Category: All

  • છ મહિના સુધી અનાજ નહીં લેનારનું રેશનકાર્ડ રદ્દ કરાશે

    છ મહિના સુધી અનાજ નહીં લેનારનું રેશનકાર્ડ રદ્દ કરાશે

    દેશમાં સરકાર રાશનકાર્ડ ધારકોને મફતથી લઈને રાહતદરે અનાજ અને અન્ય આવશ્યક ચીજો પૂરી પાડે છે તે સમયે બોગસ રેશનકાર્ડ સહિતના મુદે હવે સરકારે આકરા નિર્ણય લીધા છે જેમાં તા.22ના રોજ કેન્દ્ર સરકારે જાહેર વિતરણ પ્રણાલી (નિયંત્રણ) સુધારા આદેશ જાહેર કર્યો છે.

    જે મુજબ સતત છ મહિના સુધી રેશનકાર્ડ મારફત અનાજ નહિ લેનારના કાર્ડ એકટીવ રહેશે નહીં અને જો તે વ્યકિતએ ફરી કાર્ડ ચાલુ કરાવવું હોય તો ત્રણ મહિના પછી કેવાયસી મારફત તે કરી શકશે.

    કેન્દ્ર સરકાર આગામી ત્રણ માસમાં ઘરે ઘરે જઈને રેશનકાર્ડની ચકાસણી કરશે અને કેવાયસી પણ કરશે. વડાપ્રધાન ગરીબ કલ્યાણ અન્ન યોજનામાં મફત રાશન જેઓને પૂરૂ પડાય છે તેઓ પણ જો રેશનીંગનો જથ્થો નહીં ઉપાડે તો તેના કાર્ડ પણ રદ થઈ જશે.

    દેશમાં અત્યારે 23 કરોડ રેશનકાર્ડ ધરાવે છે હવે તેની ચકાસણી થશે. જેમાં લાખો ડુપ્લીકેટ અથવા તો બોગસ રેશનકાર્ડ હોઈ શકે છે. ગત વર્ષે જ જે રીતે રેશનકાર્ડનું ડીજીટલકરણ થયું તેમાં 5.8 કરોડ બોગસ રેશનકાર્ડ રદ થયા હતા.

    આ ઉપરાંત સરકાર હવે દર પાંચ વર્ષે રેશનકાર્ડની ચકાસણી કરશે. જે રીતે બિહારમાં મતદાર યાદી સુધારણા કામગીરી ચાલે છે તેમાં રેશનકાર્ડને પણ માન્ય પુરાવો ગણવાનો ચૂંટણીપંચે ઈન્કાર કર્યો છે.

  • મોરબીના સનાળા ગામે વેપારી પાસેથી 3.50 લાખની લૂંટ કરનાર આરોપીની રોકડ રકમ સાથે ધરપકડ

    મોરબીના સનાળા ગામે વેપારી પાસેથી 3.50 લાખની લૂંટ કરનાર આરોપીની રોકડ રકમ સાથે ધરપકડ

    મોરબીના શનાળા શાનલા ગામે વેપારી સાથે ઝપાઝપી કરીને રોકડા રૂપિયા સાડા ત્રણ લાખની લૂંટ કરવામાં આવી હતી જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયેલ હતી અને આ બનાવ સંદર્ભે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાયેલ હતી જેના આધારે મોરબી એલસીબીની ટીમે આરોપીની ધરપકડ કરી છે.

    મોરબીના શનાળા ગામે રહેતા ઘનશ્યામભાઈ થોભણભાઈ સુરાણી (47)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિશાલ વેલજીભાઈ રબારી રહે. સનાળા વાળાની સામે લૂંટની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, તે પોતાની દુકાનેથી મંગળવારે ઘરે જતાં હતા ત્યારે તેના ધંધા માટે રૂપિયાની જરૂર હતી જેથી 4 લાખ રૂપિયા લીધેલા હતા.

