
આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ છે. સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. આવતીકાલે કોના ઘરે હશે દિવાળી જેવો માહોલ?

રાજ્યભરમાં થયેલી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીના પરિણામ માટે મતગણતરી આવતીકાલે સવારે 9 વાગ્યાથી શરૂ થશે. મતગણતરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પાર પાડવા માટે વહીવટીતંત્ર સજ્જ બન્યું છે.

ગઈકાલે યોજાયેલા મતદાનમાં મતદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. મહાનગરપાલિકાઓમાં સરેરાશ 55.11% મતદાન નોંધાયું હતું. તેમાં સૌથી વધુ મતદાન વાપી મહાનગરપાલિકામાં 72.29% થયું હતું, જ્યારે સૌથી ઓછું મતદાન ગાંધીધામ મહાનગરપાલિકામાં 46.3% નોંધાયું હતું.

રાજ્યની નગરપાલિકાઓમાં 65.53% મતદાન થયું હતું, જ્યારે જિલ્લા પંચાયતોમાં 66.62% અને તાલુકા પંચાયતોમાં 67.26% મતદાન નોંધાયું હતું, જે ગ્રામ્ય વિસ્તારોમાં સક્રિય લોકભાગીદારી દર્શાવે છે.

હવે સૌની નજર આવતીકાલે જાહેર થનારા પરિણામો પર ટકી છે, જે રાજ્યના સ્થાનિક શાસનમાં નવા રાજકીય સમીકરણો ઉભા કરી શકે છે. ચૂંટણીના પરિણામોને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા જરૂરી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
























