વાહનોના અડધા ટાયર ડૂબી જાય તેટલું પાણી ભરાયું, લાખો લિટર પાણીનો વેડફાટ થતાં લોકોમાં રોષ


મોરબી શહેરમાં કેનાલમાંથી પાણી વેડફાવાની ઘટના ફરી એકવાર સામે આવી છે. ગત અઠવાડિયે રવાપર કેનાલ રોડ પર મચ્છુ-૨ કેનાલનું લાખો લિટર પાણી વેડફાયા બાદ આજે મંગળવારે સાંજના સમયે પંચાસર ચોકડી નજીક નાની કેનાલ રોડ પર ફરીથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. કેનાલની કુંડી ઓવરફ્લો થતાં કે તૂટી જતા પાણી સીધું જ રોડ પર ફરી વળ્યું હતું, જેના કારણે માર્ગ ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ પંચાસર ચોકડીથી નાની કેનાલ તરફ જતા માર્ગ પર આવેલી કેનાલની કુંડીમાં કચરો ફસાઈ જવાથી અથવા અન્ય કોઈ ટેક્નિકલ કારણોસર કુંડી તૂટી ગઈ હોવાનું સામે આવ્યું છે. પરિણામે મચ્છુ-૨ કેનાલનું પાણી મોટી માત્રામાં રોડ પર ફરી વળ્યું હતું. માર્ગ પર એટલું પાણી ભરાઈ ગયું હતું કે ત્યાંથી પસાર થતા વાહનોના અડધા ટાયર સુધી પાણીમાં ડૂબી જતા હતા.

નાની કેનાલ રોડ પર પાણી ભરાઈ જતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. એક તરફ પાણી બચાવવાના સંદેશા આપવામાં આવે છે ત્યારે બીજી તરફ લાખો લિટર પાણીનો બેફામ વેડફાટ થતાં સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઈ છે.

ઉલ્લેખનીય છે કે, ગત અઠવાડિયે પણ રવાપર રોડ નજીક આ જ પ્રકારની ઘટના સામે આવી હતી. ત્યારે સિંચાઈ વિભાગ દ્વારા પ્રજાજનો પર દોષારોપણ કરવામાં આવ્યું હતું. હવે ફરી એકવાર આવી ઘટના બનતા સ્થાનિકોએ સિંચાઈ વિભાગ તાત્કાલિક અસરથી સમસ્યાનો કાયમી ઉકેલ લાવે તેવી માંગણી ઉઠાવી છે.
























