Category: All

  • મોરબી જિલ્લાઓમાં તલાટીઓની વકીલાત સામે વિરોધ

    મોરબી જિલ્લાઓમાં તલાટીઓની વકીલાત સામે વિરોધ

    મોરબી જીલ્લાના સરકારી કર્મચારી તલાટી મંત્રીઓ ખાનગી ઓફીસ ચલાવે છે અને વકીલોના તમામ પ્રકારના કાર્ય કરતા હોય છે જે બંધ કરવા અને ખાનગી કાર્ય કરવા બદલ તાત્કાલિક પગલા લેવા રેવન્યુ બાર એસો દ્વારા માંગ કરવામાં આવી છે.

    મોરબી રેવન્યુ બાર એસોના સભ્યોએ આજે જીલ્લા વિકાસ અધિકારીને આવેદન પાઠવી જણાવ્યું છે કે મોરબી જીલ્લામાં આપના કાર્યક્ષેત્રમાં આવતા બધા તલાટી મંત્રીઓ સરકારનો ખોટો ગેરકાયદેસર પગાર મેળવે છે અને ખાનગી ઓફીસ ચલાવી ખુબ આવક મેળવતા હોવાનું ધ્યાને આવ્યું છે

    સરકાર તરફથી નિમણુક કરેલ તલાટી કમ મંત્રીઓ ખાનગી ઓફીસ અને ખાનગી કામ કરી ખુબ આર્થી રીતે સુખી સંપન્ન થઇ ગયા છે જો સરકાર તરફથી આપવામાં આવેલ પગાર અને ખર્ચની તપાસ કરવામાં આવે તો સીધી રીતે સ્પષ્ટ ખ્યાલ આવી સકે તેમ છે તલાટી કમ મંત્રીઓ ખાનગી ઓફીસ કરીને વારસાઈ આંબા, વારસાઈ એન્ટ્રી, હક કમી વહેચણી, સુધારા વધારાના કાર્ય, નાની મોટી અપીલ કાર્ય, ગ્રામ્ય વેચાણ વ્યવહારના દસ્તાવેજ અને નોંધો, જન્મ મરણ સહિતના કાર્ય ખાનગી સમજી લીધા હોય તેમ લાગે છે.

    અરજીથી તલાટી કમ મંત્રીઓને ખ્યાલ આવે કે સરકારી કામકાજમાં ના આવે એ ખાનગી કાર્યમાં આવે જે કાર્ય ખાનગી ઓફિસે કરવા ગુનો છે જે કાર્ય વકીલની પ્રેક્ટીસ કરતા વ્યક્તિના હોય, સરકારી કામકાજ માટે તલાટી કમ મંત્રીઓ પાસે સમય નથી સરકારી કચેરી એ ખાનગી ઓફિસે બેઠા કાર્ય કરવું, અરજદારના સીધા કાર્ય કરવા, સરકારી કાર્યથી દુર રહી તે ગુનાહિત કૃત્ય ગણાય કચેરીના સમયે અરજદાર બહાર તડકે બેસી સાહેબની રાહ જોતો રહે છે અને સાહેબ દસ્તાવેજ નોંધાવતા હોય છે જે તલાટી કમ મંત્રીઓનું બિલકુલ ખરું કાર્ય નથી

    વધુમાં જણાવ્યું છે કે વિમલ ચંદ્રાલા, મેહુલ ઉધરેજા, બળદેવ ક્ચરોલા, આરીફ મન્સૂરી, નીલેશ દેસાઈ, સંદીપ દેત્રોજા, કેતન વડાવીયા, ઉમેશ ચંદ્રાસારા સહિતના તેમજ ટંકારાના દિવ્યેશ રાજકોટિયા, યોગેશ દેત્રોજાની પર્સનલ રેવન્યુ કાર્ય માટેની અને દસ્તાવેજ કાર્યી ઓફીસ છે.

    સરકારી કાર્ય કરવામાં જરા પણ રસ ના હોય ખાનગી કાર્યમાં ખુબ મોટો રસ ધરાવતા હોય જે મોરબી રેવન્યુ બાર એસોને ધ્યાને આવેલ છે જેથી ખાનગી કાર્ય બંધ કરવા આદેશ આપવા માંગ કરી છે અને ખાનગી કાર્ય 15 દિવસમાં બંધ નહિ કરે તો મોરબી રેવન્યુ બાર એસો આગળની કાર્યવાહીના આકરા પગલા લેવાની ફરજ પડશે તેમ જણાવ્યું છે.

  • ટેકનોલોજી ક્ષેત્રે નવાજૂની..! માનવ મગજને ટક્કર આપવાની તૈયારી, ઝુકરબર્ગ બનાવી રહ્યા છે સુપરઇન્ટેલિજન્સ AI ટીમ

    ટેકનોલોજી ક્ષેત્રે નવાજૂની..! માનવ મગજને ટક્કર આપવાની તૈયારી, ઝુકરબર્ગ બનાવી રહ્યા છે સુપરઇન્ટેલિજન્સ AI ટીમ

    ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગ હવે એક AI ટીમ બનાવી રહ્યા છે જે સુપરઇન્ટેલિજન્સ ટેકનોલોજી પર કામ કરશે જે માનવ જેટલી જ બુદ્ધિશાળી હશે કે તેનાથી પણ વધુ બુદ્ધિશાળી હશે. મેટાનો હેતુ AGI એટલે કે આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સનો વિકાસ છે, જે ભવિષ્યમાં ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.

