Category: All

  • મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપે યુવાનોને ડ્રગ્સના દુષણથી દૂર રહેવા આપ્યો સંદેશ

    મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપે યુવાનોને ડ્રગ્સના દુષણથી દૂર રહેવા આપ્યો સંદેશ

    વર્તમાન સમયમાં સમાજમાં ડ્રગ્સનું દુષણ વધી રહ્યું છે. ત્યારે મોરબીમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સોશિયલ એક્ટ કાર્યક્રમ યોજી યુવાનોને ડ્રગ્સના દુષણથી દૂર રહેવાનો સંદેશ આપ્યો હતો.

    યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આ સોશિયલ એક્ટ કાર્યક્રમ સ્કાય મોલ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સંઘવી એન્ડ સન્સ મુવીના અભિનેત્રી કોમલ ઠક્કર પણ જોડાયા હતા.

    તેઓ એકમાત્ર ગુજરાતી અભિનેત્રી છે જેઓને કાન્સ ફેસ્ટિવલમાં જવાનો અવસર પ્રાપ્ત થયો હતો. તેઓએ યુવાનોને આવા દુષણોથી દૂર રહેવા અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં પોસ્ટરો દ્વારા યુવાનોને ડ્રગ્સના દુષણ અંગે જાગૃત કરવાનો પ્રયાસ કરાયો હતો.

    આ કાર્યક્રમ દરમિયાન અભિનેત્રી કોમલ ઠક્કરે સ્કાય મલ્ટીપ્લેક્સમાં સંઘવી એન્ડ સન્સના શોમાં હાજરી આપી હતી. આ વેળાએ તેઓ ગરબે પણ ઘૂમ્યા હતા. તેઓએ લોકોનેં જણાવ્યું હતું કે આ મુવી આપણી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરે છે, આપણા જીવનમાં પરિવારનું શું મહત્વ છે અને સયુંકત કુટુંબથી શું લાભ થતા હોય છે. તો વડીલો અને બાળકો સાથે મળીને આ મુવી અચૂક જોવું જોઈએ.

  • અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ, ગુજરાતમાં 30 જુલાઈ સુધી મેઘમહેરની આગાહી

    અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ, ગુજરાતમાં 30 જુલાઈ સુધી મેઘમહેરની આગાહી

    બંગાળની ખાડીમાં ફરી એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે, ત્યારે રાજ્યમાં આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદને લઈને હવામાન વિભાગે ઍલર્ટ જાહેર કર્યુ છે. આજે 27 થી વધુ જિલ્લામાં ધોધમાર વરસાદનું યલો-ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું. તેવામાં અમદાવાદના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો.

    અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ

    આજે શનિવારે (26 જુલાઈ) અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો. જેમાં આશ્રમ રોડ, મકરબા, એસ.જી. હાઈવે સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

    27 જિલ્લામાં અતિભારે વરસાદનું ઍલર્ટ

    હવામાન વિભાગની આગાહી મુજબ, આજે (26 જુલાઈ) છોટા ઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં અત્યંત ભારે વરસાદને લઈને રેડ ઍલર્ટ અને સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરુચ, સુરત જિલ્લામાં ગાજવીજ સાથે અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, સુરેન્દ્રનગર, આણંદ, બોટાદ, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યું છે

    આવતીકાલે ત્રણ જિલ્લામાં રેડ ઍલર્ટ

    હવામાન વિભાગે આગામી 30 જુલાઈ સુધી ધોધમાર વરસાદની આગાહી કરી છે, ત્યારે આવતીકાલે રવિવારે (27 જુલાઈ) હવામાન વિભાગે સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં રેડ ઍલર્ટ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, વડોદરા, ભરુચ, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.

