મોરબી જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અન્વયે ડીડીઓ જે.એસ. પ્રજાપતિની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
આગામી ૨૧ જૂન, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની મોરબી જિલ્લામાં ઉજવણી કરવાના આયોજન બાબતે જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે બેઠક યોજાઇ હતી.
સમગ્ર વિશ્વ અને દેશમાં ૨૧ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. ગુજરાતમાં પણ વધુને વધુ લોકોને યોગ બાબતે જાગૃત કરવા અને યોગ સાથે જોડવાના ઉદ્દેશ્ય સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે મોરબીમાં જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ, નગરપાલિકા કક્ષાએ તેમજ ગામડાઓમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા માટે આયોજન માટે બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં મોરબીમાં જિલ્લા કક્ષાની ઉજવણી અન્વયે સ્ટેજ, મંડપ અને ગ્રાઉન્ડ તૈયાર કરવા, સાઉન્ડ સિસ્ટમ, લાઈવ પ્રસારણ નિહાળવા એલઇડી સ્ક્રીન અને વીજ પુરવઠાની ઉપલબ્ધતા, ટ્રાફિક વ્યવસ્થા અને પાર્કિંગ, એમ્બ્યુલન્સ તેમજ હેલ્થની ટીમ સ્થળ પર ઉપલબ્ધ રાખવા, ગ્રાઉન્ડ તેમજ આસપાસની જગ્યાએ સાફ-સફાઈ ઉપરાંત પીવાના પાણીની વ્યવસ્થા કરવા બાબતે સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
જિલ્લા વિકાસ અધિકારી એ આ કાર્યક્રમમાં જિલ્લાની તમામ શાળા-કોલેજ, આરોગ્ય કેન્દ્ર, પોલીસ હેડ ક્વાર્ટર અને સબ જેલ, સરકારી તમામ કર્મચારીઓ અને તેમના પરિવારજનો ઉપરાંત મોરબી શહેરમાં વધુને વધુ સંખ્યામાં શહેરીજનો તથા ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામજનો આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બને તે પ્રકારનું આયોજન કરવા જણાવ્યું હતું.
મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવનાર છે. ઉપરાંત તાલુકા, નગરપાલિકા અને ગ્રામ્ય કક્ષાએ પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ. ગઢવી, મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળા, પ્રાંત અધિકારીઓ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફિસર અને જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આજે અમદાવાદના મેઘાણીનગરમાં એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ થયુ હોવાની ઘટના સામે આવી છે.પ્લેનમાં ક્રુ મેમ્બર અને પેસેન્જર સહિત 242 લોકો સવાર હતા.હવે આ સમગ્ર અકસ્માત બાદ બ્લેક બોકસમાંથી દુર્ધટનાનું સાચું કારણ જાણી શકાશે. તો શું છે આ બ્લેક બોકસ જાણો
આજે અમદાવાદમાં પ્લેન ક્રેશ થતા આસપાસના વિસ્તારમાં નાસભાગ થઈ છે. મળતી માહિતી અનુસાર ઘોડા કેમ્પ પાસે પ્લેન ક્રેશ થતા ફાયર વિભાગની ત્રણ ટીમો ઘટના સ્થળે પહોંચી છે.ત્યારે હવે પ્લેન ક્રેશના તમામ રાઝ બ્લેક બોક્સ ખોલશે.તો જાણો બ્લેક બોક્સ શું છે. બ્લેક બોક્સ પ્લેન ક્રેશ બાદ સૌથી મહત્વના ઉપકરણોમાંનું એક છે. તેની મદદથી અકસ્માતની તપાસ કરવામાં આવે છે કે, વિમાન કેવી રીતે ક્રેશ થયું ? આ પાછળનું કારણ શું હતું?કોકપીટમાં પાઈલટ અને અન્ય લોકો શું કરી રહ્યા હતા?બ્લેક બોક્સને ફ્લાઇટ ડેટા રેકોર્ડર કહેવામાં આવે છે.
બ્લેક બોકસ ખોલશે એર ઈન્ડિયા પ્લેન ક્રેશના રાઝ
ફ્લાઇટ સાથે સંકળાયેલી કોઈપણ અકસ્માત શોધવા માટે હંમેશા બ્લેક બોક્સનો ઉપયોગ કરવામાં આવે છે. તે વિમાનની ઉડાન દરમિયાનની બધી ફ્લાઇટ પ્રવૃત્તિઓ રેકોર્ડ કરે છે. આ કારણોસર તેને ફ્લાઇટ ડેટા રેકોર્ડર (FDR) પણ કહેવામાં આવે છે. તેને સુરક્ષિત રાખવા માટે, તે સૌથી મજબૂત ધાતુ ટાઇટેનિયમથી બનાવવામાં આવે છે. ઉપરાંત, અંદરની દિવાલો એવી રીતે બનાવવામાં આવી છે કે જો કોઈ અકસ્માત થાય તો પણ બ્લેક બોક્સ સુરક્ષિત રહે અને તેમાંથી સમજી શકાય કે ખરેખર શું થયું હતું.