    દુનિયામાં ટેકનોલોજીની ગતિ હવે એટલી ઝડપી બની ગઈ છે કે માનવીની જેમ વિચારતી AI સિસ્ટમ્સ બનાવવાના પ્રયાસો શરૂ થઈ ગયા છે. હવે ફેસબુક (મેટા) ના માલિક માર્ક ઝુકરબર્ગ પોતે આ દિશામાં એક મોટું પગલું ભરી રહ્યા છે. મેટા એક સુપરઇન્ટેલિજન્સ AI ટીમ બનાવવાની તૈયારી કરી રહ્યું છે જેના માટે માર્કે પણ ભરતી કરવાનું શરૂ કર્યું છે.

    બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, માર્ક ઝુકરબર્ગ એક નવી AGI ટીમ બનાવી રહ્યા છે, જેમાં લગભગ 50 AI નિષ્ણાતોનો સમાવેશ થશે. આ ટીમમાં જોડાવા માટે વિશ્વના ટોચના સંશોધકો અને ઇજનેરોની પસંદગી કરવામાં આવી રહી છે. આ ટીમનું નેતૃત્વ એક નવા AI સંશોધન વડા દ્વારા કરવામાં આવશે, જેની જવાબદારી મેટાને AI ની દુનિયામાં મોખરે લાવવાની રહેશે.

    AGI ટીમ શું છે? AGI એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જનરલ એ એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમ છે જે માણસોની જેમ સમજણ, તર્ક અને વિચારસરણી કરી શકે છે. તે ફક્ત પ્રશ્ન-જવાબ ચેટબોટ નથી, પરંતુ તે એક એવું AI હશે જે માણસોની જેમ પોતાની રીતે વિચારીને કોઈપણ જટિલ કાર્ય કરી શકે છે. મેટાનું નવું મિશન આ દિશામાં છે કે તે એક એવું સુપરઇન્ટેલિજન્ટ AI બનાવે છે જે માણસોની બરાબર હોય અથવા તેમના કરતા પણ સારું હોય.

    10 અબજ ડોલરનું મોટું રોકાણ: આ મિશનને સફળ બનાવવા માટે, ઝકરબર્ગ સ્કેલ AI નામની કંપનીમાં ૧૦ અબજ ડોલર (૮૦,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ)નું રોકાણ કરવા જઈ રહ્યા છે. સ્કેલ AIના સ્થાપક એલેક્ઝાન્ડર વાંગ પણ આ પ્રોજેક્ટમાં જોડાઈ શકે છે અને AGI ડેવલપમેન્ટ ટીમનો ભાગ બની શકે છે.

    ઝુકરબર્ગ પોતે કેમ આગળ આવ્યા? મેટાએ તાજેતરમાં તેનું નવું LLaMA 4 મોડેલ લોન્ચ કર્યું છે, જે એક મોટું ભાષા આધારિત AI મોડેલ છે. પરંતુ મેટા પોતે આ મોડેલના પ્રદર્શનથી ખુશ નથી. બ્લૂમબર્ગના મતે, ઝકરબર્ગ થોડા નારાજ છે કે તેના AI મોડેલને અપેક્ષા મુજબ ઓળખ મળી નથી. આ જ કારણ છે કે તેઓ હવે આ પ્રોજેક્ટનું નેતૃત્વ પોતે કરી રહ્યા છે.

    બેહેમોથ મોડેલનું લોન્ચિંગ મુલતવી રાખવામાં આવ્યું: વોલ સ્ટ્રીટ જર્નલમાં પ્રકાશિત થયેલા એક અહેવાલમાં જણાવાયું છે કે મેટાએ તેના સૌથી મોટા અને સૌથી અદ્યતન AI મોડેલ બેહેમોથનું રિલીઝ પણ મુલતવી રાખ્યું છે. આનું કારણ આ મોડેલની ક્ષમતા અને સંભવિત જોખમો અંગે ઉભા થયેલા પ્રશ્નો હતા. આને કારણે, ઝકરબર્ગ અને મેટાના સમગ્ર આયોજન પર પુનર્વિચાર કરવામાં આવી રહ્યો છે.

    મેટાની કઠિન સ્પર્ધા: મેટા એકમાત્ર એવી કંપની નથી જે AGI ની દિશામાં ઝડપથી કામ કરી રહી છે. OpenAI (ચેટજીપીટી બનાવતી કંપની), ગૂગલ ડીપમાઇન્ડ અને એન્થ્રોપિક જેવી કંપનીઓ પણ માનવ જેવી AI સિસ્ટમ્સ પર કામ કરી રહી છે. દરેક કંપની પહેલા એવી AI બનાવવાનો પ્રયાસ કરી રહી છે જે ફક્ત આદેશોનું પાલન જ નહીં કરે, પરંતુ પોતાની રીતે વિચારી, સમજી અને નિર્ણય પણ લઈ શકે.