  • ઇસરોનું મિશન NISAR: ભૂકંપ, ભૂસ્ખલન અને ત્સુનામી સહિતની આફત આવે તે પહેલાં જ મળશે એલર્ટ

    ઇસરોનું મિશન NISAR: ભૂકંપ, ભૂસ્ખલન અને ત્સુનામી સહિતની આફત આવે તે પહેલાં જ મળશે એલર્ટ

    ઇસરોનું મિશન NISAR હવે લોન્ચ માટે તૈયાર છે. ભારત ફરી એક વાર મોટી સિદ્ધિ હાંસલ કરવા જઈ રહ્યું છે. એક્સિઓમ-4 મિશન બાદ સ્પેસ મિશનમાં વધુ એક પગલું આગળ વધવા માટે હવે ઇસરો તૈયાર છે. ઇસરો અને નાસા બન્ને મળીને એક મિશન લોન્ચ કરવા જઈ રહ્યાં છે જેને નાસા-ઇસરો સિન્થેટિક એપર્ચર રડાર (NISAR) નામ આપવામાં આવ્યું છે. આ સેટેલાઇટને શ્રીહરિકોટામાં આવેલા સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી લોન્ચ કરવામાં આવશે. આ માટે GSLV-F16 રોકેટનો ઉપયોગ કરવામાં આવશે. આ મિશન દ્વારા પૃથ્વીની સપાટી પર થનારી તમામ હલચલ પર નજર રાખવામાં આવશે. એમાં ભૂકંપ, ભૂસ્ખલન અને ત્સુનામી જેવી દરેક કુદરતી આફત પર નજર રાખી શકાશે. આ મિશન કુદરતી આફત આવે એ પહેલાં જ એલર્ટ જાહેર કરશે.

    ઇસરોના અધ્યક્ષે શું કહ્યું?

    ઇસરોના અધ્યક્ષ ડોક્ટર વી. નારાયણન હાલમાં જ તેલંગાણામાં એક કાર્યક્રમમાં હાજર હતા. એ દરમ્યાન તેમણે કહ્યું હતું કે 30 જુલાઈએ NISAR મિશનને શરૂ કરવામાં આવશે. આ સેટેલાઇટને રોકેટની મદદથી સ્પેસમાં મોકલવામાં આવશે. NISAR દુનિયાની પહેલી સેટેલાઇટ છે જેમાં બે ફ્રીક્વન્સી રડારની ટેક્નોલોજી છે. એમાં L બેન્ડ નાસા અને S બેન્ડ ઇસરોની રડાર ફ્રીક્વન્સી છે. આ ટેક્નોલોજીની ખાસ વાત એ છે કે એમાં વરસાદ અને વાદળ જેવી કોઈ પણ પરિસ્થિતિઓથી કોઈ અસર નથી પડતી. આથી દિવસ-રાત આ સેટેલાઇટ પૃથ્વીનો એકદમ ચોક્કસ ડેટા આપશે.

    કુદરતી આફત આવે એ પહેલાં મળશે એલર્ટ

    આ સેટેલાઇટમાં 12 મીટરનો મેશ એન્ટેના અને SweepSAR ટેક્નોલોજી છે, જે એક સમયે 242 કિલોમીટર સુધીના વિસ્તારને સ્કેન કરી શકે છે. આ સેટેલાઇટની મદદથી ભૂકંપ, જ્વાળામુખી, ભૂસ્ખલન અને ત્સુનામી જેવી કુદરતી આફતો આવવા પહેલાં એલર્ટ જાહેર કરવામાં આવશે. આ સેટેલાઇટની મદદથી જમીનની એક સેન્ટીમીટરની હલચલને પણ પકડી શકાશે. આથી જ આ સેટેલાઇટ અન્યોથી એકદમ અલગ છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા પર્વતયાળ વિસ્તારમાં આ ટેક્નોલોજી ખૂબ જ કામ આવી શકે છે. એની મદદથી અનેક લોકોના જીવ બચી શકે છે.

    ક્લાઈમેટ ચેન્જ પર પણ નજર

    કૃષિમાં પણ આ મિશન ખૂબ જ મદદરૂપ બની શકે છે. NISAR દ્વારા જમીનમાં પરિવર્તન, પાકની પરિસ્થિતિ અને પાણીના સ્તર જેવી મહત્ત્વપૂર્ણ માહિતી જણાવી શકે છે. આથી ખેડૂતોને ચોક્કસ પાક મેળવવા માટે મદદ મળી શકે છે. જો દુકાળ પડવાનો હોય અથવા તો પૂર આવવાના હોય તો પણ એની જાણ પહેલાથી થઈ જશે. આ સાથે જ ક્લાઈમેટ ચેન્જ પર પણ નજર રાખવામાં આવશે. બરફનું પીગળવું અને દરિયામાં પાણીના સ્તરની વધઘટ જેવી દરેક બાબત પર આ સેટેલાઇટ નજર રાખશે.