બ્લેક બોક્સ શું હોય છે?
આનું નામ સાંભળી એવું લાગે કે, બ્લેક બોક્સ એક કાળો ડબ્બો હોય છે પરંતુ આવું બિલકુલ હોતું નથી. બ્લેક બોક્સ પોતાના નામથી બિલકુલ અલગ નારંગી રંગનું હોય છે અને ફ્લાઈટ રેકોર્ડર (Flight Recorder) પણ કહેવામાં આવે છે. બ્લેક બોક્સ ખુબ મજબુત હોય છે. જેને પ્લેનના પાછળના ભાગમાં રાખવામાં આવે છે.
બ્લેક બોક્સનું કામ શું હોય છે?
આ એક એવું ઉપકરણ છે જે ઉડાન દરમિયાન વિમાનનો સંપૂર્ણ ડેટા એકત્રિત કરે છે. તેનું મુખ્ય કાર્ય એ શોધવાનું છે કે, વિમાન દુર્ઘટના કે કોઈ ગંભીર ઘટના દરમિયાન શું થયું? ડેટા એકત્રિત કરવાનો છે. દરેક વિમાનમાં બે ડેટા રેકોર્ડર હોય છે, જે એકબીજા સાથે જોડાયેલા હોય છે.
બ્લેક બોક્સ સુરક્ષિત રહે છે કારણ કે તે ટાઇટેનિયમથી બનેલું છે અને તેમાં અનેક સ્તરો છે. જો વિમાનમાં આગ લાગી જાય તો પણ તેના નાશ થવાની શક્યતા લગભગ નહિવત્ છે કારણ કે તે લગભગ 1 કલાક સુધી 10,000 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાનનો સામનો કરી શકે છે. આ પછી પણ, આ બોક્સ આગામી 2 કલાક સુધી લગભગ 260 ડિગ્રી તાપમાન સહન કરી શકે છે. તેની એક ખાસિયત એ છે કે તે લગભગ એક મહિના સુધી લાઈટ વિના કામ કરે છે, એટલે કે ક્રેશ થયેલા વિમાનને શોધવામાં સમય લાગે તો પણ, ડેટા બોક્સમાં સાચવેલો રહે છે.
અમદાવાદ : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા વિજયભાઈ રૂપાણીનું આજે અમદાવાદ નજીક એર ઈન્ડિયાના વિમાન AI 171ના દુઃખદ દુર્ઘટનામાં નિધન થયું છે. આ ઘટનાની પુષ્ટિ કેન્દ્રીય મંત્રી અને ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે મોડી સાંજે મીડિયા સમક્ષ કરી.
વિમાનમાં 242 મુસાફરો સવાર હતા, જે લંડનના ગેટવિક એરપોર્ટ તરફ જઈ રહ્યું હતું. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 175 થી વધુ લોકોના મોત થયા હોવાનું સત્તાવાર સૂત્રો જણાવે છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. વિજયભાઈ રૂપાણી લંડનમાં રહેતી તેમની પુત્રીને મળવા અને પત્ની અંજલીબેન રૂપાણીને પરત લાવવા જઈ રહ્યા હતા. અંજલિબેન હાલ લંડનથી અમદાવાદ આવવા રવાના થયા નું અને આવતીકાલે બપોરે 1 વાગ્યે ગુજરાત પહોંચશે તેમ જાણવા મળે છે.
રાજકીય અને સામાજિક ક્ષેત્રે શોકની લાગણી: આ દુઃખદ સમાચાર ફેલાતાં જ ગુજરાત અને દેશભરમાં શોકનું મોજું ફરી વળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શોક વ્યક્ત કરતાં લખ્યું “અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાએ આપણને સ્તબ્ધ કરી દીધા છે. આ દુઃખની ઘડીમાં મારી સંવેદનાઓ પીડિત પરિવારો સાથે છે.” ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઘાયલોને તાત્કાલિક સારવાર મળે તે માટે ગ્રીન કોરિડોરની વ્યવસ્થા કરવા સૂચના આપી છે. ભાજપના ગુજરાત પ્રદેશ પ્રવક્તા યજ્ઞેશ દવેએ જણાવ્યું, “વિજયભાઈ રૂપાણી પંજાબ અને ચંદીગઢના ભાજપ પ્રભારી હતા તેમનું નિધન રાજકીય ક્ષેત્રે મોટી ખોટ છે.”