  • ગ્રામ પંચાયતની ચૂંટણીઓ અન્વયે મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક મોકૂફ રખાઈ

    ગ્રામ પંચાયતની ચૂંટણીઓ અન્વયે મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક મોકૂફ રખાઈ

    ગ્રામ પંચાયતોની સામાન્ય /વિભાજન /મધ્યસ્થ સત્ર પેટા ચૂંટણીઓ – ૨૦૨૫ જાહેર થતાં આદર્શ આચારસંહિતા અમલમાં છે. જેથી હાલ ચૂંટણી પ્રક્રિયા ચાલુ હોવાના કારણોસર આગામી મોરબી જિલ્લાની સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક મોકૂફ રાખવામાં આવી છે.

    જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની આગામી બેઠકની તારીખ મુકરર થયે જાણ કરવામાં આવશે જેની સર્વેએ નોંધ લેવા મોરબી જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રી એસ.જે. ખાચરની યાદીમાં જણાવાયું છે.

  • મોરબીમાં વૃક્ષો વાવીને તેનો ઉછેરવા કરવા મહાનગરપાલીકાને ટકોર

    મોરબીમાં વૃક્ષો વાવીને તેનો ઉછેરવા કરવા મહાનગરપાલીકાને ટકોર

    મોરબીના પર્યાવરણ પ્રેમી જીતુભાઈ ઠક્કર દ્વારા મહા નગરપાલિકાને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે કે, મોરબી સીટી વિસ્તારમાં રોડ સાઈડમાં જે કોઈ વૃક્ષો હતા તે કોઈને કોઈ રીતે બળી ગયા છે કે કાપી નાખવામાં આવેલા છે.માટે શહેરની મધ્યમાં વૃક્ષો વાવવા જોઈએ અને તેનો યોગ્ય રીતે ઉછેર થાય અને વૃક્ષો મોટા થાય તેવા પણ સઘન પ્રયત્નો કરવા જોઈએ.

    જીતુભાઈ ઠક્કર દ્વારા મહા નગર પાલીકાના કમિશનરને પત્ર લખીને જણાવવામાં આવેલ છે કે, મોરબી શહેરમાં શનાળા રોડ, રવાપર રોડ અને વાવડી રોડ ઉપર અગાઉ વાવેલા અને ઉછરી ગયેલા વૃક્ષો વિવિધ કારણોસર એટલે કે સુકાઈ જવાથી, રોડ રસ્તાના પેવર કામ દરમ્યાન અડચણરૂપ થતા કાઢી નાંખવા વિગેરે કારણોસર હાલમાં મોજુદ નથી.! જેમ કે નવા બસ સ્ટેન્ડથી આગળ જીઆઈડીસી પાસે પેવર બ્લોક કામ દરમ્યાન આયુર્વેદિક મહત્તા ધરાવતું નગોડનું વૃક્ષ કોઈએ કાઢી નાંખ્યું.

    આપણે સૌ જાણીએ છીએ તેમ હાલ પર્યાવરણ સુરક્ષા તરફના દુર્લક્ષની દુરોગામી અસરોને લીધે આપણે સૌ અતિ ભારે ગરમીનો સામનો કરી રહ્યા છીએ.વળી હાલમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ હાલમાં “એક પેડ માઁ કે નામ” અંતર્ગત અભિયાન ચલાવવામાં આવે છે.

    જે અનુસંધાને ઉપર દર્શાવેલ દરેક સ્થળોએ ફરી વૃક્ષો વાવીને ભવિષ્યમાં તે વૃક્ષોને કોઈપણ બહાના હેઠળ દૂર ન કરવામાં આવે તેવું આયોજન અને અમલીકરણ તંત્ર દ્રારા કરાવવામાં આવે તે જરૂરી બન્યુ છે.

  • ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમમાં 53 ટકાથી વધુ પાણીનો જથ્થો, રાજ્યના જળાશયોમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પાણીનો વધુ સંગ્રહ

    ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમમાં 53 ટકાથી વધુ પાણીનો જથ્થો, રાજ્યના જળાશયોમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પાણીનો વધુ સંગ્રહ

    સરદાર સરોવર ડેમમાં હાલ 53 ટકાથી વધુ પાણીનો જથ્થો છે. ચોમાસાની શરૂઆત પહેલા રાજ્યમાં હાલની સ્થિતિએ સરદાર સરોવર સહિત 207 જળાશયોમાં 44 ટકાથી વધુ જળ સંગ્રહ છે. ગત વર્ષે આ સમયે રાજ્યના 207 જળાશયોમાં 40.81 ટકા જળ સંગ્રહ હતો.

    ચાલુ વર્ષે આગામી દિવસોમાં ચોમાસાનું ગુજરાતમાં આગમન થવા જઈ રહ્યું છે ત્યારે ગત વર્ષે સાર્વત્રિક અને પૂરતા પ્રમાણમાં વરસાદ થયો હોવાના પરિણામે હાલની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના 207 જળાશયોમાં કુલ સંગ્રહશક્તિના 44.18 ટકા જળ સંગ્રહ છે.

    ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં કુલ સંગ્રહશક્તિના 53.04 ટકા પાણી ઉપલબ્ધ છે. જેમાંથી આગામી સમયમાં નાગરિકોને જરૂરી પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે. ગત વર્ષે આ સમયે એટલે કે, તા. 10 જૂન-2024ની સ્થિતિએ રાજ્યના 207 જળાશયોમાં 40.81 ટકા જળ સંગ્રહ હતો તેમ જળ સંપત્તિ વિભાગ ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

    વધુમાં મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં સૌથી વધુ 44.08 ટકા જળ સંગ્રહ, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 43.25 ટકા જળ સંગ્રહ, ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 29.38 ટકા, સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 28.10 ટકા અને કચ્છના 20 જળાશયોમાં 27.57 ટકાથી વધુ જળ સંગ્રહ ઉપલબ્ધ છે.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં અને જળ સંપત્તિ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા તેમજ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના નેતૃત્વમાં સરકારે સુજલામ સુફલામ જળસંચય અભિયાન, નલ સે જલ અભિયાન જેવા જળ સંચયના અનેક અભિયાનો શરૂ કર્યા હોવાથી જળ વ્યવસ્થાપન ક્ષેત્રે ગુજરાત આત્મનિર્ભર બન્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલા ‘કેચ ધ રેઈન’ના આહ્વાનને સાકાર કરવા ગુજરાતમાં ‘કેચ ધ રેઈન- સુજલામ સુફલામ જળ અભિયાન 2.0’નો મહેસાણાના દવાડાથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો.

    આ સિવાય સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા ધોળીધજા તેમજ મોરબીના મચ્છુ-3 જળાશયમાં હાલ 91 ટકાથી વધુ પાણી ઉપલબ્ધ છે. જ્યારે કચ્છના કાલાઘોઘા જળાશયમાં 82 ટકાથી વધુ, રાજકોટના ભાદર-2માં 77 ટકાથી વધુ, છોટા ઉદેપુરના સુખી જળાશયમાં 74 ટકાથી વધુ તેમજ રાજકોટના આજી-2માં 73 ટકાથી વધુ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે.

    જ્યારે રાજ્યના 06 જળાશયો 70 થી 100 ટકા, 20 જળાશયો 50 થી 70 ટકા તેમજ 71 જળાશયો 25 થી 50 ટકા વચ્ચે ભરાયેલા છે. જેના પરિણામે ઉનાળા દરમિયાન પણ રાજ્યમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં નાગરિકોની જરૂરિયાત મુજબ પૂરતા પ્રમાણમાં પાણી પૂરું પાડવામાં આવ્યું છે તેમ, યાદીમાં વધુમાં જણાવાયું છે.

  • ફાસ્ટેગ ન ચાલ્યું તો કેમેરા સ્કેન કરશે કારની નંબર પ્લેટ, સીધા એકાઉન્ટમાંથી કપાશે પૈસા; લાગુ થઈ રહી છે નવી ટોલ પોલિસી

    ફાસ્ટેગ ન ચાલ્યું તો કેમેરા સ્કેન કરશે કારની નંબર પ્લેટ, સીધા એકાઉન્ટમાંથી કપાશે પૈસા; લાગુ થઈ રહી છે નવી ટોલ પોલિસી

    માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ નવી ટોલ પોલિસીની જાહેરાત કરી છે. નવી ટોલ પોલિસીમાં ટોલ કલેક્શનને સેટેલાઈટ સાથે જોડવામાં આવશે. જો ફાસ્ટેગ કામ નહીં કરે તો ટોલ પ્લાઝા પર લાગેલા કેમેરા તમારી નંબર પ્લેટ વાંચશે અને સીધા એકાઉન્ટમાંથી જ ટોલ ટેક્સના રૂપિયા કપાઈ જશે.

    New FASTag Rules: દેશમાં ટૂંક સમયમાં નવી ટોલ પોલિસી લાગુ થવા જઈ રહી છે. નવી ટોલ પોલિસીમાં તમારે ફાસ્ટેગની ચિંતા કરવાની પણ જરૂર નહીં પડે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટોલ કલેક્શનને સેટેલાઈટ સાથે જોડવામાં આવશે. જો ફાસ્ટેગ કામ નહીં કરે તો ટોલ પ્લાઝા પર લાગેલા કેમેરા તમારી નંબર પ્લેટ વાંચશે અને સીધા એકાઉન્ટમાંથી જ ટોલ ટેક્સના રૂપિયા કપાઈ જશે. એટલું જ નહીં હાઈવે પર જેટલી ગાડી ચાલશે, માત્ર એટલાનો તમારી પાસેથી ટોલ ટેક્સ લેવામાં આવશે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જે નવી ટોલ પોલિસીની જાહેરાત કરી છે, તેમાં બીજી પણ ઘણી સુવિધાઓ છે. જેના વિશે અમે આપને જણાવીશું.