    જેમાંથી બજરંગ પાન વાળા કેતનભાઇને તેઓએ 30,000 રૂપિયા આપ્યા હતા અને 20,000 રૂપિયા પોતાના ખિસ્સામાં રાખ્યા હતા જોકે, સાડા ત્રણ લાખ રૂપિયા થેલામાં હતા જે થેલાની લૂંટ કરવામાં આવી હતી જેથી ભોગ બનેલ વેપારીએ લૂંટની ફરિયાદ નોંધાવી હતી.

    સ્થાનિક પોલીસ અને એલસીબીની ટિમ આરોપીને પકડવા માટેની તજવીજ કરી રહી હતી તેવામાં પોલીસે આરોપી વિશાલ વેલજીભાઇ આલ (25) રહે, શનાળાની ધરપકડ કરી હતી તેની પાસેથી લૂંટમાં ગયેલ 3.50 લાખ કબ્જે કર્યા છે અને આરોપીને એ ડિવિઝન પોલીસ હવાલે કરવામાં આવેલ છે આ કામગીરી એલસીબીના પીઆઇ એમ.પી.પંડ્યાની સૂચના મુજબ કરવામાં આવી હતી.

  • મોરબીના ચકચારી 602 જમીન કૌભાંડમાં મુખ્ય મહિલા આરોપી શાંતાબેન પરમાર સહિત બે આરોપીની ધરપકડ

    મોરબીના ચકચારી 602 જમીન કૌભાંડમાં મુખ્ય મહિલા આરોપી શાંતાબેન પરમાર સહિત બે આરોપીની ધરપકડ

    મોરબીના ચકચારી 602 જમીન કૌભાંડની તપાસ હાલમાં સીઆઇડી ક્રાઇમ દ્વારા કરવામાં આવી રહી છે તેવામાં આ ગુનામાં મુખ્ય મહિલા આરોપી સહિત કુલ બે આરોપીને પકડવામાં આવેલ છે અને આ આરોપીઓના રિમાન્ડ લેવા માટેની તજવીજ શરૂ કરવામાં આવેલ છે અને જે બે આરોપીને પકડવામાં આવેલ છે.

    તેમાંથી એક આરોપીનો કૌભાંડમાં મુખ્ય રોલ છે જયારે બીજા આરોપીની ભૂમિકા મુખ્ય મહિલા આરોપીના ઘર સુધી પહોચવાથી લઈને બેંકમાં એકાઉન્ટ ઓપન કરવા સુધીની અને મહત્વનો બોગસ સરકારી પુરાવો ઊભો કરવાની હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જેથી પ્રારંભથી જ આ આરોપીઓનો મહત્વનો રોલ હોય તેવું દેખાઈ રહ્યું છે.

    વજેપર ગામે આવેલ સર્વે નંબર 602 વાળી જમીનનું કૌભાંડ કરીને બારોબાર પચાવી પાડવા માટેનો માસ્ટર પ્લાન બનાવવામાં આવેલ હતો જો કે, તેમાં આરોપી કોણ કોણ છે તેને લઈને હજુ ઘણી અવઢવ ચાલી રહી છે તેવામાં માર્ચ-2025 માં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ખાતે શાંતાબેન પરમાર અને તરઘરી ગામના સરપંચ સાગર ફૂલતરિયા સામે ફરિયાદ નોંધાયેલ હતી આ ગુનામાં સીઆઇડીની ટિમ દ્વારા અગાઉ બે આરોપીને પકડવામાં આવ્યા હતા અને તેના રિમાન્ડ પૂરા થતાં તે બંનેને જેલ હવાલે કરવામાં આવેલ છે.