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ સહિત ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓ વિજયભાઈની અંતિમ યાત્રામાં સામેલ થવા ગુજરાત આવી રહ્યા છે. રાજકોટ, વિજયભાઈનું વતન, સહિત રાજ્યભરમાં શોકસભાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
દુર્ઘટનાની વિગતોઃ એર ઈન્ડિયાનું બોઇંગ 787-8 ડ્રીમલાઈનર વિમાન (ફ્લાઈટ AI 171) અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી બપોરે 1:38 વાગ્યે ઉડાન ભર્યું હતું. ઉડાન ભર્યાની થોડી જ મિનિટોમાં વિમાન મેઘાણીનગર વિસ્તારમાં એરપોર્ટની બાહ્ય દિવાલ સાથે અથડાઈને નજીકના રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું નાગરિક ઉડ્ડયન મંત્રીએ જણાવ્યું કે, પાયલટે ક્રેશ પહેલાં મે ડે કોલ કરીને એર ટ્રાફિક કંટ્રોલ (એટીસી) સાથે સંપર્ક કર્યો હતો.
અમદાવાદ એરપોર્ટે તમામ ફ્લાઈટ ઓપરેશન્સ તાત્કાલિક સ્થગિત કરી દીધા છે. રાષ્ટ્રીય આપત્તિ નિવારણ દળ (NDRF), અગ્નિશામક દળ અને સ્થાનિક પોલીસ રેસ્ક્યુ અને રાહત કામગીરીમાં લાગેલા છે. ઘાયલોને અમદાવાદની સિવિલ હોસ્પિટલ અને અન્ય નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. એર ઈન્ડિયાએ શોક વ્યક્ત કરતાં તેમનો સોશિયલ મીડિયા લોગો કાળો કરી દીધો છે અને પીડિત પરિવારોને સહાયની ખાતરી આપી છે.
વિજયભાઈ રૂપાણીની રાજકીય સફર: 2 ઓગસ્ટ, 1956ના રોજ મ્યાનમારના યાંગોનમાં જન્મેલા વિજય રામચંદ્ર રૂપાણીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી. રાજકોટમાં સ્થાયી થયેલા તેમના પરિવારની પૃષ્ઠભૂમિમાંથી તેમણે શિક્ષણ પૂર્ણ કર્યું અને ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજમાંથી બી.એ. તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી એલએલબીની ડિગ્રી મેળવી. RSS અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) સાથેના સંપર્કે તેમની રાષ્ટ્રવાદી વિચારધારાને મજબૂત કરી.
1970ના દાયકામાં ભારતીય જનસંઘ અને બાદમાં ભાજપ સાથે જોડાઈને તેમણે રાજકોટમાં સંગઠનને મજબૂત કર્યું. 1987માં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સભ્ય અને 1996-97માં મેયર તરીકે સેવા આપી. 2002થી 2014 સુધી રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું અને રાજ્ય સરકારમાં પાણી પુરવઠા, પરિવહન, શ્રમ અને રોજગાર જેવા ખાતાઓ સંભાળ્યા. 2014માં રાજ્યસભાના સભ્ય બન્યા અને 2016માં ગુજરાતના 16મા મુખ્યમંત્રી તરીકે જવાબદારી સ્વીકારી.
તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ (2016-2021) દરમિયાન ગુજરાતે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઔધોગિક વિકાસ અને ડિજિટલ ગુજરાત જેવી પહેલોમાં પ્રગતિ કરી. વાઈબ્રન્ટ ગુજરાત સમિટ દ્વારા વિદેશી રોકાણ આકર્ષવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી. 2017ની ચૂંટણીમાં ભાજપની જીત બાદ તેઓ ફરી મુખ્યમંત્રી બન્યા, પરંતુ 2021માં પાર્ટીના નિર્ણયને પગલે રાજીનામું આપ્યું રાજીનામા બાદ તેઓ પંજાબ અને ચંદીગઢના ભાજપ પ્રભારી તરીકે સક્રિય રહ્યા.
વિરાસત અને સામાજિક યોગદાન: વિજયભાઈ રૂપાણીએ શિક્ષણ, આરોગ્ય અને ગ્રામીણ વિકાસ માટે RSSના માધ્યમથી સામાજિક કાર્યોમાં યોગદાન આપ્યું જૈન સમુદાયના સભ્ય તરીકે તેમણે ધાર્મિક-સામાજિક સંસ્થાઓ સાથે જોડાણ જાળવ્યું ‘સૌની’ યોજના જેવી નીતિઓએ ખેડૂતો અને ગ્રામીણ વિસ્તારોનો વિકાસ સાધ્યો. તેમની સાદગી, સમર્પણ અને લોકો સાથેના સીધા સંપર્કે તેમને જન-નેતા બનાવ્યા.
દુર્ઘટનાની તપાસ: આ દુર્ઘટનાના કારણોની તપાસ માટે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) અને અન્ય સંસ્થાઓએ કામગીરી શરૂ કરી છે. પ્રારંભિક અહેવાલોમાં ટેકનિકલ ખામીની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ વિગતવાર તપાસ બાદ જ સ્પષ્ટ ચિત્ર બહાર આવશે.
