

મધ્ય પૂર્વમાં ઈરાન સાથેના યુદ્ધે વિશ્વભરમાં ઊર્જાનું મોટું સંકટ ઉભું કર્યું છે. આ કટોકટીની સીધી અસર ભારતના પાડોશી દેશો પર પડી રહી છે. બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ અને ભૂતાન જેવા દેશો ઇંધણ માટે ભારત તરફ મીટ માંડીને બેઠા છે, ત્યારે ભારત સરકારે અત્યંત મહત્વનો અને કડક નિર્ણય લીધો છે.

વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ભારતની પ્રથમ પ્રાથમિકતા પોતાની સ્થાનિક માંગ પૂરી કરવાની રહેશે. જો આપણી જરૂૂરિયાતો સંતોષાયા બાદ તેલનો જથ્થો વધશે, તો જ પાડોશી દેશોને નિકાસ કરવામાં આવશે.

ઈરાન યુદ્ધને કારણે હોર્મુઝ સ્ટ્રેટ જેવો મહત્વનો દરિયાઈ માર્ગ બંધ થઈ ગયો છે, જેના કારણે કાચા તેલના વહન પર મોટી બ્રેક લાગી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ આસમાને પહોંચ્યા છે. ભારતના પાડોશી દેશો તેમની જરૂૂરિયાત માટે સંપૂર્ણપણે ભારત પર નિર્ભર છે. જોકે, વર્તમાન સ્થિતિને જોતા ભારત હવે દરેક વિનંતીની ઝીણવટભરી તપાસ કરી રહ્યું છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે, અમને અનેક દેશોની વિનંતીઓ મળી છે, પરંતુ ઉપલબ્ધ સ્ટોક અને ઘરઆંગણે વધતી માંગને ધ્યાનમાં રાખીને જ નિર્ણય લેવાશે.

ભારત પાસે વિશ્વનું ચોથું સૌથી મોટું રિફાઇનિંગ નેટવર્ક છે. જ્યારે ચીન જેવા દેશોએ આ સંકટને જોતા રિફાઇન્ડ ઇંધણની નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો છે, ત્યારે ભારતે હજુ સુધી આવો આકરો નિર્ણય લીધો નથી.

ભારત સરકાર રાજદ્વારી સંબંધો અને આર્થિક હિતો વચ્ચે સંતુલન જાળવી રહી છે. તેલ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ દેશવાસીઓને ખાતરી આપી છે કે ભારત પાસે હાલમાં પોતાની માંગ પૂરી કરવા માટે પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે, તેથી ગભરાવાની જરૂૂર નથી.

અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના આ યુદ્ધે વૈશ્વિક સપ્લાય ચેઈનને તોડી નાખી છે. જો આ સંકટ લાંબુ ચાલશે તો ભારત માટે પાડોશી દેશોને મદદ કરવી મુશ્કેલ બની શકે છે. અત્યાર સુધી ભારતે મુશ્કેલીના સમયમાં ’ફર્સ્ટ રિસ્પોન્ડર’ તરીકે ભૂમિકા ભજવી છે,

પરંતુ યુદ્ધની ગંભીરતાને જોતા હવે “પહેલા પોતાની જરૂૂરિયાત” નીતિ જ દેશના હિતમાં હોવાનું સરકાર માની રહી છે. આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે તેલના ભાવ કઈ દિશામાં જાય છે તેના પર ભારતની આગામી રણનીતિનો આધાર રહેશે.













