
મોરબી મહાપાલિકાની ચૂંટણી માટે હાલમાં પ્રચાર ચાલી રહ્યું છે દરમિયાન હવે શાબ્દિક યુદ્ધ અને આક્ષેપો શરૂ થયા હોય તેવું ઘાટ જોવા મળી રહ્યો છે મોરબીમાં બે દિવસ પહેલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કે જેના દિકરા સહિત કુલ ચાર લોકોને ભાજપની ટિકિટ ન મળવાથી અપક્ષની પેનલ બનાવીને હાલમાં વોર્ડ નં. 1 માંથી ચૂંટણી લડી રહ્યા છે .

તેની ચૂંટણી સભામાં ટિકિટ કાપવાની વાતને લઈને ટિકિટ કપનારની આત્માને ભગવાન શાંતિ આપે તે માટે ઘરે 111 દિવસ સુધી અખંડ દીવો ચાલુ રાખ્યો છે તેવી વાત કરી હતી. જે નિવેદનનો રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ ચૂંટણીની જાહેર સભાના મંચ ઉપરથી સણસણતો જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે, દિવામાં ઘી હરામના પૈસાનું છે, ઘરના પૈસાનું નથી, તમે દીવો રાખવા કરતાં બંદૂક લઈને સામે આવોને આ વેપારીનું ગામ છે જેથી આ મુદ્દાને લઈને હાલમાં મોરબીના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપમાંથી 427 કરતાં વધુ આગેવાનોએ ટિકિટની માંગણી કરી હતી જેમાંથી અનેક આગેવાનને ટિકિટ મળી નથી જે પૈકીના અમુક અપક્ષમાં ઉમેદવારી કરીને હાલમાં ચૂંટણી લડી રહ્યા છે જો કે, અમુક સાઇલેન્ટ થઈ ગયા છે.

દરમિયાન વોર્ડ નં. 1 માંથી પાલિકાના પૂર્વ પ્રમુખ દેવાભાઈ અવાડિયાએ પોતાની તથા તેના દીકરા અમિતભાઈ અવાડિયા અને તેની જૂની પેનલના ત્રણ સભ્યોની ભાજપ પાસે ટિકિટ માંગી હતી જોકે, દેવાભાઈ અવાડીયા કે તેમના દીકરા અથવા તો તેની જૂની પેનલમાંથી કોઈને પણ ટિકિટ આપી નથી જેથી દેવાભાઈ અવડીયાના દીકરા સહિત કુલ ચાર આગેવાનોની અપક્ષમાં પેનલ બનાવીને વોર્ડ નં. 1 માંથી ઉમેદવારી કરવામાં આવી છે.

વોર્ડ નં. 1 માં અપક્ષ ઉમેદવારોના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું વાવડી રોડ ઉપર આવેલ સરદાર ચેમ્બર ખાતે બે દિવસ પહેલા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી પાલિકાના પૂર્વ પ્રમુખ દેવાભાઈ અવાડિયા દ્વારા સભાને સંબોધતા તેઓએ પોતાના વિસ્તારમાં કરેલા કામોની યાદી બતાવી હતી અને ત્યારબાદ મંચ ઉપરથી પોતાની અને તેના દીકરાની તથા તેની પેનલની ટિકિટ કપાવો બાબતે કહ્યું હતું કે હું કોઈનું નામ નથી લેતો પરંતુ મારા ઘરે અખંડ દીવો રાખ્યો છે અને ઉપર વાળાને પ્રાર્થના કરું છું કે જેણે મારી અને અમારી પેનલની ટિકિટો કાપી છે તેને ત્રણ મહિનાને 21 દિવસ એટલે કે કુલ 111 દિવસમાં ભગવાન તેના આત્માને શાંતિ આપે હું તેના ફોટાને પગે લાગવા જઈશ.

દરમિયાન ગઈકાલે મોરબીની ઉમા ટાઉનશિપ ખાતે વોર્ડ નં. 3 ના ભાજપના ઉમેદવારોના સમર્થનમાં ચૂંટણી સભા રાખી હતી જેમાં રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ અખંડ દીવો રાખવાની જે વાત પાલિકાના પૂર્વ પ્રમુખે કરી હતી.

તેનો જવાબ આપતા કહ્યું હતું કે, ઘણા બધાને ટિકિટ મળી નથી, તેવામાં હમણાં એક જણાએ એવું કહ્યું કે, અખંડ દીવો રાખ્યો છે અને મારી ટિકિટ કાપી છે તેનું ભગવાન ધનોત પનોત કાઢે, પરંતુ કાકા દીવામાં ઘી હરામના પૈસાનું છે .

ઘરના પૈસાનું નથી, તમે દીવો રાખવા કરતાં બંદૂક લઈને આવોને, ગામને કનડે તેની તો ટિકિટ કાપવાની જ હોય, હું કોઈ જ્ઞાતિ વાદનો માણસ નથી પરંતુ જે દાદાગીરી કરે તેની સાથે જિંદગીમાં પણ બાંધ છોડ કરી જ નહીં આવો પડકાર ફેંક્યો છે જેથી હાલમાં મોરબીના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને મહાપાલિકાની પ્રથમ ચૂંટણી લોહિયાળ બને તેવા સંકેતો મળી રહ્યા છે.