    આ પોલિસી હેઠળ મુસાફરો હવે ઓછા ખર્ચે નેશનલ હાઈવે પર મુસાફરી કરી શકશે, સાથે જ ટોલ પ્લાઝા પર લાગતી ભીડથી પણ રાહત મળશે. આમાં ઘણી નવી સુવિધાઓ ઉમેરવામાં આવી રહી છે, જેમાં વાર્ષિક અને લાઈફટાઈમ પાસ, કિલોમીટરના આધારે ટોલ અને કોઈ અડચણ વગર ટોલ વસૂલી જેવી જોગવાઈઓનો સમાવેશ થાય છે. આ નીતિ ખાસ કરીને એવા લોકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે, જેઓ રોજિંદા અથવા અવાર-નવાર નેશનલ હાઈવેનો ઉપયોગ કરે છે.

    હાલમાં એક ટોલ પ્લાઝાના માસિક પાસની કિંમત લગભગ 340 રૂપિયા છે, એટલે વર્ષના 4,080 રૂપિયા. જ્યારે નવી પોલિસી હેઠળ માત્ર 3,000 રૂપિયામાં આખા વર્ષ દરમિયાન કોઈપણ નેશનલ હાઈવે પર અનલિમિટેડ મુસાફરી કરી શકાશે. આ ફેરફારથી ખાસ કરીને પ્રાઈવેટ ગાડીઓના માલિકોને સૌથી વધુ ફાયદો થશે, કારણ કે તેઓ ટોલ ટ્રાફિકનો 60% હિસ્સો છે, જ્યારે કુલ ટોલ આવકમાં તેમનું યોગદાન માત્ર 21% છે.

    સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, મે 2025થી આખા દેશમાં સેટેલાઈટ આધારિત ટોલિંગ લાગુ કરવામાં નહીં આવે. તેના બદલે, કેટલાક ચોક્કસ હાઈવે પર ANPR (ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન) ટેકનોલોજી અને FASTagના સંયોજનથી ‘બેરિયર-ફ્રી ટોલ સિસ્ટમ’ લાગુ કરવામાં આવશે. આમાં ટોલ પ્લાઝા પર ઉભા રહેવું નહીં પડે, કેમેરા વાહનની નંબર પ્લેટ સ્કેન કરશે અને ટોલ ટેક્સ આપોઆપ કપાઈ જશે. આ સિસ્ટમ બેંગલુરુ-મૈસૂર અને પાનીપત-હિસાર જેવા માર્ગો પર પાયલટ પ્રોજેક્ટ તરીકે પહેલેથી જ સફળતાપૂર્વક ચલાવવામાં આવી ચૂકી છે.

    આ સાથે જ એક અન્ય મોટો ફેરફાર એ છે કે ખાનગી વાહનો માટે રોજનું 20 કિલોમીટર સુધીનું અંતર ટોલ-ફ્રી રાખવામાં આવ્યું છે. એટલે કે જો કોઈ વ્યક્તિ રોજ 20 કિલોમીટર કે તેનાથી ઓછી મુસાફરી કરે છે, તો તેમને ટોલ ટેક્સ ચૂકવવો નહીં પડે. આ નીતિનો ઉદ્દેશ ટૂંકા અંતરની મુસાફરી કરતા લોકો, ખાસ કરીને હાઈવે નજીક રહેતા લોકોને રાહત આપવાનો છે.

    2008ના નિયમને પણ કડકતાથી લાગુ કરશે

    નવી નીતિ હેઠળ સરકાર 2008ના તે નિયમને પણ કડકતાથી લાગુ કરવા જઈ રહી છે, જે મુજબ બે ટોલ પ્લાઝા વચ્ચે ઓછામાં ઓછું 60 કિમીનું અંતર હોવું જોઈએ. અત્યાર સુધી આ નિયમની અવગણના થતી હતી, જેના કારણે મુસાફરોને થોડા અંતરે ટોલ ટેક્સ ચૂકવવો પડતો હતો. આ ઉપરાંત સરકારે એમ પણ જણાવ્યું છે કે ટોલ ટેક્સને લગતી લોકોની ફરિયાદોને તાત્કાલિક ઉકેલવા માટે નવી ગ્રીવન્સ રિડ્રેસલ સિસ્ટમ તૈયાર કરવામાં આવી રહી છે. આમાં ટોલ ટેક્સને લગતી તમામ ફરિયાદોને ઝડપથી ઉકેલવામાં આવશે. આ સાથે ‘એક વાહન, એક FASTag’ નીતિને કારણે હવે દરેક વાહન માટે માત્ર એક જ માન્ય FASTag રહેશે, જેનાથી ગેરરીતિઓ પર લગામ લાગશે.

    ભારતમાં ટોલ કલેક્શન સતત વધી રહ્યું છે. નાણાકીય વર્ષ 2024માં ટોલ ટેક્સથી 64,810 કરોડ રૂપિયાની આવક થઈ, જે ગયા વર્ષના 48,028 કરોડ રૂપિયાથી 35% વધુ છે. ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન આ મામલે સૌથી આગળ છે. આ આવક ભારતમાલા પરિયોજના જેવી રાષ્ટ્રીય યોજનાઓમાં લગાવવામાં આવી રહી છે, જેમાં અત્યાર સુધી 18,700 કિમી રસ્તાઓનું નિર્માણ થઈ ચૂક્યું છે. નીતિન ગડકરીનો દાવો છે કે આગામી બે વર્ષમાં ટોલથી થનારી આવક ₹1.40 લાખ કરોડ સુધી પહોંચી શકે છે, જેનાથી લગભગ ₹5 લાખ કરોડની નવી પરિયોજનાઓને ગતિ મળશે.

