ધોરણ-૮ પછીના વિદ્યાર્થીઓને આધુનિક ટેક્નોલોજી સાથે કારકિર્દી માર્ગદર્શન મળશે

મોરબી : ઉનાળાની રજાઓ દરમિયાન વિદ્યાર્થીઓ પોતાના સમયનો સદુપયોગ કરી શકે અને ભવિષ્ય માટે નવી દિશા મેળવી શકે તે હેતુસર મોરબી જિલ્લામાં આગામી ૨૮મીથી વિશાળ “સમર સ્કિલ વર્કશોપ”નું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્કશોપમાં ધોરણ-૮ પાસ કર્યા બાદના વિદ્યાર્થીઓને વિવિધ ટેક્નિકલ તેમજ વ્યવસાયિક ક્ષેત્રોની તાલીમ આપવામાં આવશે.

આયોજકોના જણાવ્યા મુજબ, આજના સ્પર્ધાત્મક યુગમાં માત્ર પાઠ્યપુસ્તક આધારિત જ્ઞાન પૂરતું નથી. વિદ્યાર્થીઓને ટેક્નોલોજી, કોમ્યુનિકેશન અને પ્રેક્ટિકલ સ્કિલ્સ અંગે પણ માર્ગદર્શન મળે તે માટે આ વર્કશોપ ખાસ ઉપયોગી સાબિત થશે. વર્કશોપમાં કમ્પ્યુટર, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, સિવિલ, સર્વેયર, ઓટોમોબાઈલ, રેફ્રિજરેશન, ફેશન ડિઝાઈનિંગ, હેલ્થ સેનિટરી ઈન્સ્પેક્ટર સહિત ૧૩થી વધુ ક્ષેત્રોની મૂળભૂત માહિતી આપવામાં આવશે.

મોરબી, ટંકારા, વાંકાનેર, હળવદ અને માળિયા તાલુકાના વિદ્યાર્થીઓ માટે આ આયોજન ખુલ્લું રાખવામાં આવ્યું છે. બે દિવસીય આ વર્કશોપમાં નિષ્ણાત ટ્રેનરો દ્વારા માર્ગદર્શન, પ્રેક્ટિકલ ડેમો તથા કારકિર્દી અંગે માર્ગદર્શન આપવામાં આવશે.

આ ઉપરાંત વિદ્યાર્થીઓને ભવિષ્યમાં કયા ક્ષેત્રમાં વધુ તકો ઉપલબ્ધ છે, કઈ સ્કિલ્સની માંગ વધી રહી છે તેમજ ટેક્નિકલ અભ્યાસ દ્વારા રોજગારીની સંભાવનાઓ કેવી રીતે વધારી શકાય તે અંગે પણ માહિતી આપવામાં આવશે. વર્કશોપ પૂર્ણ કરનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવશે.

આયોજક સંસ્થાએ વિદ્યાર્થીઓ અને વાલીઓને સમયસર નોંધણી કરાવી આ તકનો લાભ લેવા અપીલ કરી છે. શિક્ષણ સાથે વ્યવસાયિક કૌશલ્યનો વિકાસ થાય તેવા હેતુથી આયોજિત આ વર્કશોપ મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
