ગુજરાતની જનતાનો શોક: વિજયભાઈ રૂપાણીના અકાળે નિધનથી ગુજરાતની જનતા અને રાજકીય સમુદાય શોકમાં ડૂબેલો છે. તેમના પરિવારમાં પત્ની અંજલી રૂપાણી અને પુત્રનો સમાવેશ થાય છે. રાજકોટમાં તેમની અંતિમ યાત્રાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, જેમાં હજારો લોકો સામેલ થવાની શક્યતા છે. ઓમ શાંતિ…
અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનાની તપાસ એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) કરશે એવી માહિતી એક અધિકારીએ આપી છે. અધિકારીએ મુજબ AAIBના ડિરેક્ટર જનરલ અને એજન્સીના ડિરેક્ટર ઓફ ઇન્વેસ્ટિગેશન સહિત અન્ય લોકો અમદાવાદ આવશે અને તપાસ કરશે.
અમદાવાદના સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટેક ઓફ કરતી વખતે એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું હતું. આ વિમાન એરપોર્ટ પરથી બપોરે 1.38 વાગે ટેક ઓફ થયું હતું અને 1.40 વાગે દુર્ઘટના સર્જાઈ હતી. આ પ્લેન ક્રેશની દુર્ઘટના શા માટે ઘટી? શું કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હતી? કે પછી બીજું કાંઈ કારણ હતું, તે તમામ સત્ય જાણવા AAIB (એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો) તપાસ હાથ ધરશે.
આજે ગુરુવારે અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યા પછી તરત જ એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. ક્રેશ થયેલા એર ઇન્ડિયા ડ્રીમલાઇનર બોઇંગ 787 વિમાનમાં 12 ક્રૂ સભ્યો સહિત 242 લોકો સવાર હતા. હવે મળતી માહિતી મુજબ, આ ક્રેશની ઘટનાની તપાસ એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) કરશે એવી માહિતી એક અધિકારીએ આપી છે. અધિકારીએ જણાવ્યું હતું કે, AAIBના ડિરેક્ટર જનરલ અને એજન્સીના ડિરેક્ટર ઓફ ઇન્વેસ્ટિગેશન સહિત અન્ય લોકો અમદાવાદ જવા રવાના થશે.
નાગરિક ઉડ્ડયન મંત્રાલય હેઠળ, AAIB ભારતીય હવાઈ ક્ષેત્રમાં કાર્યરત વિમાનોની સલામતી સંબંધિત ઘટનાઓને અકસ્માતો અને ગંભીર ઘટનાઓમાં વર્ગીકૃત કરવા માટે જવાબદાર છે. તે અકસ્માતોની વિગતવાર તપાસ કરે છે અને સલામતી સુધારવા માટે વિવિધ પગલાં પણ સૂચવે છે. બોઇંગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમે પ્રારંભિક અહેવાલોથી વાકેફ છીએ અને વધુ માહિતી એકત્રિત કરવા માટે કામ કરી રહ્યા છીએ.”
મળતી માહિતી મુજબ, આજે 12 જૂન 2025ના રોજ બપોરે 1.40 કલાકે એર ઇન્ડિયાની ફ્લાઇટ AI171 (બોઇંગ 787-8 ડ્રીમલાઇનર) અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી લંડનના ગેટવિક એરપોર્ટ જઈ રહી હતી. ટેકઓફ થયાના માત્ર 5 મિનિટ પછી, તે મેઘાણીનગરના રહેણાંક વિસ્તારમાં ક્રેશ થઈ ગઈ હતી. વિમાનમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 242 મુસાફરો અને ક્રૂ સભ્યો સવાર હતા. જેમાંથી 240 જેટલા લોકોના મોતની માહિતી મળી રહી છે.
આ તરફ દુર્ઘટનાની માહિતી મળતા જ સરકારે પણ યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી શરૂ કરી દીધી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્ય સચિવ પંકજ જોષી અને સંબંધિત વરિષ્ઠ સચિવોનો ટેલીફોન પર સંપર્ક કરીને તત્કાલ બચાવ અને રાહત કામગીરીની સૂચનાઓ આપી હતી. સાથે જ ગૃહમંત્રી અમિત શાહે પણ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને જરૂરી તમામ પગલાં લીધાં હતાં.
કેન્દ્ર સરકારે બુધવારે કાચા સૂર્યમુખી, સોયાબીન અને પામ તેલ જેવા કાચા ખાદ્ય તેલ પરની બેઝિક કસ્ટમ્સ ડ્યુટી (BCD) 20% થી ઘટાડીને 10% કરી દીધી છે. જેના કારણે કાચા ખાદ્ય તેલ વચ્ચેની આયાત ડ્યુટીનો તફાવત 8.75% થી વધીને 19.25% થયો છે.