    નાસા અને ઇસરોની ભૂમિકા

    ભારતની આ સિદ્ધિમાં ઇસરોનો ખૂબ જ મોટો હાથ છે. ઇસરોએ આ માટે S બેન્ડ રડાર ટેક્નોલોજી અને લોન્ચિંગ રોકેટ તૈયાર કર્યા છે. બેંગલુરુ અને અમદાવાદમાં એનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. નાસા દ્વારા એમાં L બેન્ડ રડાર અને મેશ એન્ટેનાનો સમાવેશ કર્યો છે. બન્ને એજન્સીઓએ મળીને એક નવી સેટેલાઇટ તૈયાર કરી છે, જે અત્યાર સુધીની એકમદ અલગ અને શક્તિશાળી સેટેલાઇટ છે. આ મિશન ફક્ત વિજ્ઞાન માટે જ નહીં, પરંતુ ભારતની આત્મનિર્ભરતાનું પણ પ્રતિક છે. જોકે એમાં પણ નાની-મોટી મુશ્કેલીઓ આવી શકે છે, પરંતુ એ એવી મુશ્કેલીઓ છે, જેને બન્ને એજન્સીઓ સંભાળી શકે તેમ છે.

    NISAR મિશન શું છે?

    NISAR એ નાસા અને ઇસરોનું સંયુક્ત મિશન છે. એના દ્વારા પૃથ્વી પર થનારી તમામ ચહલપહલ પર નજર રાખવામાં આવશે.

    સેટેલાઇટની ખાસિયત શું છે?

    આ દુનિયાની પહેલી ડ્યુઅલ બેન્ડ સેટેલાઇટ છે અને એ દિવસ-રાત તથા દરેક મોસમમાં ચોક્કસ રીતે કામ કરી શકે છે.

    આ મિશનથી કોને ફાયદો થશે?

    આ મિશનથી ભૂકંપ, પૂર, ભૂસ્ખલન, ત્સુનામી જેવી કુદરતી આફતોની સાથે ખેતી માટે પણ ખૂબ જ મદદરૂપ થવાનો અંદાજ છે.

    આ મિશનને ક્યાંથી લોન્ચ કરવામાં આવશે?

    આ મિશનને 2025ની 30 જુલાઈએ શ્રીહરિકોટામાં આવેલા સ્પેસ સ્ટેશનથી GSLV-F16 રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવશે.

  • મોરબીમાં ક્રાંતિકારી સેના દ્વારા ચંદ્રશેખર આઝાદના જન્મદિવસની ઉજવણી કરાઇ: મોરબીની કોમર્સ કોલેજમાં વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો

    મોરબીમાં ક્રાંતિકારી સેના દ્વારા ચંદ્રશેખર આઝાદના જન્મદિવસની ઉજવણી કરાઇ: મોરબીની કોમર્સ કોલેજમાં વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો

    ક્રાંતિકારી સેના દ્વારા મહાન ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદના જન્મદિવસ નિમિત્તે આઝાદ પાર્ક ખાતે આવેલ ચંદ્રશેખર આઝાદની પ્રતિમાની સફાઈ કરી પ્રતિમાને ફૂલહાર કરી આજના દિવસની ઉજવણી કરી હતી. જયારે અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત ગાયત્રી પરિવાર મોરબી દ્વારા જી.જે. શેઠ કોમર્સ કોલેજ ખાતે વ્યસન  મુક્તિ કાર્યક્રમ યોજાયો હતો.

