
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત મોરબી જિલ્લાની શાળાઓમાં બાળકો અને શિક્ષકો દ્વારા અનેક વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે જિલ્લાની આશરે 800 જેટલી શાળાઓના બાળકો દ્વારા 15 હજાર જવાનોને પત્ર લખી તેમને બિરદાવવામાં આવ્યા છે.

હર ઘર તિરંગા અભિયાન અન્વયે સમગ્ર રાજ્યમાં બાળકો દ્વારા આપણી સરહદ પર રાત દિવસ જોયા વિના હંમેશા તૈનાત અને માતૃ ભૂમિની રક્ષા કરતા જવાનોના શોર્ય, માતૃભૂમિ પ્રત્યેના પ્રેમ અને દેશદાઝ માટે તેમને બિરદાવવા પત્રો લખવામાં આવી રહ્યા છે. ત્યારે આ પ્રવૃત્તિમાં અત્યારે સુધી મોરબીની આશરે 800 જેટલી શાળાઓ જોડાઈ છે અને આ શાળાઓના બાળકો દ્વારા 15 હજાર જવાનોને પત્ર લખવામાં આવ્યા છે.

મોરબી જિલ્લાની વિવિધ સરકારી અને ખાનગી શાળાઓએ ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને જિલ્લાની વિવિધ શાળાઓના બાળકો જાહેર માર્ગો અને ગ્રામ્ય વિસ્તારોમાં દેશભક્તિના નારા તથા તિરંગા સાથે રેલી યોજી લોકોને તિરંગાના તને માન પ્રત્યે જાગૃત કરી રહ્યા છે અને લોકોમાં દેશભક્તિનો માહોલ બનાવી રહ્યા છે.



