    આ ગુનામાં અન્ય લોકોની પણ સંડોવણી હોય આરોપીઓને પકડવા તજવીજ ચાલી રહી હતી તેવામાં સીઆઇડીના ડીવાયએસપી આર.એસ. પટેલ અને તેની ટીમે આ ગુનામાં મુખ્ય મહિલા આરોપી શાંતાબેન મનજીભાઇ પરમાર (70) રહે. લાભનગર વેજીટેબલ રોડ મોરબી અને સાગર નવઘણભાઇ સાવધાર રબારી (39) રહે. રબારીવાસની ધરપકડ કરેલ છે અને આ બંને આરોપીઓના રિમાન્ડ લેવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલ છે. અત્રે ઉલેખનીય છે કે અગાઉ આ ગુનામાં પોલીસે હેતલબેન ભોરણિયા અને ભરતભાઇ દેગામા નામના બે આરોપીની ધરપકડ કરી હતી.

    હાલમાં સૂત્રો પાસેથી મળી રહેલ માહિતી મુજબ જે મુખ્ય મહિલા આરોપી શાંતાબેન પરમારની ધરપકડ કરી છે તેના નામે ફરિયાદીની જમીન કરવામાં આવી હતી અને તેના માટે બોગસ દસ્તાવેજી પુરાવા ઊભા કરવામાં આવ્યા હતા જો કે, તે મહિલા અજ્ઞાન હોવાથી આ બોગસ દસ્તાવેજ કોણે બનાવ્યા અથવા તો બોગસ દસ્તાવેજ બનાવવા માટે કોણે મદદ કરી હતી તે સૌથી મોટો સવાલ હાલમાં સીઆઇડી સામે ઊભો છે.

    અને સાગર રબારી નામના જે આરોપીને પકડવામાં આવેલ છે તે આરોપીએ મુખ્ય મહિલા આરોપીના ઘર સુધી જઈને તેનો સંપર્ક કર્યો હતો અને આટલું જ નહીં શાંતાબેનનું જે બેન્ક એકાઉન્ટ ખોલવામાં આવ્યું હતું તે ઓપન કરાવવામાં અને શાંતાબેનનું જે બોગસ પાન કાર્ડ બનાવવામાં આવ્યું છે તે બંને કામમાં સાગરની મહત્વની ભૂમિકા હતી તેવું ચર્ચાઇ રહ્યું છે.

    અત્રે ઉલેખનીય છે કે, આ ગુનામાં હજુ ઘણા આરોપીઓને પકડવાના બાકી છે જેથી કરીને આ ગુનાની તપાસ કરી રહેલા સીઆઇડી ક્રાઇમના ડીવાયએસપી આર.એસ.પટેલ અને તેની ટીમો જુદીજુદી દિશામાં તપાસ કરી રહી છે. ત્યારે જમીનના મૂળ માલિકની જાણ બહાર અંદાજે 35 કરોડની કિંમતી જમીન હડપ કરવા માટેના ન માત્ર મોરબી પરંતુ ગુજરાતમાં ચર્ચાસ્પદ બનેલા આ કૌભાંડમાં આગામી દિવસોમાં કોણ કોણ આરોપી બને છે તેના ઉપર સહુ કોઇની નજર મંડાયેલ છે.

  • ટંકારા ખાતે મોરબી તથા રાજકોટના સ્વચ્છ ભારત મિશન યોજનાના કર્મચારીઓ માટે તાલીમ યોજાઈ

    ટંકારા ખાતે મોરબી તથા રાજકોટના સ્વચ્છ ભારત મિશન યોજનાના કર્મચારીઓ માટે તાલીમ યોજાઈ

    મોરબી જિલ્લાના ટંકારા ખાતે કમિશ્નર  ગ્રામ વિકાસ કચેરી ગાંધીનગર, રાજ્ય ગામ વિકાસ સંસ્થા (SIRD) ગુજરાત અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મોરબી દ્વારા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મોરબી અને રાજકોટ જિલ્લાના સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજનામા કામ કરતા બ્લોક અને ક્લસ્ટર કો-ઓર્ડીનેટર ઓ માટે રીફ્રેશર તાલીમનું આયોજન કરવામાં આવ્યુ હતું.