  • ન પક્ષ, ન વિપક્ષ: ટીમ ઈંડિયાની શક્તિ એક ફ્રેમમાં જોઈ લો, પીએમ મોદીના આવાસ પર જોવા મળી અનોખી તસવીર

    ન પક્ષ, ન વિપક્ષ: ટીમ ઈંડિયાની શક્તિ એક ફ્રેમમાં જોઈ લો, પીએમ મોદીના આવાસ પર જોવા મળી અનોખી તસવીર

    વાત જ્યારે દેશની હોય ત્યારે કોઈ પાર્ટી મોટી નથી કે નથી વિચારધારા આડે આવતી. આ જ ભાવ જોવા મળ્યો જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના આવાસ પર આ તમામ સાંસદો, પૂર્વ સાંસદો અને પ્રતિનિધિમંડળો સાથે મુલાકાત કરી, જેમણે હાલમાં જ દુનિયાના અલગ અલગ દેશોમાં ભારતનો અવાજ બુલંદ કર્યો. આતંકના મુદ્દા પર પાકિસ્તાનને ખુલ્લું પાડ્યું. તસવીર કહી રહી છે કે જ્યારે દેશની વાત આવે તો ન પક્ષ રહ્યો, ન વિપક્ષ. બધા એક સાથે ઊભેલા જોવા મળ્યા.

    રાજકારણમાં જ્યાં હંમેશા મતભેદ જોવા મળતો હોય છે, ત્યાં પ્રધાનમંત્રી આવાસ પરથી આવી તસવીરો સામે આવવી જ, જેણે બતાવી દીધું કે, જ્યારે વાત વતનની હોય, તો દરેક પાર્ટી, દરેક નેતા ફક્ત એક ઝંડા નીચે આવી જાય છે. ઓપરેશન સિંદર અંતર્ગત દુનિયામાં પાકિસ્તાનને ખુલ્લુ પાડીને પરત ફરેલા વિવિધ પાર્ટીના સાંસદો, પૂર્વ સાંસદો અને વરિષ્ઠ રાજદ્વારીઓ સાથે પીએમ મોદીએ મુલાકાત કરી તો દુનિયા માટે એક મેસેજ હતો. ભારતમાં મત ભલે અલગ હોય, પણ દેશ પહેલા છે.

    આ ગ્રુપ ફોટોમાં સત્તા પક્ષ, વિપક્ષ, પૂર્વ સાંસદ અને વરિષ્ઠ કૂટનીતિજ્ઞ એક સાથે ઊભેલા હતા. સૌના ચહેરા પર સંતોષ અને સન્માનની ચમક હતી. આ એ જ ટીમ છે, જેણે વિદેશોમાં ભારતની છબીને મજબૂત કરી. આતંકવાદ પર કોઈ પણ હિચક વિના પાકિસ્તાનને ખુલ્લુ પાડી શાંતિની વકીલાત કરી. આ તસવીર બતાવે છે કે જ્યારે દેશની વાત હોય, તો કોઈ વિપક્ષ નથી હોતો, ખાલી ટીમ ઇન્ડિયા હોય છે.

    પીએમ મોદી જ્યારે વરિષ્ઠ નેતા ગુલાબ નબી આઝાદને મળ્યા તો હસવા લાગ્યા. બે અલગ અલગ પાર્ટીની રાજનીતિ કરનારા આ નેતા આ ફ્રેમમાં ખાલી નેતા નહીં, પણ દેશ માટે એક સાથે ઊભેલા ભારતીય નાગરિકો દેખાઈ રહ્યા છે. આ ક્ષણ બતાવે છે કે મુદ્દો જ્યારે ભારતનો હોય તો મતભેદ મૂકી સંવાદની જગ્યા બને છે.

    વિદેશની ધરતી પર કોંગ્રેસ નેતા શશિ થરૂરના નિવેદન ખૂબ ચર્ચામાં રહ્યા, ત્યારે આવા સમયે જ્યારે તેમણે પીએમ મોદી સાથે મુલાકાત કરી તો અલગ જ નજારો જોવા મળ્યો હતો. એક તરફ બિન ભાજપાઈ ચહેરો, બીજી તરફ પ્રધાનમંત્રી, પણ ચહેરામાં કોઈ અંતર નહોતું. ખાલી ઉષ્મા અને ખભે ખભો મિલાવીને દેશની વાત રજૂ કરવાનો ગર્વ છે. આ જ ભારતનો આત્મા છે. ચર્ચા થઈ શકે છે. પણ જ્યારે વાત વતનની આવે તો બધા એક સાથે ઊભા રહે છે.

    આ તસવીર એ તમામ ટીકાકારોને જવાબ છે, જે વિચારે છે કે પક્ષ અને વિપક્ષ સાથે નથી ચાલી શકતા. કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી આનંદ શર્મા અને પ્રધાનમંત્રી મોદી વચ્ચે આ આત્મીય વાતચીત જણાવે છે કે, વિદેશોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારા તમામ સાંસદ, પાર્ટીગત રાજનીતિથી ઉપર ઉઠીને ખાલી ભારત બોલે છે. તેમના એકજૂટ સ્વરે આંતરરાષ્ટ્રીય મંચો પર પાકિસ્તાનની ઊંઘ હરામ કરી નાખી.