કેન્દ્ર સરકારે એક મોટી જાહેરાત કરી છે. હવે ખાદ્ય તેલમાં મોટો ઘટાડો થવાની શક્યતા છે, કારણ કે વધતા જતા ફુગાવા વચ્ચે સરકારે કાચા ખાદ્ય તેલ પરની બેઝિક કસ્ટમ ડ્યુટી ઘટાડી છે. જેની સીધી અસર ખાદ્ય તેલના ભાવ પર પડશે.
અનેક તેલો પર ટેક્સ ઘટાડીને 10 ટકા કરી દીધો
કેન્દ્ર સરકારે બુધવારે કાચા સૂર્યમુખી, સોયાબીન અને પામ તેલ જેવા કાચા ખાદ્ય તેલ પરની બેઝિક કસ્ટમ્સ ડ્યુટી (BCD) 20% થી ઘટાડીને 10% કરી દીધી છે. જેના કારણે કાચા ખાદ્ય તેલ વચ્ચેની આયાત ડ્યુટીનો તફાવત 8.75% થી વધીને 19.25% થયો છે. સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ખાદ્ય તેલ સંઘ અને ઉદ્યોગ હિસ્સેદારોને એક સલાહકાર જારી કરવામાં આવ્યો છે. જેથી ખાતરી કરી શકાય કે ઘટાડેલી ડ્યુટીનો સંપૂર્ણ લાભ ગ્રાહકો સુધી પહોંચે. જેનો સીધો અર્થ એ છે કે ખાદ્ય તેલ પર ડ્યુટીમાં ઘટાડાની અસર તેમના ભાવ પર જોવા મળશે અને ભાવમાં 10 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે.
સરકારના આ નિર્ણયથી ગ્રાહકોને સીધો ફાયદો થશે. નોંધનીય છે કે ખાદ્ય તેલ પર કસ્ટમ ડ્યુટી એ ખાદ્ય તેલના ભાવને અસર કરતા મુખ્ય પરિબળોમાંનું એક છે. હવે ક્રૂડ તેલ પર આયાત ડ્યુટી ઘટાડીને, સરકાર ખાદ્ય તેલના લેન્ડેડ કોસ્ટ અને છૂટક ભાવ ઘટાડવાનો હેતુ ધરાવે છે. આનાથી સામાન્ય જનતાને રાહત મળશે. તે જ સમયે, ફુગાવો પણ ઘટશે.
ઘરેલુ રિફાઇનિંગ ક્ષેત્રોને મજબૂત બનાવવામાં આવશે
ઘટાડેલી ડ્યુટી સ્થાનિક રિફાઇનિંગને પણ વેગ આપશે અને ખેડૂતો માટે વાજબી વળતર જાળવી રાખશે. કેન્દ્ર સરકારે વધુમાં જણાવ્યું હતું કે સુધારેલ ડ્યુટી માળખું પામ તેલની આયાતને નિરુત્સાહિત કરશે અને ક્રૂડ ખાદ્ય તેલ, ખાસ કરીને પામ તેલની માંગમાં વધારો કરશે, જેનાથી સ્થાનિક રિફાઇનિંગ ક્ષેત્રો મજબૂત બનશે.
ભારતીય રેલવેથી મુસાફરી કરનારા કરોડો મુસાફરો માટે ખૂબ મહત્ત્વના સમાચાર આવ્યા છે. રેલવે મંત્રાલયે મંગળવારે તત્કાલ ટિકિટ બુકિંગ પર મોટો નિર્ણય લીધો છે. 1 જુલાઈ 2025થી માત્ર એ જ પેસેન્જર તત્કાલ ટિકિટ બુકિંગ કરી શકશે જેનું આધાર કાર્ડ IRCTC વેબસાઇટ અથવા મોબાઈલ એપ પર વેરિફાઈ થઈ ચૂક્યું હોય.
રેલવે મંત્રાલયે 10 જૂને એક સર્ક્યુલર જાહેર કરીને તમામ ઝોનલ રેલવેને સૂચના કરી કે તત્કાલ ટિકિટ યોજના હેઠળ ટિકિટ હવે માત્ર એ જ યુઝર્સને ઉપલબ્ધ થશે, જેમણે પોતાનો આધાર નંબર IRCTC પોર્ટલ પર દાખલ કરીને OTPના માધ્યમથી વેરિફિકેશન કરાવ્યું હોય.
તત્કાલ ટિકિટ યોજનાના લાભ મુસાફરો સુધી પહોંચાડવા માટે આ નિર્ણય લેવાયો છે. પહેલા આ યોજનાનો દુરૂપયોગ વચેટિયાઓ અને દલાલો દ્વારા કરાતો હતો, જેને લઈને સાચા મુસાફરોને ટિકિટ નહોતી મળી શકતી.
