
ભારત પાકિસ્તાન ટી20 વર્લ્ડ કપ મેચ વિવાદ વચ્ચે હવે એક નવો વળાંક સામે આવ્યો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) સાથે ઔપચારિક વાતચીતની માગ કરી છે. આ પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડએ ICCને પત્ર લખી ભારત સામેની મેચ ન રમવાનો નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું અને તેને અસાધારણ પરિસ્થિતિનો મામલો બતાવી પાકિસ્તાન સરકારના ટ્વિટને પણ આધાર માટે જોડ્યુ હતું.

કઈ અસાધારણ પરિસ્થિતિ? ICC
જેના જવાબમાં ICCએ PCBને પૂછ્યું છે કે તે કઈ અસાધારણ પરિસ્થિતિનો હવાલો આપી રહ્યું છે. જે હાલતનો ઉલ્લેખ કરી રહ્યું છે તેને ઓછી કરવામાં કયા પગલાં લેવા જોઈએ, સાથે જ ICCએ સ્પષ્ટ કર્યું છે કે મેચથી પાકિસ્તાન દૂર થશે તો કાયદાકીય પરિણામ અને સંભવિત પ્રતિબંધોનો સામનો કરવો પડશે. તેવામાં હવે PCBએ આ મુદ્દાને સંવાદના રસ્તાથી ઉકેલ લાવવાની વાત કરી છે. સામે પક્ષે ICCએ પણ બાંગ્લાદેશ અને પાકિસ્તાન સાથે જોડાયેલા વિવાદને ઉકેલવા ટક્કરની જગ્યાએ સંવાદનો રસ્તો અપનાવ્યો છે. ICCએ સાફ કર્યું છે કે, કોઈપણ સભ્ય દેશ સાથે નિર્ણય લેતી વખતે નિયમો, પૂર્વધારણાઓ અને ટુર્નામેન્ટની અખંડિતતાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવશે.

પૂરતા પુરાવા જરૂરી, ગર્ભિત ચેતવણી
ICCએ પોતાના વિસ્તૃત જવાબમાં એ પણ જણાવ્યું કે કઈ કઈ પરિસ્થિતિઓને કારણે કોઈ બોર્ડ અસાધારણ પરિસ્થિતિઓનો દાવો કરી શકે છે, તેના માટે પૂરતા પુરાવા જરૂરી છે. મેચથી દૂર રહેવા પર રમત, વ્યાવસાયિક અને કાયદાકીય પરિણામ શું શું હોય શકે, આર્થિક નુકસાનની પણ ચેતવણી આપવામાં આવી છે.

સંવાદ માટે તૈયાર
સૂત્ર મુજબ, ICCએ પોતાની સત્તાવાર નીતિ મુજબ સ્પષ્ટ કર્યું છે કે તે કોઈ પણ વિવાદને ઉકેલવા માટે વાતચીત માટે તૈયાર છે પણ નિયમોનું ઉલ્લંઘન થશે તો કાર્યવાહીમાં કોઈ કચાશ છોડવામાં આવશે નહીં. રમતનું હિત એક તરફના નિર્ણયથી ઉપર છે અને ભવિષ્યમાં ખોટા ઉદાહરણ ઊભા ન થાય તે માટે આવું રોકવું પણ જરૂરી છે.

PCBની શાન ઠેકાણે આવી
ICC ઔપચારિક નિવેદન પછી PCBની શાન ઠેકાણે આવી લાગે છે. ICC સમક્ષ વાતચીતનો પ્રસ્તાવ મૂક્યો છે. હાલ ICC અને PCB વચ્ચે સંવાદ શરૂ છે કારણ કે વિવાદનું સમાધાન જરૂરી છે. આ વલણ સાથે ICCએ ફરી એક વખત સાબિત કર્યું છે કે તેનો ઉદ્દેશ્ય ક્રિકેટ, ખેલાડીઓ અને ચાહકોના હિતનું રક્ષણ કરવાનો છે.