    જેમાં જેમાં મોરબી જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષ ભાઈ ભટ્ટ તેમજ ગાયત્રી પરિવાર મોરબીના અનિલભાઈ વિઠલાપરા તથા ગડારા પાર્થભાઈ  સહિતના હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓને વ્યસન મુક્ત રહેવા અને અને બીજા લોકોને વ્યસન મુક્ત કરવા માટે જરૂરી માર્ગદર્શન અપાઈને શપથ લેવડાવ્યા હતા.

  • મોરબી-લખધીરપુર-નીચી માંડલ રોડમાં એન્ટિક સીરામીક (કેનાલ ક્રોસિંગ) થી લખધીરપુર સુધીનો રસ્તો વન વે કરાયો

    મોરબી-લખધીરપુર-નીચી માંડલ રોડમાં એન્ટિક સીરામીક (કેનાલ ક્રોસિંગ) થી લખધીરપુર સુધીનો રસ્તો વન વે કરાયો

    મોરબી મોરબી જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તકના નેશનલ હાઇવે થી લખધીરપુર-કાલિકાનગર-નીચી માંડલ રસ્તાનું કામ હાલ પ્રગતિ હેઠળ છે. રસ્તાનો સિમેન્ટ કોંક્રેટનો ક્યોરીંગ પિરિયડ પૂરો ન થાય ત્યાં સુધી વાહન ચલાવી શકાય તેમ ન હોવાથી આ રસ્તો વન વે કરવો જરૂરી છે. જેથી જિલ્લા મેજિસ્ટ્રેટ  કે.બી. ઝવેરી દ્વારા મોરબી-લખધીરપુર-નીચી માંડલ રોડમાં એન્ટિક સીરામીક (કેનાલ ક્રોસિંગ) થી લખધીરપુર સુધીના રસ્તાને વન વે કરતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

    આ જાહેરનામા અનુસાર નેશનલ હાઇવે થી લખધીરપુર ગામ તરફ જવા માટે મુખ્ય માર્ગ પર આવેલ કેનાલ ક્રોસિંગ (એન્ટિક સીરામીક પાસે)ના ડાબી સાઈડના સર્વિસ રોડ ઉપર થઈને લેક્સેસ ગ્રેનાઈટો થઈ લખધીરપુર ગામ તરફ જવા વન-વે માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે.

    લખધીરપુર ગામ થી નેશનલ હાઇવે તરફ જવા માટે લખધીરપુર ગામથી નેશનલ હાઇવેના મુખ્ય માર્ગ પર લખધીરપુર ગામથી સોરીસો ચોકડી થઈ ત્યારબાદ એન્ટિક સીરામીક સુધી વન-વે માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે.

    લાયક્રોસ સીરામીકથી સોરીસો ચોકડીવાળા વચ્ચેના માર્ગ પર જવા માટે મુખ્ય માર્ગ પર આવેલ કેનાલ ક્રોસિંગ (એન્ટિક સીરામીક પાસે)ના ડાબી સાઈડના સર્વિસ રોડ ઉપર થઈ લાયક્રોસ સીરામીક થી સોરીસો ચોકડી તરફ જવા માટે વન-વે માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે.

    જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરીએથી પૂર્વ મંજૂરી મેળવેલ હોય તેવા વાહનોને આ જાહેરનામાની જોગવાઈઓના અમલમાંથી મુક્તિ આપવામાં આવે છે.

  • મોરબી જિલ્લામાં કોયબાથી નવા કોયબા રોડ પર ભારે વાહનોના પસાર થવા પર પ્રતિબંધ

    મોરબી જિલ્લામાં કોયબાથી નવા કોયબા રોડ પર ભારે વાહનોના પસાર થવા પર પ્રતિબંધ

    મોરબી જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તકના હરીપર કોયબા રોડ પર આવેલા માઇનર બ્રીજના ગાળા ગત ચોમાસામાં ભારે વરસાદના કારણે નુકસાનગ્રસ્ત થયા છે.

    જેથી કોયબાથી નવા કોયબા રોડ પર ભારે વાહનોને પસાર થવા પર જિલ્લા મેજિસ્ટ્રેટ  કે.બી. ઝવેરી દ્વારા પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

    જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરીએથી પૂર્વ મંજૂરી મેળવેલ હોય તેવા વાહનોને આ જાહેરનામાની જોગવાઈઓના અમલમાંથી મુક્તિ આપવામાં આવે છે.