નવી જોગવાઈઓ નીચે મુજબ છે:
1. ઓનલાઈન તત્કાલ બુકિંગ માટે આધાર પ્રમાણીકરણ
• 1 જુલાઈ 2025થી અમલમાં, IRCTCની સત્તાવાર વેબસાઇટ અને મોબાઇલ એપ્લિકેશન દ્વારા બુક કરાયેલ તત્કાલ ટિકિટ ફક્ત આધાર સાથે પ્રમાણિત વપરાશકર્તાઓ માટે જ ઉપલબ્ધ રહેશે.
2. PRS કાઉન્ટર અને એજન્ટો પર સિસ્ટમ-આધારિત OTP પ્રમાણીકરણ
• કોમ્પ્યુટરાઈઝ્ડ પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (PRS) કાઉન્ટર પર અને અધિકૃત એજન્ટો દ્વારા બુક કરાયેલ તત્કાલ ટિકિટો માટે બુકિંગ સમયે વપરાશકર્તા દ્વારા આપવામાં આવેલા મોબાઇલ નંબર પર OTP પ્રમાણીકરણ મોકલવાની જરૂર પડશે.
• આ જોગવાઈ 15 જુલાઈ 2025થી પણ અમલમાં આવશે.
3. અધિકૃત એજન્ટો માટે બુકિંગ સમય પ્રતિબંધ
• નિર્ણાયક શરૂઆતના સમયગાળા દરમિયાન જથ્થાબંધ બુકિંગને રોકવા માટે, ભારતીય રેલવેના અધિકૃત ટિકિટિંગ એજન્ટોને બુકિંગ વિન્ડોની દિવસની પ્રથમ 30 મિનિટ દરમિયાન તત્કાલ ટિકિટ બુક કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
• AC વર્ગો માટે, આ પ્રતિબંધ સવારે 10.00 થી 10.30 વાગ્યા સુધી અને નોન-AC વર્ગો માટે સવારે 11.00 થી 11:30 વાગ્યા સુધી લાગુ પડે છે.
• આ ફેરફારો તત્કાલ બુકિંગમાં પારદર્શિતા સુધારવા અને યોજનાના લાભો સાચા અંતિમ વપરાશકર્તાઓ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે લાગુ કરવામાં આવી રહ્યા છે.
• CRIS અને IRCTCને જરૂરી સિસ્ટમ ફેરફારો કરવા અને તે મુજબ તમામ ઝોનલ રેલવે અને સંબંધિત વિભાગોને જાણ કરવા સૂચના આપવામાં આવી છે.
રેલવે મંત્રાલય તમામ મુસાફરોને આ ફેરફારોની નોંધ લેવા વિનંતી કરે છે અને દરેકને અસુવિધા ટાળવા માટે તેમના IRCTC વપરાશકર્તા પ્રોફાઇલ સાથે આધાર લિંકેજ સુનિશ્ચિત કરવા પ્રોત્સાહિત કરે છે.
ગૌશાળા જ કેમ નડી? શનાળા રોડ, મણી મંદિર પાસેના દબાણોનું શું? કમિશનરે મળવાની પણ ના પાડી દીધી!
મોરબી મનપા દબાણો હટાવવા સહિતની કામગીરીમાં એક ખોળ અને બીજાને ગોળ જેવી નીતિ અપનાવે છે તેવો તેવો ગંભીર આક્ષેપ વિહિપ દ્વારા કરવામાં આવેલ છે અને વિહિપના આગેવાનો કમિશનરને આવેદનપત્ર આપવા ગયા હતા. ત્યારે કમિશનરે વિહિપના આગેવાનોને મળવાની ઘસીને ના પાડી દીધી હતી.
વિહિપના આગેવાનો મનપાના કમિશનરને રજુઆત કરવા માટે મહાપાલિકા કચેરીએ ગયા હતા ત્યારે કમિશનરે તેઓને મળવાની ના પાડી દીધી હતી અને ડેપ્યુટી કમિશનરને મળવા માટે કહ્યું હતું જેથી વિહિપના આગેવાનોમાં નારાજગી હતી કેમ કે, મોરબીના લોકોને મળવા માટે ખુદ કમિશનરે સોમવારનો દિવસ નિશ્ચિત કરેલ છે.
તો પણ વિહિપના આગેવાનોને તે મળ્યા ન હતા જેથી રાજ્યનાં મુખ્યમંત્રી અને મોરબીના કલેક્ટર પણ લોકોને સીધા મળીને તેઓની રાજુયાતોને સાંભળે છે તો પછી મનપાના કમિશનરને વિહિપના આગેવાનોને મળવામા અને તેઓની રજૂઆતને સાંભળવામાં વાંધો શું છે તે તપાસનો વિષય છે.