    એસ.આઈ.આર.ડીના નિયામક  બી.એમ.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ વિવિધ સ્થળોએ યોજાઈ રહેલી તાલીમોના ભાગરૂપે ટંકારા ખાતે આયોજિત તાલીમમાં રાજયકક્ષાએથી SIRD માંથી ઉપસ્થિત કોર ફેકલ્ટી સુ.  નીલાબેન પટેલ દ્વારા સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત તાલીમના ઉદ્દેશો અને તાલીમ દ્વારા પરિણામલક્ષી કામગીરી વિશે વિગતવાર માગદર્શન આપવામાં આવ્યું હતું.

    SIRD ના માસ્ટર ટ્રેનર્સ દ્વારા તમામ તાલીમાર્થીઓને એસ.બી.એમ. ફેઝ-૨ ના વિવિઘ ઘટકો અંગે પ્રેઝન્ટેશન, શોર્ટ વિડિયો ક્લિપ, ગ્રુપ ડિસ્કશન તથા અન્ય પ્રવૃતિઓ તેમજ સંવાદના માધ્યમથી પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. મોરબીના જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક , સ્વચ્છ ભારત મિશનના જિલ્લા કોર્ડીનેટર અને જિલ્લા ટીમ દ્વારા તાલીમનું સફળ આયોજન કરવામાં આવ્યુ હતું.

  • મોરબીમાં ગૃહ રાજ્યમંત્રી  હર્ષ સંઘવીએ લોક દરબાર યોજી નાગરિકોના પ્રશ્નો સાંભળ્યા; પદાધિકારી/અધિકારીઓ સાથે સમીક્ષા કરી

    મોરબીમાં ગૃહ રાજ્યમંત્રી  હર્ષ સંઘવીએ લોક દરબાર યોજી નાગરિકોના પ્રશ્નો સાંભળ્યા; પદાધિકારી/અધિકારીઓ સાથે સમીક્ષા કરી

    મોરબી પોલીસ અધિક્ષકની કચેરી ખાતે ગૃહ રાજ્યમંત્રી  હર્ષ સંઘવીએ લોક દરબાર યોજી મોરબી જિલ્લાના નાગરિકોના પ્રશ્નો સાંભળી પ્રશ્નોનું ઝડપી અને યોગ્ય નિરાકરણ કરાશે તેવું જણાવ્યું હતું. જિલ્લાના ૫૨ જેટલા અરજદારોએ વિવિધ સમસ્યાઓ બાબતે મંત્રી  સમક્ષ રજૂઆત કરી હતી.

    મંત્રી એ જણાવ્યું હતું કે, લોકોએ પોતાના પ્રશ્નો માટે ગાંધીનગર સુધી આવવું ન પડે તે માટે મોરબી જિલ્લાના ૫૨(બાવન) જેટલા અરજદારો દ્વારા વિવિધ પ્રશ્નો એ અમારી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. આ પ્રશ્નો અન્વયે મહદ અંશે પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું છે. જ્યારે નીતિવિષયક પ્રશ્નો બાબતે કાર્યવાહી ઝડપી હાથ ધરી સમય મર્યાદામાં યોગ્ય નિકાલ કરવામાં આવશે.

    આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ  હંસાબેન પારેઘી, ધારાસભ્ય સર્વ  કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, જીતુભાઈ સોમાણી, રેન્જ આઈજીપી  અશોકકુમાર યાદવ, જિલ્લા કલેક્ટર  કે.બી. ઝવેરી, મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર  સ્વપ્નિલ ખરે, જિલ્લા પોલીસ અધિક્ષક  રાહુલ ત્રિપાઠી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ  હિરાભાઈ ટમારીયા, જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન  પ્રવિણભાઈ સોનગ્રા સહિત જિલ્લાના પદાધિકારીઓ અને વહીવટી તંત્રના અધિકારીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

  • સિરામિક એકમોના બાકીદારો સામે કેસ કરી કાયદેસરની પ્રક્રિયા કરાશે

    સિરામિક એકમોના બાકીદારો સામે કેસ કરી કાયદેસરની પ્રક્રિયા કરાશે

    મોરબીમાં હવે જે સિરામિક એકમોમાં નાણાં ફસાયેલા છે.તેની સામે કેસ કરી કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તેવો નિર્ણય સિરામિક રો-મટિરિયલ્સ એસોસિએશનની આજે મળેલી બેઠકમાં… મોરબીમાં હવે જે સિરામિક એકમોમાં નાણાં ફસાયેલા છે.