    આ ફોટોમાં પીએમ મોદી કોંગ્રેસ સાંસદ અમર સિંહ સાથે મળતા જોવા મળ્યા. આ ઉપરાંત પીએમ મોદીએ તમામ સાંસદો સાથે એક એક કરીને વાત કરી. દરેક પાર્ટીના સાંસદ પાસેથી ફીડબેક લીધો. તેમને પાસેથી જાણ્યું કે મુલાકાત કેવી રહી, નેતા અલગ અલગ પાર્ટીના હતા, અલગ અલગ વિચારધારાના હતા, પણ ઉદ્દેશ્ય એક જ હતો, ભારતનું માથું ગર્વથી ઊંચું રાખવું. આ તસવીર બતાવે છે કે, વિવિધતામાં જ આપણી સૌથી મોટી તાકાત છે. અને જ્યારે આ તાકાત એક હોય તો આખી દુનિયા તમારી વાત સાંભળે છે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ સાંસદોની વાત સાંભળી, તેમની સાથે સવાલ જવાબ કર્યા. સાંસદોએ પોતાના અનુભવ તેમની સાથે શેર કર્યા, જણાવ્યું કે કેવી રીતે સન્માન મળ્યું. ભારતની વાત કેવી રીતે સાંભળી. આ તસવીરમાં પૂર્વ મંત્રી એમજે અકબર પોતાના અનુભવ પીએમ મોદી સાથે શેર કરી રહ્યા છે.

  • વસ્તી ગણતરી પછી સીમાંકનમાં એક તૃતીયાંશ બેઠકો મહિલાઓ માટે અનામત રખાશે

    વસ્તી ગણતરી પછી સીમાંકનમાં એક તૃતીયાંશ બેઠકો મહિલાઓ માટે અનામત રખાશે

    માર્ચ 2027 માં વસ્તી ગણતરીના ડેટા જાહેર થયા પછી લોકસભા અને વિધાનસભા બેઠકોના સીમાંકનની પ્રક્રિયા શરૂ થશે
    ડિજિટલ વસ્તી ગણતરી ડેટા અને ડિજિટલ મેપિંગની ઉપલબ્ધતાને કારણે, સીમાંકન પ્રક્રિયા દોઢ વર્ષમાં પૂર્ણ કરાશે

    વસ્તી ગણતરી પૂર્ણ થયા પછી, લોકસભા અને વિધાનસભાઓની બેઠકોનું સીમાંકન કરવામાં આવશે. આ સીમાંકનમાં, માત્ર લોકસભા અને વિધાનસભાઓની બેઠકોમાં વધારો થશે નહીં, પરંતુ મહિલાઓ માટે એક તૃતીયાંશ બેઠકોનું અનામત પણ લાગુ કરવામાં આવશે. આ સંદર્ભમાં, સંસદે મહિલા અનામત બિલ 2023 પહેલાથી જ પસાર કરી દીધું છે.

    2002માં, 84મા બંધારણીય સુધારા હેઠળ, 2026 સુધી લોકસભા અને વિધાનસભાઓની બેઠકો વધારવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ સુધારામાં, તે પછી યોજાનારી પ્રથમ વસ્તી ગણતરીના ડેટાના આધારે સીમાંકન કરવાની જોગવાઈ કરવામાં આવી હતી.

    હવે ફેબ્રુઆરી 2027માં વસ્તી ગણતરી યોજાવાની હોવાથી, તેના ડેટા આધારે સીમાંકન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સીમાંકન પંચ નક્કી કરશે કે લોકસભા અને વિધાનસભા બેઠકોની સંખ્યા કેટલી વધારવી, પરંતુ એવું માનવામાં આવે છે કે લોકસભા બેઠકોની સંખ્યા 800 થી વધુ હોઈ શકે છે, જે હાલમાં 543 છે.

    છેલ્લે સીમાંકન 2008 માં યુપીએ સરકાર દરમિયાન કરવામાં આવ્યું હતું. તે 2002 માં સંસદ દ્વારા પસાર કરાયેલ સીમાંકન કાયદા મુજબ કરવામાં આવ્યું હતું.

    સીમાંકન પંચ મુજબ સીમાંકન કરવામાં આવ્યું હતું, જેમાં 2001 ની વસ્તી ગણતરીના આધારે રાજ્યોમાં હાલની લોકસભા અને વિધાનસભા બેઠકોના ક્ષેત્રોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. અગાઉ, 1951 થી 1971 સુધી, વસ્તી ગણતરી પછી, સીમાંકન પંચની રચના કરવામાં આવી હતી અને લોકસભા અને વિધાનસભાની બેઠકો વધતી રહી હતી. જોકે, 1976 માં, 2001 સુધી સીમાંકન પર રોક લગાવી દેવામાં આવી હતી.