  • મોરબી કલેક્ટર ના માર્ગદર્શન હેઠળ વહેલી સવારે વહીવટી તંત્રના ૪૮ ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા ગામડાઓની આકસ્મિક મુલાકાતે

    મોરબી કલેક્ટર ના માર્ગદર્શન હેઠળ વહેલી સવારે વહીવટી તંત્રના ૪૮ ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા ગામડાઓની આકસ્મિક મુલાકાતે

    આરોગ્ય, શિક્ષણ, પોષણ, પીવાના પાણી સહિતની સેવાઓ અને સુવિધાઓની સુલભતા બાબતે ગામડાઓનું તલસ્પર્શી નિરીક્ષણ હાથ ધરાયું

    મોરબી જિલ્લામાં વહીવટી કાર્યક્ષમતા અને નાગરિકલક્ષી સેવાઓના વિતરણને સુનિશ્ચિત કરવાના હેતુથી તા. ૨૫/૦૭/૨૦૨૫ ના રોજ કલેક્ટર  કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ વહેલી સવારે જિલ્લાના ૪૮ ઉચ્ચ અધિકારી ઓ ગામડાઓની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા છે.

    નાગરિકલક્ષી અભિગમ અને છેવાડાના જન-જન સુધી સરકારી યોજનાઓ અને સુવિધાઓની સુલભતા માટે મોરબી જિલ્લા વહીવટી તંત્ર સતત પ્રયત્નશીલ અને કટિબધ્ધ છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્રના ૪૮ અઘિકારીઓ સવાર થતા જ જિલ્લાના વિવિધ ગામડાઓમાં સરકારી સેવાઓ અને પ્રાથમિક સુવિધાઓ બાબતે સાચી સ્થિતિની સમીક્ષા કરવા ગામડાઓમાં પહોંચ્યા છે.

    આ મુલાકાત અન્વયે મોરબી તાલુકાના ૧૩, વાંકાનેર તાલુકાના ૧૨, હળવદ તાલુકાના ૯, ટંકારા તાલુકાના ૬ અને માળિયા તાલુકાના ૮ મળી જિલ્લાના કુલ ૪૮ ગામડાઓમાં વહીવટી તંત્રના વર્ગ ૧ અને વર્ગ ૨ ના ઉચ્ચ અધિકારી ઓએ વિવિધલક્ષી તપાસ હાથ ધરી છે. સવારે ૦૮:૦૦ કલાકથી આરોગ્ય કેન્દ્રોની મુલાકાત કરી આકસ્મિક તપાસની શરૂઆત કરવામાં આવી હતી, જ્યાં આરોગ્ય સ્ટાફની હાજરી દવાના જથ્થાની ઉપલબ્ધતા વગેરેની તપાસ કરવામાં આવી રહી છે.

    પશુ દવાખાનામાં પણ પશુ ડોક્ટરની હાજરી, આંગણવાડીમાં સ્ટાફની હાજરી બાળકોની નિયમિતતા તથા બાળકોને આપવામાં આવતા પૌષ્ટિક નાસ્તા/ભોજનનું નિરીક્ષણ, પંચાયતમાં તલાટી/ગ્રામ સેવક વગેરેની હાજરી અને કામગીરી અને વિવિધ યોજનાઓની અમલવારી, સરકારી શાળાઓમાં શિક્ષકોની નિયમિતતા અને બાળકોની હાજરી તથા મધ્યાહન ભોજન યોજનાની યોગ્ય અમલવારી, સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનમાં સમયસર અનાજ મળે છે કે કેમ તે બાબતની ચકાસણી કરવામાં આવી રહી છે.