    તેની સામે કેસ કરી કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તેવો નિર્ણય સિરામિક રો-મટિરિયલ્સ એસોસિએશનની આજે મળેલી બેઠકમાં લેવામાં આવ્યો છે.આ નિર્ણયને એસોસિએશનના તમામ વેપારીઓએ વધાવ્યો છે.

    મોરબી સિરામિક રો-મટિરિયલ્સ એસોસિએશનની આજે બેઠક મળી હતી. જેમાં અંદાજે સિરામિક એકમોને રો-મટિરિયલ્સ સપ્લાય કરતા અંદાજે 350 જેટલા વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સતિષભાઈ પટેલના જણાવ્યા અનુસાર આ બેઠકમાં ત્રણ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.

    જેમાં રો-મટિરિયલ્સના વેપારીના પૈસા જે સિરામિક એકમમાં ફસાયા છે.તેની સામે કેસ કરવામાં આવશે. આ ઉપરાંત જે એકમોનું પેમેન્ટ આવતું નથી અને ચેક રિટર્ન થયા છે તેને માલની સપ્લાય બંધ કરવામાં આવશે. સાથે હવેથી સિરામિક એકમો સાથે પેમેન્ટ ટર્મ ફિક્સ કરીને જ માલ આપવાનો રહેશે. આ ત્રણ નિર્ણયોમાં તમામ વેપારીઓએ સહમતી દર્શાવી છે.

  • રીલ્સ જોવા માટે હવે નહીં ચલાવવી પડે આંગળીઓ: ઇન્સ્ટાગ્રામ લઈને આવ્યું નવું ઓટો-સ્ક્રોલ ફીચર

    રીલ્સ જોવા માટે હવે નહીં ચલાવવી પડે આંગળીઓ: ઇન્સ્ટાગ્રામ લઈને આવ્યું નવું ઓટો-સ્ક્રોલ ફીચર

    ઇન્સ્ટાગ્રામ દ્વારા યુઝરની સરળતા માટે એક નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે.આ ફીચરનું નામ છે ઓટો-સ્ક્રોલ. આજે દરેક વ્યક્તિ રીલ્સના બંધાણી થઈ ગયા છે.

    આ રીલ્સને હવે વારંવાર બદલવી ન પડે એ માટે ઇન્સ્ટાગ્રામ દ્વારા એક નવા ફીચર પર કામ કરવામાં આવી રહ્યું હતું. આ ફીચરની મદદથી હવે યુઝર્સને એક રીલ પૂરી થઈ ગયા બાદ બીજી રીલ જોવા માટે આંગળીનો ઉપયોગ કરવો નહીં પડે. આ માટે ઇન્સ્ટાગ્રામ પોતે જ રીલ બદલી આપશે. મેટાની અન્ય એપ થ્રેડ્સ પર એક યુઝર દ્વારા આ ફીચરનો સ્ક્રીનશોટ શેર કરીને માહિતી આપવામાં આવી છે.

    નવા ફીચરનું ટેસ્ટિંગ શરૂ ઇન્સ્ટાગ્રામ દ્વારા રીલને વારંવાર બદલવી ન પડે એ માટે ઓટો-સ્ક્રોલ ફીચર પર કામ કરવામાં આવી રહ્યું હતું. આ ફીચરની મદદથી એક રીલ પૂરી થયા બાદ બીજી રીલ ઓટોમેટિક શરૂ થઈ જશે. પહેલાં રીલ પૂરી થયા બાદ ફરી એ જ ચાલુ થઈ જતું હતું. જોકે હવે યુઝરને આ ફીચરની મદદથી રીલ્સ જોવામાં વધુ સરળતા રહેશે. આ ફીચરનું ટેસ્ટિંગ ઇન્સ્ટાગ્રામ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે.

