HomeAll2027થી મોબાઇલમાં બદલાય તેવી બેટરી ફરજિયાત યુરોપિયન યુનિયનનો ઐતિહાસિક નિર્ણય

2027થી મોબાઇલમાં બદલાય તેવી બેટરી ફરજિયાત યુરોપિયન યુનિયનનો ઐતિહાસિક નિર્ણય

ઇ-વેસ્ટ ઘટાડવા, ગ્રાહકોને આસાનીથી બેટરી બદલાવી શકે અને સ્માર્ટફોન ઉદ્યોગમાં પરિવર્તન લાવવાના હેતુથી EUનો કડક નિયમ આ ઉપરાંત ગ્રાહકો તેમના ઉપકરણો થર્ડ પાર્ટી પર રિપેર કરાવી શકશે

યુરોપિયન યુનિયન (EU) દ્વારા ટેક્નોલોજી અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નવા નિયમો અનુસાર 18 ફેબ્રુઆરી, 2027થી યુરોપિયન બજારમાં વેચાતા તમામ સ્માર્ટફોન, ટેબ્લેટ અને અન્ય પોર્ટેબલ ઇલેક્ટ્રોનિક ડિવાઇસમાં યુઝર દ્વારા સરળતાથી બદલાય શકે તેવી બેટરી હોવી ફરજિયાત બનશે.

આ નિયમ માત્ર નવા લોન્ચ થતા ડિવાઇસ પર લાગુ પડશે નહીં, પરંતુ સમગ્ર ઉદ્યોગ માટે એક નવો સ્ટાન્ડર્ડ નક્કી કરશે. EUનું માનવું છે કે ડિવાઇસનું આયુષ્ય વધારવાથી અને રિપેરિંગ સરળ બનાવવાથી ગ્રાહકોને લાંબા ગાળે ફાયદો થશે.

કંપનીઓ અને ડિઝાઇન પર અસર
આ નિર્ણયથી સ્માર્ટફોન ઉત્પાદકો માટે મોટી પડકારજનક પરિસ્થિતિ ઉભી થશે. હાલના સમયમાં Apple, Samsung અને અન્ય કંપનીઓ પ્રીમિયમ અને સ્લિમ ડિઝાઇન સાથે સીલ્ડ બેટરી આપે છે, જે વોટરપ્રૂફિંગ અને મજબૂતાઈ માટે અનુકૂળ હોય છે.

પરંતુ નવા નિયમો હેઠળ કંપનીઓને એવી ડિઝાઇન તૈયાર કરવી પડશે જેમાં બેટરી સરળતાથી કાઢી અને બદલી શકાય. આ માટે નવા મટિરિયલ, મોડ્યુલર ડિઝાઇન અને નવી એન્જિનિયરિંગ ટેકનિકનો ઉપયોગ કરવો પડશે. શક્ય છે કે આ બદલાવના કારણે ફોનની જાડાઈ અને ડિઝાઇનમાં થોડો ફેરફાર જોવા મળે.

ગ્રાહકો માટે ફાયદા
આ નિયમનો સૌથી મોટો લાભ ગ્રાહકોને મળશે. બેટરી ખરાબ થવા પર આખો ફોન બદલવાની જરૂર નહીં રહે, પરંતુ યુઝર સરળતાથી નવી બેટરી લગાવી શકશે. આથી રિપેરિંગ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે અને સમયની પણ બચત થશે.

ઉપરાંત, ફોન લાંબા સમય સુધી ઉપયોગમાં રહી શકશે, જેનાથી ગ્રાહકોને વારંવાર નવો ફોન ખરીદવાની જરૂર નહીં પડે. આ સાથે ‘રાઈટ ટુ રિપેર’ (Right to Repair) અભિયાનને પણ મજબૂતી મળશે, જે ગ્રાહકોને તેમના ડિવાઇસ પર વધુ નિયંત્રણ આપે છે. આ સાથે ગ્રાહક થર્ડ પાર્ટી પણ રિપેર કરાવી શકશે.

પર્યાવરણ અને ઇ-વેસ્ટ પર અસર
ઇલેક્ટ્રોનિક કચરો (E-waste) આજના સમયમાં વૈશ્વિક સ્તરે ગંભીર સમસ્યા બની રહ્યો છે. સ્માર્ટફોનમાં વપરાતી બેટરીઓમાં લિથિયમ અને અન્ય હાનિકારક પદાર્થો હોય છે, જે પર્યાવરણ માટે નુકસાનકારક સાબિત થાય છે. બદલાય શકે તેવી બેટરીના નિયમથી બેટરીનું રિસાયક્લિંગ સરળ બનશે અને ઇ-વેસ્ટમાં ઘટાડો થશે. EUનો આ નિર્ણય પર્યાવરણ સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે, જે અન્ય દેશોને પણ આવા નિયમો અમલમાં લાવવા પ્રેરિત કરી શકે છે.

ટેક્નોલોજી અને માર્કેટ પર અસર
આ નિયમનો અસર વૈશ્વિક સ્માર્ટફોન માર્કેટ પર પણ જોવા મળશે. યુરોપ એક મોટો બજાર હોવાથી કંપનીઓ એક જ પ્રકારની ડિઝાઇન વૈશ્વિક સ્તરે અપનાવી શકે છે. પરિણામે, ભારત સહિત અન્ય દેશોમાં પણ બદલાય શકે તેવી બેટરીવાળા ફોન વધુ પ્રમાણમાં જોવા મળી શકે છે. આ સાથે, થર્ડ-પાર્ટી બેટરી માર્કેટ અને રિપેરિંગ ઉદ્યોગમાં પણ વૃદ્ધિ થવાની શક્યતા છે.

કંપનીઓ માટે મુખ્ય આવશ્યકતાઓ
-વપરાશકર્તા-બદલી શકાય તેવી બેટરીઓ હવેથી એન્ડ્રોઇડ તથા એપલ ફોન ઉપરાંત ટેબલેટમાં ઉપલબ્ધ કરાશે

  • 800 ચાર્જ સાયકલ પછી બેટરીઓએ ઓછામાં ઓછી 80 ટકા ક્ષમતા જાળવી રાખવી જોઈએ
  • લોન્ચ પછી 10 વર્ષ સુધી સ્પેરપાર્ટ્સ ઉપલબ્ધ હોવા જોઈએ.
  • મુખ્ય ઘટકો લગભગ 5-10 કાર્યકારી દિવસોમાં પૂરા પાડવામાં આવવા જોઈએ
  • રિપેર મેન્યુઅલની જાહેર એક્સેસ.
  • તૃતીય-પક્ષ અથવા સ્વતંત્ર સમારકામ પર કોઈ પ્રતિબંધ નથી.
  • ગેજેટ્સ સરળ ખોલવા અને સેવા આપવા માટે રચાયેલ ઉપકરણો.
RELATED ARTICLES

Most Popular

Recent Comments