
વોટ્સએપ જેવા ગ્લોબલ પ્લેટફોર્મ પર અબજો યુઝર્સ છે. ભારતમાં એના 500 મિલિયનથી વધુ યુઝર્સ છે. આથી એનો ઉપયોગ વધુ કરવામાં આવે એ સમજી શકાય છે. આ એપ્લિકેશનનો ઉપયોગ જેટલો વધુ એટલા જ એના પર સ્કેમ પર વધુ થાય છે. ફાયદાની સાથે ગેરફાયદા પણ એટલા જ હોય છે. આથી આ ગેરફાયદા એટલે કે સ્કેમને અટકાવવા માટે સરકાર દ્વારા કેટલાક નિયમ બનાવવામાં આવ્યાં છે. આ નવા નિયમ હેઠળ વોટ્સએપ દ્વારા નિયમનું પાલન કરવું ફરજિયાત બની ગયું છે. આ નિયમ હેઠળ વોટ્સએપ વેબ પરથી દર છ કલાકમાં યુઝર ઓટોમેટિક લોગઆઉટ થઈ જશે.

શું છે નવો નિયમ?
ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન દ્વારા નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે જેમાં કોઈ પણ ડિવાઇસ રજિસ્ટર્ડ સિમ કાર્ડ વગર એપ્લિકેશનને એક્સેસ નહીં કરી શકે. વોટ્સએપ, સિગ્નલ અને ટેલિગ્રામ જેવી એપ્લિકેશન વોટ્સએપ વેબનો વિકલ્પ પણ આપે છે. આથી આ નિયમની અસર એ સર્વિસ પર પણ પડી છે. આ નિયમને કારણે વોટ્સએપ વેબ જેવી સર્વિસ હવે દર છ કલાકે યુઝરને ઓટોમેટિક લોગ આઉટ કરી દેશે. પહેલાં આ સર્વિસ જ્યાં સુધી યુઝર પોતે લોગઆઉટ ન કરે ત્યાં સુધી ઉપયોગ કરી શકતા હતા.

ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન દ્વારા કહેવામાં આવ્યું છે કે આ પગલું વધતી ડિજિટલ ફ્રોડને અટકાવવા માટે લેવામાં આવ્યું છે. જોકે ટેક્નોલોજી ઇન્ડસ્ટ્રીના લોકોનું માનવું છે કે એના કારણે યુઝર્સની પ્રાઇવસી પર જોખમ આવી શકે છે. આ સાથે જ ઇન્ટરનેશનલ ટ્રાવેલર્સને ઘણી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે કારણ કે ઇન્ટરનેશનલ રોમિંગ નહીં હોય તો એ સર્વિસ બંધ થઈ જશે. તેમ જ એક કરતાં વધુ ડિવાઇસ પર વોટ્સએપનો ઉપયોગ કરનારા યુઝર્સને પણ હવે તકલીફ પડશે. ટેલિકોમ કંપની દ્વારા આ નિયમનો વધાવવામાં આવ્યો છે, પરંતુ ટેક કંપનીઓ એનો વિરોધ કરી રહ્યાં છે. કેટલાક એક્સપર્ટનું કહેવું છે કે આ રીતે સિમ કાર્ડને કોમ્યુનિકેશન સાથે લિંક કરવાનું એ દરેક દેશમાં નથી થતું.

શું બદલાઈ જશે?
ટેલિકોમ્યુનિકેશન સાઇબરસિક્યોરિટી અમેન્ડમેન્ટ રૂલ, 2025ના આધારે સરકાર દ્વારા ટેલિકોમ્યુનિકેશન આઇડેન્ટિફાયર યુઝર એન્ટિટી નિયમ બનાવ્યો છે. આ નિયમને આધારે એ એક એન્ટિટી બની જશે. આ નિયમ અનુસાર યુઝરને ઓળખવા માટે એના મોબાઇલ નંબરનો ઉપયોગ કરવામાં આવશે. આ નિયમને લઈને વોટ્સએપ, ટેલિગ્રામ, સિગ્નલ, અરાટ્ટાઇ, સ્નેપચેટ, શેરચેટ, જિયોચેટ અને જોશ જેવી વિવિધ એપ્લિકેશનને નોટિસ પણ મોકલી આપવામાં આવી છે. આ નોટિસ અનુસાર 90 દિવસની અંદર તેમની સર્વિસ નંબર સાથે લિંક થઈ જવી જોઈએ. સિમ કાર્ડ વગર સર્વિસને એક્સેસ આપવાની મનાઈ ફરમાવવામાં આવી છે. આથી વેબ સર્વિસને દર છ કલાકે ઓટોમેટિક લોગઆઉટ કરી દેવું પડશે. કંપનીઓ દ્વારા આ નિયમનો સ્વીકાર કરવામાં આવ્યો છે અને અમલ કરવામાં આવ્યો છે એનો રિપોર્ટ આગામી ચાર મહિનામાં સરકારને મોકલવો પડશે.

વોટ્સએપ હાલમાં વન-ટાઇમ પાસવર્ડ દ્વારા યુઝરની ઓળખ મેળવી રહ્યું છે, પરંતુ હવે બહુ જલદી સરકારના નિયમ અનુસાર સિમ કાર્ડનો IMSI નંબરને પણ ઓળખવામાં આવશે. IMSIનો અર્થ ઇન્ટરનેશનલ મોબાઇલ સબસ્ક્રાઇબર આઇડેન્ટિટી છે. આ નંબર દુનિયાના દરેક મોબાઇલ નંબર માટે અલગ છે. આ નંબરને સિમ કાર્ડમાં સ્ટોર કરવામાં આવે છે. વોટ્સએપ ભારતના તમામ યુઝર્સ માટે તેની સર્વિસને હવે રિ-એન્જિનિયર કરશે. દુનિયાના તમામ દેશ માટે આ સર્વિસ એકદમ અલગ છે.

સિમ બાઇન્ડિંગ માટે સરકારનો નિયમ
સરકારી કર્મચારીઓને છેતરપિંડી કરનારને શોધવામાં ખૂબ જ તકલીફ પડી રહી છે. તેઓ જે સિમ કાર્ડનો ઉપયોગ કરે છે એ અલગ લોકેશન પર હોય છે અને વોટ્સએપ અલગ જગ્યાએ હોય છે. આથી એને શોધવું અશક્ય છે. સરકાર દ્વારા કંપનીઓને મોકલવામાં આવેલી નોટિસમાં કહ્યું છે કે ‘કેન્દ્ર સરકારની જાણમાં આવ્યું છે કે કેટલીક એપ આધારિત કોમ્યુનિકેશન સર્વિસ છે જે સિમ કાર્ડ વગર પણ સર્વિસનો ઉપયોગ કરવા દે છે. આ સાઇબર સિક્યોરિટી માટે ખૂબ જ મોટી ચેલેન્જ છે. દેશની બહાર આ સર્વિસનો ઉપયોગ કરી સાઇબર ફ્રોડ કરવામાં આવી રહ્યું છે.’