વધુમાં વિહિપના આગેવાન પાસેથી મળતી માહિતી મુજબ મોરબીમાં સ્મશાનની બાજુમાં આવેલા વોકળા પર બનેલી યદુનંદન ગૌશાળાનું બાંધકામ અવરોધરૂપ હોય તોડી નાખ્યું હોય તો ગૌશાળાના બાંધકામની સીધી લીટીમાં આવેલા મકાન કેમ પાડવામાં નથી આવ્યા ?,
કાલીકા પ્લોટમાં કે જ્યાંથી શનાળા રોડ અને રવાપર રોડનો પાણીનો નિકાલ છે ત્યાં દબાણો છે તેને કેમ દૂર કરવામાં ન આવ્યા ?, મોરબીમાં આવેલ મણીમંદિરની બાજુમાં જે દબાણ છે તેનો કેસ પણ ચાલુ છે.
તો તેના લાઇટ અને પાણીના જોડાણ બાબતે કેમ કોઈ કાર્યવાહી કરેલ નથી ?, મહાપાલિકાની પોતાની જગ્યા (પવડીનો ડેલો)માં પણ ગેરકાયદેસર દબાણ છે તેને કેમ તોડવામાં આવતું નથી ?
મોરબીમાં હરતા-ફરતા પશુઓના અવેડા તોડી પાડવામાં આવેલ છે જો કે, ગેરકાયદે કતલખાના આજની તારીખે પણ ચાલી રહ્યા છે? જેથી કરીને કાયદા મુજબની એક સમાન કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરેલ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી ચોમાસાની સંભવિત વરસાદી સ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકારની સજ્જતા અને આગોતરા આયોજનની તલસ્પર્શી માહિતી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં મેળવી હતી.રાજ્યમાં પ્રિ-મોનસૂન કામગીરી વિવિધ વિભાગોએ હાથ ધરી છે અને વરસાદી સ્થિતિમાં જનજીવનને વિપરીત અસર ન પડે તેવું આયોજન પોતાના વિભાગોના ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરીને કર્યું છે.આ સંદર્ભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિસ્તૃત વિગતો મેળવી હતી.
કચ્છ -સૌરાષ્ટ્ર માટે એક ટીમ પરમેનેન્ટ ડીપ્લોય રહે તે જરૂરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે,સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં વરસાદી સ્થિતિના સમયે જરૂર જણાયે પ્રશાસનની સહાયતા માટે એન.ડી.આર.એફ.ની ટીમ સમયસર પહોંચે તે હેતુસર કચ્છ -સૌરાષ્ટ્ર માટે એક ટીમ પરમેનેન્ટ ડીપ્લોય રહે તે જરૂરી છે.
તેમણે આ માટે NDRF સાથે જરૂરી સંકલન માટે મહેસુલ અધિક મુખ્ય સચિવ ડો.જયંતિ રવીને સૂચનાઓ આપી હતી.તેમણે દરેક વિભાગોના વરિષ્ઠ સચિવોને જણાવ્યું કે,ચોમાસા દરમિયાન જે દુરસ્તી કામ યુદ્ધના ધોરણે હાથ ધરીને જનજીવન પૂર્વવત કરવામાં આવે તે વિષયને સોશિયલ મીડિયા,મીડિયા દ્વારા સકારાત્મક રીતે લોકો સુધી પહોંચે તે પણ જરૂરી છે.
ઊર્જા વિભાગ સેટેલાઈટ ફોન સહિત પૂરતા સાધનો સાથે સજ્જ
મુખ્યમંત્રીએ ભારે વરસાદને કારણે હાઇવે -માર્ગોને નુકસાન થાય તો તાકીદે રીપેરીંગ કરવા સાથે વૈકલ્પિક રૂટ તૈયાર રાખવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.રાજ્યના નાના પુલ -કોઝ-વેનું 90 ટકા પ્રિ- મોનસુન ઇન્સ્પેક્શન થઈ ગયું છે તેમ આ બેઠકમાં માર્ગ મકાન સચિવે જણાવ્યું હતું.
વરસાદી સ્થિતિમાં વીજ પુરવઠાને અસર પડે તો તાત્કાલિક તે પૂર્વવત થાય એ માટે ઊર્જા વિભાગ સેટેલાઈટ ફોન સહિત પૂરતા સાધનો અને મેનપાવરથી સુસજ્જ છે તેમ ઊર્જાના અધિક મુખ્ય સચિવ એસ.જે.હૈદરે જણાવ્યું હતું. મુખ્ય સચિવ પંકજ જોશીએ જિલ્લાઓમાં કંટ્રોલ રૂમ સતત કાર્યરત રહે તે માટે તેમજ દરેક જિલ્લાની જરૂરિયાત મુજબ તેમને સાધન-સામગ્રી કે અન્ય મદદ મળે તે જોવા સંબંધિત વિભાગોને સૂચનો કર્યા હતા.
