
વડાપ્રધાન મોદી તા.11મીએ સોમનાથની યાત્રા કરશે. સોમનાથમાં તા.8 થી 11 જાન્યુઆરી દરમ્યાન યોજાનારી `સોમનાથ સ્વાભિમાન પર્વ’માં વડાપ્રધાન મોદી ભાગ લેશે. આ પ્રસંગ નિમિત્તે અનેક સામાજિક અને આધ્યાત્મિક કાર્યક્રમ યોજાશે.

ઉલ્લેખનીય છે કે, 6 જાન્યુઆરીએ આજથી 1 હજાર વર્ષ પહેલા મહમૂદ ગઝનીએ સોમનાથ મંદિરના વિધ્વંશ કર્યો હતો. તેમ છતાં વર્ષો સુધી સોમનાથ અડિખમ રહ્યું હતું. જેને લઇને સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત એક વર્ષ સુધી કાર્યક્રમો યોજાશે.

સોમનાથમાં તા.8થી 11 સુધી આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને સામાજિક ગતિવિધિની શૃંખલા ચાલશે. સ્થાનિક પ્રશાસન અને ટ્રસ્ટ દ્વારા વડાપ્રધાનના આગમનને લઇને તૈયારી શરુ કરી દેવાઇ છે.

ભાજપ પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ આ સોમનાથ સ્વભિમાન પર્વને લઇને જણાવ્યું હતું કે આ વિષય રાજનીતિ સાથે નથી જોડાયેલો, બલ્કે ભારતની ઓળખ અસ્મિતા અસ્તિત્વ અને તેના ભવિષ્ય સાથે સંબંધિત છે.

તેમણે જણાવ્યું હતું કે દરેક દેશના ઇતિહાસમાં કેટલાક એવા વળાંક અને તારીખો હોય છે, જે ભલે પીડાદાયક હોય પણ તેમને યાદ રાખવું જરૂરી હોય છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાની પુનરાવૃત્તિ ન થાય તેમણે યાદ દેવડાવ્યું હતું કે 26મી જાન્યુઆરી એટલે કે એક હજાર વર્ષ પહેલા આ દિવસે મહમૂદ ગજનીએ સોમનાથ મંદિરનો વિધ્વંશ કર્યો હતો. સોમનાથ મંદિરને દ્વાદશ જ્યોતિર્લિંગોમાં પ્રથમ માનવામાં આવે છે અને તેનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ અત્યંત વિશેષ છે.

ડો. ત્રિવેદીએ જણાવ્યું હતું કે સોમનાથ માત્ર મંદિર નહીં, આસ્થાનું પ્રતિક છે. માન્યતા છે કે તેના દર્શન માત્રથી પાપોનો નાશ થઇ જાય છે. પુણ્યની પ્રાપ્તિ થાય છે અને મનોવાંછિત ફળ મળે છે. આ કારણે સોમનાથ ભારતનો આત્મા અને તેની સનાતન પરંપરાનું પ્રતિક માનવામાં આવે છે.

તેમણે 1951 11મેનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે જ્યારે સોમનાથ મંદિરની પુનઃ સ્થાપના થઇ રહી હતી ત્યારે દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદે કહ્યું હતું કે સોમનાથની પૂર્ણ પ્રતિષ્ઠા માત્ર મંદિરના પુનઃ નિર્માણથી નહીં થાય, બલ્કે ત્યારે માનવામાં આવશે.

જ્યારે ભારત પણ એ સમૃધ્ધિના શિખર પર પહોંચશે. જેના કારણે ભૂતકાળમાં આ ક્રાંતાઓએ અહીં હુમલા કર્યા હતા. ડો. ત્રિવેદીએ જણાવ્યું હતું કે 1951માં તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુના વિરોધ છતાં રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદની હાજરીમાં આ સંકલ્પ સાકાર થયો હતો.

આજે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત ઝડપથી સમૃદ્ધિ તરફ આગળ વધી રહ્યું છે ને તે સપનુ હવે સાકાર થવાની દિશામાં છે. તેમણે જણાવ્યું હતું કે સોમનાથના સંકલ્પનો વિચાર આજે વાસ્તવિકતા બનતો નજરે પડે છે.

ગુજરાતમાંથી ભાજપના કાર્યકર્તાઓને પરિવાર સાથે સોમનાથના દર્શને લઈ જવાશે
દેશભરના ભાજપના મહાનુભાવો સોમનાથ દાદાના દર્શને આવશે

સોમનાથ મંદિરને મહમુદ ગઝનીએ વિધ્વંશ કર્યાને 6 જાન્યુઆરીએ એક હજાર પુરા થતા હોઈ ભાજપ દ્વારા એક વર્ષ સુધી સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી થશે. આ ઉજવણી નિમિતે સોમનાથમાં તા.8થી11 જાન્યુઆરી દરમિયાન આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને સામાજીક કાર્યક્રમોની શૃંખલા ચાલશે. જેમાં તા.11મી જાન્યુઆરીએ વડાપ્રધાન મોદી પણ ભાગ લેનાર છે.

આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી નિમિતે ગુજરાતમાંથી ભાજપના કાર્યકર્તાઓ અને તેમના પરિવારોને સોમનાથ દાદાના દર્શને લઈ જવાનું આયોજન થયું છે. આ ઉપરાંત સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિતે દેશભરના ભાજપના મહાનુભાવો-નેતાઓ પણ સોમનાથના દર્શને આવશે.