    ઉપરાંત ગામડાઓમાં મુલાકાત દરમિયાન પીવાના પાણીની ઉપલબ્ધ સુવિધા અને પડતી મુશ્કેલીઓ, વિધવા પેન્શન સહિતની યોજનાઓની અમલવારી, ગૌશાળાઓમાં ગૌવંશના નિભાવ અંગેની વ્યવસ્થા તથા સાફ-સફાઈ અને ઉપલબ્ધ સુવિધાઓ તથા તેને સંલગ્ન ગૌમાતા પોષણ યોજનાની અમલવારી, મોડલ ફાર્મની મુલાકાત સહિતની બાબતોનું તલસ્પર્શી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

  • શ્રાવણ માસના પાવન અવસરે દરરોજ મોરબી સિવિલ હોસ્પિટલમાં ભોજન સેવારૂપ કાર્યક્રમનું આયોજન

    શ્રાવણ માસના પાવન અવસરે દરરોજ મોરબી સિવિલ હોસ્પિટલમાં ભોજન સેવારૂપ કાર્યક્રમનું આયોજન

    અત્યંત પવિત્ર ગણાતા શ્રાવણ માસની શરૂઆત આજથી થઈ રહી છે. શ્રાવણ માસને ધર્મ અને ભક્તિ માટે વિશેષ મહત્વ આપવામાં આવે છે. આ પવિત્ર અવસરે માતૃશ્રી વિરબાઈ માં માનવ સેવા તથા ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા સતત ત્રીજા વર્ષ માટે સેવારૂપ આયોજન કરવામાં આવ્યું છે.

    આ અંતર્ગત સમગ્ર શ્રાવણ માસ દરમ્યાન મોરબીના સિવિલ હોસ્પિટલમાં દર્દીજનો અને તેમના સાથીઓ માટે દરરોજ બપોરે ફરાળ સાથે મીઠાઈ તથા ઠંડી છાસ, તેમજ સાંજે કઢી-ખીચડીનું નિઃશુલ્ક ભોજન આપવામાં આવશે.

    આ સેવાયજ્ઞ શ્રીમતી માલાબેન જીતેન્દ્રભાઈ કક્કડના સહયોગથી સંપન્ન થવાનો છે. ટ્રસ્ટની સ્થાપિકા અલ્પાબેન કક્કડએ જણાવ્યું હતું કે, “દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણ માસે ભોજન સેવા સાથે માનવતાની ભાવના નિભાવવાનું અમારું ધ્યેય છે.”

    આ સેવા કાર્યક્રમ શ્રાવણ માસ દરમ્યાન દરરોજ ચાલશે અને તેથી મોરબીના જરૂરિયાતમંદો માટે આ ભોજન સેવા આશીર્વાદરૂપ સાબિત થશે એવી આશા છે.

  • શ્રાવણ માસનો ભક્તિમય આરંભ: મોરબીના શિવ મંદિરોમાં વિશેષ શણગાર અને ધાર્મિક કાર્યક્રમોની તૈયારીઓ

    શ્રાવણ માસનો ભક્તિમય આરંભ: મોરબીના શિવ મંદિરોમાં વિશેષ શણગાર અને ધાર્મિક કાર્યક્રમોની તૈયારીઓ

    આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. શ્રાવણ મહિનો શિવભક્તિ માટે ખાસ માનવામાં આવે છે.

    શિવ ઉપાસકો દ્વારા આખો મહિનો ભગવાન ભોળાનાથની આરાધના કરીને વિશેષ પૂણ્યનું ભાથું બાંધવામાં આવે છે. ત્યારે શ્રાવણ માસને લઈને મોરબીના વિવિધ શિવ મંદિરોમાં વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે.

    તહેવારોની શૃંખલા સાથે પવિત્ર શ્રાવણમાસનો પ્રારંભથતા જ મોરબીના એલ.ઈ. કોલેજ રોડ પર આવેલા પૌરાણિક અગ્નેશ્વર મહાદેવ મંદિર, ગ્રીન ચોક પાસે આવેલ કુબેરનાથ મહાદેવ મંદિર, ભડીયાદ નજીક આવેલ જંગલેશ્વર મહાદેવ મંદિર, સામાકાંઠે આવેલા સ્વયંભૂ શોભેશ્વર મહાદેવ મંદિર, રફાળેશ્વર ખાતે આવેલ પૌરાણિક રફાળેશ્વર મહાદેવ મંદિર, વાંકાનેર નજીક આવેલ જડેશ્વર મહાદેવ મંદિર, તીથવા નજીક આવેલ ભંગેશ્વર મહાદેવ મંદિર,

    લજાઈ નજીક આવેલ ભીમનાથ મહાદેવ મંદિર તેમજ શંકર આશ્રમની જગ્યામાં આવેલા પૌરાણિક સ્વયંભૂનિલકંઠ મહાદેવ મંદિરમાં સહિતના વિવિધ શિવાલયોમાં વિશેષ શણગાર કરવામાં આવ્યા છે.