    ઘણાં યુઝર્સ એનો લાભ ઉઠાવી રહ્યાં છે.આ ફીચર હજી સુધી દરેક માટે શરૂ નથી થયું. થોડાં દિવસની અંદર આ ફીચર દરેક માટે આવી જશે અને એનાથી યુઝર્સને હેન્ડ્સ-ફ્રી એક્સપિરીયન્સ મળશે. ઓટો-સ્ક્રોલનો ફાયદો? આ ફીચર ખાસ કરીને એવા યુઝર્સ માટે છે જે રીલ્સ જોવા પાછળ ખૂબ જ સમય પસાર કરે છે.

    તેમ જ નવા યુઝર્સને આકર્ષવા માટે પણ આ ફીચર મદદરૂપ બનશે. ઘણાં યુઝર્સ વારંવાર રીલ બદલવી પડે એ કારણે પણ રીલ્સ નથી જોતા. આથી આ ફીચરની મદદથી એ યુઝર્સને ખૂબ જ ફાયદો થશે. ઓટો-સ્ક્રોલ ફીચર કેવી રીતે કરશે કામ? આ માટે યુઝર્સ દ્વારા પહેલાં આ ફીચર શરૂ કરવું પડશે. આ ફીચર ફરજિયાત નથી. આ ફીચરનો ઉપયોગ કરવો હોય તો એને સેટિંગ્સમાં જઈને ઓન-ઓફ કરી શકાય છે.

    આ ઓન કર્યા બાદ ઇન્સ્ટાગ્રામની રીલ્સ ટચ અથવા તો સ્વાઇપ કર્યા વગર ઓટોમેટિક બદલાતી રહેશે. જોકે યુઝરને રીલ પસંદ ન આવે અને તેને અડધેથી એને બદલવી હોય તો સ્વાઇપ કરવું પડશે. આ ફીચર એક વાર રીલ પૂરી થયા બાદ જ તેને સ્ક્રીન પર નવી રીલ દેખાડશે. કંપનીએ યુઝર્સની એન્ગેજમેન્ટ વધારવા માટેનું ફીચર આ ફીચર કહેવા માટે યુઝર્સની સરળતા માટેનું છે, પરંતુ હકીકતમાં એનાથી કંપનીને ફાયદો થશે. કંપનીને ફાયદો એટલા માટે કે ઓટોમેટિક ફીચર ઓન હોવાથી ઘણાં યુઝર રીલને અડધેથી સ્વાઇપ નહીં કરે. આથી રીલનો ઉપયોગ કરવાનો સમયમાં વધારો થઈ શકે છે.

    તેમ જ એવા ઘણાં યુઝર્સ જેને સ્વાઇપ કરવાનો કંટાળો આવતો હોય જેથી તેઓ રીલ્સ નહીં જુએ, એને પણ આ પ્લેટફોર્મ પર ખેંચી શકાશે. આથી આ ફીચર કહેવા માટે યુઝરની સરળતા માટે છે, પરંતુ એનો સૌથી મોટો ફાયદો તો કંપનીને જ છે.

  • મોરબીના ખારી વિસ્તારમાં રોડ ઉપર ગંદા પાણીની રેલમછેલ

    મોરબીના ખારી વિસ્તારમાં રોડ ઉપર ગંદા પાણીની રેલમછેલ

    વિસ્તારમાં રોગચાળાનો ભય, લોકોમાં ભારે રોષ મોરબીમાં આવેલ ત્રાજપર ખારી વિસ્તારમાં મેઈન રોડ પર ગટરના પાણી ઉભરાતા રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે.આ અંગે અવાર-નવાર… વિસ્તારમાં રોગચાળાનો ભય, લોકોમાં ભારે રોષ મોરબીમાં આવેલ ત્રાજપર ખારી વિસ્તારમાં મેઈન રોડ પર ગટરના પાણી ઉભરાતા રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે.

