
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના ઉપક્રમે સમગ્ર દેશમાં યોજાઈ રહેલી વિવિધ એકતા પ્રવૃત્તિઓના અનુસંધાને મોરબી જિલ્લાના વાંકાનેર વિધાનસભા મતવિસ્તારમાં ધારાસભ્યની આગેવાની હેઠળ ભવ્ય એકતા પદયાત્રા યોજાઈ હતી. વાંકાનેર શહેર તથા આસપાસના વિસ્તારોના નાગરિકોએ આ પદયાત્રામાં આનંદપૂર્ણ જોડાઈ રાષ્ટ્રભક્તિના ઉમળકાભર્યા માહોલનું નિર્માણ કર્યું હતું.

રાતીદેવડીથી નગરપાલિકાનું ટાઉનહોલ સુધી નીકળેલી આ ભવ્ય પદયાત્રાને માર્ગમાં અનેક સ્થળોએ નાગરિકો, સમાજ આગેવાનો, સંસ્થાઓ અને શાળા-કોલેજોના વિદ્યાર્થીવર્ગે હર્ષોલ્લાસપૂર્વક આવકારી હતી. શહેરની મુખ્ય બજારોમાં વેપારીઓએ પદયાત્રા પર પુષ્પવર્ષા કરી રાષ્ટ્રનાયક સરદાર પટેલ પ્રત્યે શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી હતી. વિવિધ સંસ્થાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો અને દેશભક્તિના સ્વરોથી યાત્રાનો આવકાર કરવામાં આવ્યો હતો.

પ્રસંગને ઉજળો બનાવતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ સરદાર પટેલની 150મી જન્મજયંતિના નિમિત્તે અભિનંદન વ્યક્ત કરી દેશના એકીકરણમાં તેમના અમૂલ્ય યોગદાનને સ્મર્યા હતા. વક્તા વર્ષાબેન દોશીએ ‘લોખંડી પુરુષ’ સરદાર પટેલના જીવન-કથા, સત્યાગ્રહો, સ્વાતંત્ર્ય આંદોલન અને રાષ્ટ્રીય એકતામાં તેમના પ્રભાવશાળી યોગદાન પર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

ટાઉનહોલ ખાતે આયોજિત સમાપન સમારંભમાં એકતા શપથ લેવાઈ પદયાત્રાનો સુઘડ સમાપન કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે વાંકાનેર નગરપાલિકાના પ્રમુખ ડિમ્પલબેન સોલંકી, વાંકાનેર પ્રાંત અધિકારી ડો. વિપુલ સાકરીયા, નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડા, મામલતદાર કે.વી. સાનિયા, ચીફ ઓફિસર ગિરીશ સેરૈયા, તાલુકા વિકાસ અધિકારી પાયલબેન ચૌધરી સહિત અગ્રણીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પદયાત્રામાં ઉલ્લેખનીય સંખ્યામાં લોકોના ઉમળકા ભરેલા સહભાગથી વાંકાનેરમાં રાષ્ટ્રપ્રેમ, એકતા અને સૌહાર્દનો જીવંત સંદેશ સ્ફૂર્યો હતો.