    મોરબીના એલઈ કોલેજ રોડ ખાતે આવેલ અગ્નેશ્વર મહાદેવ મંદિરના જેઠાલાલ પંડયાએ જણાવ્યું હતું કે, શ્રાવણ માસને લઈને મંદિરે આકર્ષક ડેકોરેશન કરવામાં આવ્યું છે.

    શ્રાવણ માસ દરમિયાન દરરોજ મંદિરે પૂજા, આરતી અને બ્રહ્મ ભોજન સહિતના કાર્યક્રમો થશે. આ ઉપરાંત શ્રાવણ માસના બીજા મંગળવારે દર વર્ષની પરંપરા પ્રમાણે યોજાશે જેમાં આશરે ૨ હજાર જેટલા ભાવિકો પ્રસાદ લેશે.

    જયારે શોભેશ્વર મહાદેવ મંદિરના મહંત જીજ્ઞેશપરીએ જણાવ્યું હતું કે, દરરોજ સવારે અને સાંજે મહાઆરતી,દિપમાળા સાથે મહાદેવજીને આખો મહિનો દરરોજ અલગ અલગ શણગાર કરવામાં આવશે.

    સાથે જ અહીં શ્રાવણ મહિના દર સોમવારે સાંજે ફરાળ અને ભોજન પ્રસાદનું આયોજન ભાવિકોમાટે કરાયું છે. પ્રથમ બે સોમવારે મંદિરે મેળો પણ યોજાશે. આ ઉપરાંત સાતમ-આઠમના કાનુડાની મઢુલી બનાવવામાં આવશે અને આરતી કરવામાં આવશે.

    શંકર આશ્રમની જગ્યામાં આવેલા પૌરાણિક સ્વયંભૂ નિલકંઠ મહાદેવ મંદિરમાં પણ શ્રાવણ મહિનો ભક્તિભાવથી ઉજવવામાં આવશે, મંદિરના મહંત ગુલાબગીરીએ જણાવ્યું હતું કે, મંદિરને લાઇટિંગથી શણગારી દેવાયું છે. શ્રાવણ માસમાં મંદિરે દરરોજ સવારે મંગળા આરતી થશે, લઘુરૂદ્ર થશેઅને સાંજે મહાપૂજા અને દિપમાળાનું આયોજન થશે.

  • બેંકમાં ખાતું રાખનારા કરોડો લોકોને નહીં ખબર હોય આ ફેરફાર વિશે, પહેલી વખત જાણીને આંચકો લાગશે

    બેંકમાં ખાતું રાખનારા કરોડો લોકોને નહીં ખબર હોય આ ફેરફાર વિશે, પહેલી વખત જાણીને આંચકો લાગશે

    આજના સમયમાં બેંક એકાઉન્ટ ખોલવું જેટલું સરળ છે, એટલું જ તેને જાળવી રાખવું મોંઘું થઈ ગયું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં બેંકોએ તેમની દરેક સર્વિસ પર ચાર્જ લગાવવાનું શરૂ કર્યું છે. એવી સર્વિસ જે ફ્રી હતી, તેના પર પણ ચાર્જ લાગવા લાગ્યો છે. જેમ કે પાસબુક અપડેટ, કેશ ટ્રાન્જેક્શન અથવા સાઇન વેરિફિકેશન. હવે દરેક જગ્યાએ બેંક ચાર્જ વસૂલવા લાગી છે.