    આ અંગે અવાર-નવાર રજુઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.આ અંગે ત્રાજપર ખારી વિસ્તારના રહીશે જણાવ્યું હતું કે, છેલ્લા 5 મહિનાથી રહીશો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

    આ અંગે પાર્થભાઈને રજુઆત કરતા તેઓએ ઉચ્ચઅધિકારીઓને રજુઆત કરવા જણાવ્યું હતું. જ્યારથી મોરબી શહેરને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે ત્યારથી આ વિસ્તારમાં ગટરના પાણી ઉભરાવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

    મુસાફરોને આવવા જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.ગંદકીને કારણે આસપાસના વિસ્તારમાં લોકોના સ્વાસ્થ્યને લઈને ભીતિ પણ સેવાઈ રહી છે.ત્યારે જો કોઈ માંદગીનો ભોગ બને તો જવાબદાર કોણ ? વગેરે જેવા પ્રશ્નો ઉઠવા પામ્યા છે.

    મહત્વનું છે કે, મોરબીમાં અવારનવાર અનેક વિસ્તારોમાં ગટરના પાણી ઉભરાતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યું છે.ત્યારે તંત્ર ઘોર નિંદ્રામાં હોઈ તેમ આંખ આડા કાન કરીને બેસી રહ્યાનું દૃશ્ય જોવા મળી રહ્યું છે.

  • મોરબી જિલ્લાના રોડ-રસ્તાના કામો ઝડપથી પૂરા કરો, કલેકટરની સુચના

    મોરબી જિલ્લાના રોડ-રસ્તાના કામો ઝડપથી પૂરા કરો, કલેકટરની સુચના

    મોરબી ઈન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં જિલ્લાના વિવિધ પ્રશ્નો અંગે સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં સ્વાગત પોર્ટલ, લોક ફરિયાદ અને પીજી પોર્ટલ પર પેન્ડિંગ અરજીઓની પર ચર્ચા વિચારણા કરી પેન્ડિંગ અરજીઓનો સમય મર્યાદામાં નિકાલ કરવા સૂચના આપવામાં આવી હતી તથા જિલ્લા સંકલન સમિતિના 1 થી 6 પત્રકોની પણ સમીક્ષા કરવામાં આવી હતી.

    જિલ્લાના પદાધિકારીઓ દ્વારા વરસાદી પાણીના નિકાલ, જમીન સંપાદન અને જમીન માપણી, શાળાઓમાં શિક્ષકોની ઘટ, વન વિભાગની જમીન સંબંધિત પ્રશ્નો, પાણી અને રોડ રસ્તા તથા ભારે વાહનોના પાર્કિંગ માટે જગ્યાઓ ફાળવવા સહિતના રજૂ કરવામાં આવેલા પ્રશ્નો અંગે સમીક્ષા કરી આ પ્રશ્નોના નિરાકરણ માટે ઝડપી અને યોગ્ય કામગીરી કરવા કલેક્ટરે સબંધિત વિભાગોને સૂચનાઓ આપી હતી. વધુમાં ક્લેક્ટરે રોડ રસ્તા સહિતના વિકાસ કાર્યો સમય મર્યાદામાં પૂર્ણ કરવા અને ગુણવત્તા જાળવવા માટે તાકીદ કરી હતી.