અહિંસા અને શાકાહાર ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે, તબીબ ક્ષેત્રે અને સમાજ સેવા ક્ષેત્રે એમ ૪ કેટેગરીમાં અપાય છે ‘ભગવાન મહાવીર એવોર્ડ’
‘૨૯માં મહાવીર એવોર્ડ’ માટે ઈચ્છુક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. આ અરજી આગામી ૩૦ જુલાઈ ૨૦૨૫ સુધીમાં કરવાની રહેશે.
સામાન્ય વહિવટ વિભાગ તથા મહેસૂલ વિભાગ, ગાંધીનગર, ગુજરાત સરકાર, દર વર્ષની જેમ આ વર્ષે પણ ‘ભગવાન મહાવીર એવોર્ડ’ આપવામાં આવનાર છે.
આ એવોર્ડ ૧. અહિંસા અને શાકાહાર ક્ષેત્રે, ૨. શિક્ષણ ક્ષેત્રે, ૩. તબીબ ક્ષેત્રે અને ૪. સમાજ સેવા ક્ષેત્રે એમ ૪ કેટેગરીમાં આપવામાં આવે છે.
જે અંગેની તમામ વિગતો www.bmfawards.org પરથી મેળવી શકાશે. જેથી ૩૦ જુલાઈ ૨૦૨૫ સુધીમાં nominations.bmfawards@gmail.com પર નોમિનેશન કરવા મોરબ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
મોરબીના રવાપર- ધૂનડા રોડ પર રહેતા વેપારીને જૂના ધંધાના પૈસાની લેતી- દેતીના મામલે ડીવાયએસપીની ખોટી ઓળખ ફોન પર આપી 3 શખ્સોએ ડરાવી- ધમકાવી રૂૂા. 30 હજાર ગુગલ પે કરાવી લેતા આ અંગે મોરબી સિટી બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવાતા તપાસ હાથ ધરાઇ છે.
મોરબીના રવાપર-ધૂન રોડ પર રહેતા વેપારી અમીતકુમાર દલીચંદભાઇ વરમોરા (ઉ.વ.39) મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ હરીગુણ બિઝનેસ સેન્ટરમાં હરેક્રિષ્ના માર્કેટિંગ નામની ઓફિસમાં વર્ષ 2023માં કોલસાની લે-વેચનો ધંધો કરતા ત્યારે તેમની બાજુમાં દિલીપભાઈ વાઘજીભાઈ જીવાણી (રહે. વિજયનગર-મોરબી) પણ કોલસાનો ધંધો કરતા.
વેપારીએ ધંધા પેટે નાણાકીય વ્યવહાર કર્યો હોઇ દિલીપભાઈ પાસે રૂૂા. 10.69 લાખની રકમ લેવાની નીકળતી હતી. આ બાકી કમ લેવા માટે વેપારીએ દિલીપભાઈને ફોન કરતા હતા. દરમિયાન વેપારીને દિલીપભાઈ રૂૂબરૂૂ મળ્યા ત્યારે ધમકી આપી હતી કે કેમ તું મારી પાસે રૂૂપિયા માંગે છે.
હવે જો મને ફોન કરીશ તો હું જ તને ખોટા ગુનામાં ફસાવી દઇશ અને હવે તને કોનો ફોન આવે છે તેની સાથે તું વાત કરી લેજે.બાદમાં થોડા દિવસો પછી વેપારીના મોબાઇલ પર એક શખ્સનો કોલ આવ્યો હતો અને કહ્યું હતું કે હું ડીવાયએસપી બોલું છું. તારે અને દિલીપને રૂૂપિયાની લેતી-દેતી જે હોય તે મને કહેજે.
હું પુરું કરાવી દઇશ. બાદમાં અવારનવાર ડીવાયએસપી બોલું છું કહી ફોન આવતા. અને બાદમાં એક મોબાઇલ નંબર આપ્યો હતો. આ મોબાઇલ નંબર પરથી વેપારીને ફોન આવ્યો હતો અને 30 હજાર ગુગલ પે કરવાનું કહેતા વેપારીએ ગુગલ પે કરી દીધા હતા.
બાદમાં વેપારીને શંકા જતા તેણે તપાસ કરતાં દિલીપ જીવાણીના કહેવાથી તેના મિત્ર હિતેશભાઈ કેશવજીભાઈ કામરીયા (રહે. હાલ મોરબી)એ ડીવાયએસપી તરીકેની ખોટી ઓળખ આપી અને તેની સાથે કામ કરતા હિમાંશુભાઈ ભટ્ટે ફોન કરી રકમ ગુગલ પે કરાવી લીધી હોવાનું ખુલતા ત્રણેય સામે ફરિયાદ નોંધાવતા તપાસ હાથ ધરાઇ છે.