    નાની સર્વિસ પર પણ ચાર્જ-

    હવે બેંક બ્રાન્ચમાં જઈને પાસબુક અપડેટ કરાવવી હોય કે એકાઉન્ટ સાથે જોડાયેલી કોઈ માહિતી લેવી હોય, તો બધા માટે ચાર્જ આપવો પડે છે. મે મહિનામાં બેંકોએ ATMમાંથી પાંચથી વધુ વખત પૈસા કાઢવા પર 23 રૂપિયા એક્સ્ટ્રા ચાર્જ લાગુ કર્યો હતો. 1 જુલાઈથી કેટલાક ક્રેડિટ કાર્ડ ટ્રાન્જેક્શનો પર પણ નવા ચાર્જ લાગુ થઈ ગયા છે.

    કેશ જમા અને કાઢવા પર કડક નિયમ-

    કેશ ટ્રાન્ઝેક્શન હવે વધુ મોંઘું થઈ ગયું છે. ઘણી બેંકો માત્ર ત્રણ વખત સુધી કેશ જમા અથવા કાઢવા ફ્રી રાખે છે, તેના પછી દરેક વખત 150 રૂપિયા સુધીનો ચાર્જ આપવો પડે છે. એટલું જ નહીં, જો એક મહિને કોઈ ગ્રાહકે એક લાખ રૂપિયા કરતાં વધુ કેશ જમા કર્યા, તો તેના પર પણ 150 રૂપિયા એક્સ્ટ્રા ચાર્જ લાગશે.

    ગ્રાહકોના ફાયદા પણ ઓછા થયા-

    સુવિધાઓ પર ચાર્જ લગાવવાની સાથે બેંકો કપાત પણ કરવા લાગી છે. ઉદાહરણ તરીકે, SBIએ તેના પ્રાઇમ અને પલ્સ ક્રેડિટ કાર્ડ પર મળતો 50 લાખ રૂપિયાનો મફત હવાઈ દુર્ઘટના વીમો 15 જુલાઈથી બંધ કરી દીધો છે. એટલે કે, સુવિધાઓ ઘટી રહી છે અને ચાર્જ વધતા જઈ રહ્યા છે.

    હવે IMPS ટ્રાન્ઝેક્શન પણ ફ્રી નહીં રહે-

    15 ઓગસ્ટથી SBI IMPS ટ્રાન્જેક્શન એટલે કે તરત પૈસા મોકલવાની સર્વિસ પર પણ ચાર્જ લેવાનું શરૂ કરશે. અત્યાર સુધી 5 લાખ રૂપિયા સુધીનું ટ્રાન્ઝેક્શન ફ્રી હતું, પરંતુ હવે 25 હજાર રૂપિયા કરતાં વધુના ટ્રાન્જેક્શન પર 2થી 10 રૂપિયા સુધીનો ચાર્જ અને તેના પર GST પણ લાગશે.

    ઘણી સર્વિસ પર ચાર્જ લાગતો જાય છે-

    બેંક ખાતાને ચલાવવા માટે હવે દરેક નાની વસ્તુ માટે પેમેન્ટ કરવું પડે છે, જેમ કે ડુપ્લિકેટ પાસબુક બનાવવામાં 100 રૂપિયા, સાઇન વેરિફિકેશનમાં 100થી 150 રૂપિયા, ચેક રોકવામાં 200 રૂપિયા, મોબાઇલ નંબર અથવા ઈમેલ અપડેટ કરવા 50 રૂપિયા + GST, અને ડેબિટ કાર્ડ રી-પિન માટે 50 રૂપિયા ચાર્જ આપવો પડે છે.

    બેંકિંગ સર્વિસ હવે પહેલા જેવી સુવિધાજનક અને સસ્તી નથી રહી. એક સામાન્ય ગ્રાહક માટે દરેક ટ્રાન્જેક્શન અને દરેક સર્વિસની કિંમત ચૂકવવી હવે એક હકીકત બની ગઈ છે. આવા સમયે જરૂરી છે કે, ગ્રાહક પોતાના બેંકના ચાર્જ સ્ટ્રક્ચરને ધ્યાનથી વાંચે. સાથે જ ડિજિટલ અને મફત વિકલ્પો પસંદ કરે.