

હાલ વિશ્વમાં ચાલી રહેલા ઈરાન-ઈઝરાયેલ વચ્ચેના યુધ્ધની અસર માત્ર તે દેશો સુધી મર્યાદિત રહી નથી, પરંતુ તેની સીધી અને આડકતરી અસર વિવિધ દેશોના ઉદ્યોગો પર પણ જોવા મળી રહી છે. આ પરિસ્થિતિમાં વાંકાનેર તાલુકાનો રિફકટરીઝ એન્ડ મીનરલ્સ ઉદ્યોગ પણ ગંભીર મુશ્કેલીમાં મુકાયો છે.

મળતી માહિતી મુજબ આ યુધ્ધને કારણે રીફેકટરીઝ એન્ડ મિનરલ્સ ઉદ્યોગ માટે ઉપયોગી રો-મટીરીયલ્સની આયાત અટકી પડી હોય તેમજ વિદેશમાં મોકલવાના એકસપોર્ટ ઓર્ડરો પણ પેન્ડીંગ થઈ ગયા છે. જેના કારણે ફેકટરીઓમાં તૈયાર થયેલી પ્રોડકટના ગોડાઉન ભરાઈ જતા ઉદ્યોગકારો માટે ઉત્પાદન ચાલુ રાખવું મુશ્કેલ બની રહ્યું છે.

આ અંગે વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ પ્રજ્ઞેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે શરૂ થયેલા યુધ્ધની અસર ઘણા ઉદ્યોગો પર પડી રહી છે. વાંકાનેરનો રિફેકટરીઝ ઉદ્યોગ પણ તેની અસરથી બચી શકયો નથી. હાલ વિદેશમાં મોકલવાના એકસપોર્ટ ઓર્ડર અટવાઈ ગયા છે અને રો મટિરિયલ્સની આયાત બંધ થઈ ગઈ હોવાથી ઉત્પાદન પ્રક્રિયા પર ગંભીર અસર પડી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રિફેકટરીઝ પ્રોડકટ બનાવવા માટે અમુક પ્રમાણમાં રો મટીરીયલ્સ વિદેશથી આયાત કરવામાં આવે છે. જયારે બાકીની સામગ્રી લોકલ માર્કેટમાંથી જુદી જુદી કંપનીઓ અને સપ્લાયરો પાસેથી મેળવવામાં આવે છે. પરંતુ હાલની યુધ્ધની સ્થિતિને કારણે આયાત પ્રક્રિયા ખોરવાઈ જતા ઉદ્યોગકારોની મુશ્કેલીઓમાં વધારો થયો છે.

જો આવનારા સમયમાં પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો વાંકાનેરની અંદાજે 50થી 60 જેટલી રિફેકટરીઓ બંધ કરવાની નોબત આવી શકે છે. જેના કારણે લગભગ 3000 જેટલા કામદારો, મજૂરો અને કર્મચારીઓ બેરોજગાર બનવાની શકયતા છે.

આ ઉપરાંત રીફેકટરીઝ ઉદ્યોગ સાથે જોડાયેલા ટ્રાન્સપોર્ટ વ્યવસાય, લોડિંગ-અનલોડિંગ કામદારો તેમજ ફેકટરી આસપાસના નાના-મોટા વેપારીઓના ધંધા પર પણ તેની નકારાત્મક અસર થવાની શકયતા વ્યકત કરવામાં આવી રહી છે.

યુધ્ધની સ્થિતિને કારણે લોકલ માર્કેટમાં પણ માંગમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે, જેના કારણે ઉદ્યોગકારો માટે હાલની પરિસ્થિતિ વધુ ચિંતાજનક બની છે. ઉદ્યોગકારોના મતે જો યુધ્ધની પરિસ્થિતિ જલ્દી સમાપ્ત નહીં થાય તો વાંકાનેરના રિફેકટરીઝ ઉદ્યોગને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.








