીમ સાથે રમી હતી તેમાં આ મેચને લઈને બે-ત્રણ ફેરફાર કરવામાં આવે તેવી સંભાવના છે. સ્વભાવિક રીતે જ અભિષેક શર્મા હવે ફીટ જણાય છે અને સંજુ સેમસનની જગ્યા પર ફરી દાવનો પ્રારંભ કરવા જઈ રહ્યા છે. ઉપરાંત બોલીંગ વિભાગમાં પણ એક-બે ફેરફાર સંભવિત માનવામાં આવે છે. કોઈપણ એક બોલરને બહાર કરીને કુલદીપ યાદવને સમાવવામા આવે તેવી સંભાવના છે. જો કે આખરી નિર્ણય આવતી કાલે મેચ પૂર્વે લેવામાં આવશે.

બીજીબાજુ પાકિસ્તાની શાખ પણ દાવ પર છે. કારણ કે, વર્લ્ડકપ પૂર્વે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને પાકિસ્તાન સરકારે થોડા કાવાદાવા કરીને આઈસીસી અને ભારત ઉપર દબાણ લાવવાની કોશીષ કરી હતી પરંતુ તેમાં તેઓ સફળ ન થયા હતાં અને હવે આ મેચ જીતવા માટે તેઓ કટિબદ્ધ થયા છે. જો કે અત્યાર સુધીમાં રમાયેલા બે મેચમાં પાકિસ્તાન જીતી જરૂર છે પરંતુ દેખાવની દ્રષ્ટિએ પ્રશંસનીય રહ્યો નથી. પાકિસ્તાન નેધરલેન્ડ સામે તો માંડ માંડ જીત્યુ હતું જ્યારે બીજા મેચમાં થોડી આશાન જીત મેળવી હતી. આ મેચને લઈને બાબર આઝમ ઉપર આશા અને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

છેલ્લા મેચમાં બાબર આઝામે 48 રન બનાવ્યા હતા પરંતુ તેની બેટીંગ પહેલા જેવી રહી નથી તેવું ક્રિકેટ ચાહકો માની રહ્યા છે. આવી પરિસ્થિતિમાં ફરી એક વખત ફરહાન, સઈમ અયુબ અને સુકાની સલમાન આગા ઉપર મોટો મદાર છે. જયારે બોલીંગની વાત કરીએ તો પાકિસતાન આજે પણ સૌથી મોટો આધાર શાહીન આફ્રિદી ઉપર રાખીને બેઠું છે. એ ઉપરાંત સલમાન મિર્ઝા પણ યશસ્વી બોલર તરીકે ઉભરી આવ્યો છે. એ ઉપરાંત મહોમ્મદ નવાઝ, સદામખાન ભારતના બેટસમેનોને કેટલા અંકુશમાં રાખી શકે છે તે જોવાનું રહ્યું.

મેચમાં વરસાદનું તોળાતું વિઘ્ન
ભારત-પાક મેચને લઈને હવામાન વિઘ્ન બની શકે છે કોલંબોના હવામાન પૂર્વાનુમાન વધારે સારુ નથી. આગાહી અનુસાર રવિવારે કોલંબોમાં વાદળો છવાયેલા રહેશે અને અમુક જગ્યા પર વરસાદ પણ થઈ શકે. આખા દિવસ દરમિયાન 93 ટકા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જો કે, આ વરસાદ સવારના 10 વાગ્યાથી 60 ટકા પડે તેવી સંભાવના છે. પરંતુ બપોરે 1 વાગ્યા બાદ વરસાદની સંભાવના ઘટી છે અને સાંજે સાત વાગ્યે જ્યારે મેચ શરૂ થશે ત્યારે વરસાદ મહદઅંશે રહી ચુક્યો હશે તેવી આગાહી કરવામાં આવી છે. જો કે, મેચ નિર્ધારિત સમય કરતા 30થી 60 મીનીટ મોડો શરૂ થઈ શકે તો નવાઈ નહીં.