    આ તકે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ. ગઢવી દ્વારા જિલ્લામાં સઘન વૃક્ષારોપણ, જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ મોતા દ્વારા વિવિધ એન્ટ્રન્સ પરીક્ષાઓ અને મોરબી તથા લીડ બેંક મેનેજર સાકિર છીપા દ્વારા નાણાકીય સમાવેશ અને યોજનાકીય કામગીરી વિશે પ્રેઝેન્ટેશ રજૂ કરવામાં આવ્યા હતા. આ બઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, પ્રકાશભાઈ વરમોરા, જીતુભાઈ સોમાણી, નાયબ વન સંરક્ષક સુનિલ બેરવાલ,, પ્રાંત અધિકારીઓ, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ, ચીફ ઓફિસરો અને જિલ્લા વહીવટ તંત્રના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

  • ટેસ્લા બાદ મસ્કની સ્ટારલિંકની ટૂંક સમયમાં ભારતમાં એન્ટ્રી, 10 ગણી વધુ ઈન્ટરનેટ સ્પીડ મળવાનો દાવો!

    ટેસ્લા બાદ મસ્કની સ્ટારલિંકની ટૂંક સમયમાં ભારતમાં એન્ટ્રી, 10 ગણી વધુ ઈન્ટરનેટ સ્પીડ મળવાનો દાવો!

    ઈલોન મસ્કની ટેસ્લા બાદ હવે Starlink પર ટૂંકસમયમાં ભારતમાં એન્ટ્રી કરવા જઈ રહી છે.તેના પ્રવેશ સાથે સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોવાઈડર્સને પણ અપગ્રેડ કરવામાં આવી રહ્યા છે.

    ભારતમાં તેની એન્ટ્રીથી ઈન્ટરનેટ નેટવર્કમાં એક મોટી ક્રાંતિ આવશે. સ્ટારલિંકની નેક્સ્ટ વેવમાં અનેક મોટા ફેરફારો જોવા મળી શકે છે.જેમાંથી એક સ્પીડ છે.

    અપગ્રેડેડ સ્ટારલિંકમાં ઈન્ટરનેટ સ્પીડ 10 ગણી વધશે. નવો સેટેલાઈટ લોન્ચ કરાશે સ્ટારલિંક આ અપગ્રેડેશન માટે નવો સેટેલાઈટ લોન્ચ કરવાની તૈયારીમાં છે.આ લોન્ચિંગ આગામી વર્ષની શરૂઆતમાં થઈ શકે છે.

    જો કે, હાલ સ્પીડને સત્તાવાર ધોરણે સ્ટાકલિંક 3.0 નામ આપવામાં આવ્યું નથી. સ્ટારલિંક એ વાસ્તવમાં સેટેલાઈટ આધારિત ઈન્ટરનેટ સેવા પૂરી પાડે છે.

    જેનાથી કોઈ ટેલિકોમ ટાવરના કવરેજની જરૂર પડતી નથી. આ પણ વાંચોઃ પુરાવાના અભાવે મુંબઈ ટ્રેન બ્લાસ્ટ મામલે 19 વર્ષ બાદ 11 આરોપી મુક્ત, 189 ના થયા હતા મોત સ્ટારલિંકનો પ્લાન સ્ટારલિંક હેઠળ યુઝર્સને સીધી સેટેલાઈટમાંથી ઈન્ટરનેટ નેટવર્ક પૂરૂ પાડવામાં આવે છે.

    યુઝર્સે તેના માટે સ્ટારલિંકનો એન્ટિના પોતાના ઘરે લગાવવાનો હોય છે.સ્ટારલિંકનો અમેરિકામાં રેસિડેન્શિયલ પ્લાન 120 યુએસ ડોલર (રૂ. 10314) પ્રતિ મહિનો છે.

    હાર્ડવેરનો અલગથી ચાર્જ છે.જેની કિંમત 349 યુએસ ડોલર (આશરે રૂ. 29 હજાર) છે.હાઈસ્પીડ ઈન્ટરનેટથી અનેક વિસ્તારો અને ક્ષેત્રોને લાભ મળશે. ભારતમાં લોન્ચિંગ બાદ તેનો લાભ ભારતના લોકો અને ટેક્નોલોજીના વિકાસમાં મળશે. સ્ટારલિંક હાલ 100થી વધુ દેશોમાં સેવા આપી રહી છે. જેના આશરે 60 લાખ ગ્રાહકો છે.