    નિષ્ણાતોના મતે વસ્તી ગણતરી સંપૂર્ણપણે ડિજિટલ હોવાથી, વિસ્તારવાર વસ્તી ડેટા એક થી દોઢ મહિનામાં જાહેર કરી શકાય છે, જ્યારે પહેલા આ પ્રક્રિયામાં બે વર્ષનો સમય લાગતો હતો. સીમાંકન પંચ સામાન્ય રીતે આ આંકડાઓ પછી જ કામ શરૂ કરતું હતું. આ જ કારણ છે કે 2002 માં રચાયેલા સીમાંકન પંચની ભલામણોના આધારે 2008 માં બેઠકોનું સીમાંકન કરવામાં આવ્યું હતું.

    આ વખતે, વસ્તી ગણતરીના ડેટા વહેલા આવવાની સાથે, દેશના વિવિધ ભાગોનું ડિજિટલ મેપિંગ પણ ઉપલબ્ધ થશે. આવી સ્થિતિમાં, સીમાંકન પંચ દોઢ વર્ષની અંદર તેની ભલામણો રજૂ કરી શકે છે. એકવાર આ ભલામણો સરકાર દ્વારા સ્વીકારાઈ જાય, પછી નવા સીમાંકનના આધારે લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણીઓ માટે માર્ગ મોકળો થશે.

    દક્ષિણના રાજ્યોનું ધ્યાન રાખવામાં આવશે

    વસ્તી વૃદ્ધિ પર અસરકારક નિયંત્રણને કારણે દક્ષિણના રાજ્યો લોકસભામાં પોતાનો હિસ્સો ગુમાવે તેવી શક્યતાને નવા સીમાંકનમાં ધ્યાનમાં લેવામાં આવશે. ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે સંસદની અંદર અને બહાર ઉત્તર ભારતના રાજ્યોના પ્રમાણમાં દક્ષિણના રાજ્યોની લોકસભા બેઠકો વધારવાની ખાતરી આપી છે.

    આ અંતર્ગત, દક્ષિણ ભારતના રાજ્યોમાં લોકસભા બેઠકો ઉત્તર ભારતના રાજ્યો કરતા ઓછી વસ્તી પર નક્કી કરવામાં આવશે. બંધારણ પણ આને મંજૂરી આપે છે. હાલમાં, પૂર્વોત્તરના રાજ્યો અને આંદામાન-નિકોબાર જેવા ઘણા કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ પ્રમાણમાં ઓછી વસ્તી પર લોકસભા બેઠકો છે.

  • મોરબીમાં નિ:શુલ્ક દંતયજ્ઞ અને બત્રીસી કેમ્પ યોજાયો : 125થી વધુ દર્દીઓએ લાભ લીધેલ

    મોરબીમાં નિ:શુલ્ક દંતયજ્ઞ અને બત્રીસી કેમ્પ યોજાયો : 125થી વધુ દર્દીઓએ લાભ લીધેલ

    પરમ શ્રદ્ધેય પુજય શ્રી ધીર ગુરૂદેવની પ્રેરણાથી વર્ધમાન ચેરીટેબલ ટ્રસ્ટ અને ડીવાઈન ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ દ્વારા ગઈકાલ તા.08 ને રવીવારના રોજ નિ:શુલ્ક દંતયજ્ઞ અને બત્રીસીના કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

    આ કેમ્પમાં આશરે 90 જેટલા દર્દીઓ દાંતની ટ્રીટમેન્ટ કરાવવા માટે આવ્યા હતા, જેમાં 35 દર્દીઓએ ફી બત્રીસી (ચોકઠા)નો લાભ લીધેલ. આ કેમ્પમાં ડો. જયસુખભાઈ મકવાણા તથા જાગૃતિબેન ચૌહાણ તથા મોનીકાબેન ભટ્ટ વિગેરેએ સુંદર સેવા બજાવેલ.

    આ કેમ્પનું ઉદઘાટન આ કેમ્પના દાતા માલીનીબેન સંઘવીના મોટા બહેન નિર્મળાબેન મહેતાએ દીપ પ્રગટાવીને કર્યું હતું. સ્થાનકવાસી જૈન સંઘ, સોનીબજાર, મોરબીના ટ્રસ્ટીઓ નવીનભાઈ દોશી, અશોકભાઈ મહેતા, ઉર્મિલાબેન મહેતા, યોગેશભાઈ મહેતા, કેતનભાઈ મહેતા તથા નિતીનભાઈ દોશી તથા અશોકભાઈ મહેતા તથા ચેતના દોશી વિગેરેએ કેમ્પને સફળ બનાવવા માટે ઘણી જહેમત ઉઠાવી હતી.

  • મોરબી સમસ્ત બ્રહ્મસમાજના નવા હોદ્દેદારોની વરણી

    મોરબી સમસ્ત બ્રહ્મસમાજના નવા હોદ્દેદારોની વરણી

    પ્રમુખ રાજેન્દ્રભાઇ ભટ્ટ, ઉપપ્રમુખ દીપક મહેતા, મહામંત્રી જયેશ દવે અને નીરજ ભટ્ટની નિમણૂંક

    મોરબીના નવલખી રોડે આવેલ પરશુરામ ધામ ખાતે શનિવારે સાંજે સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ ટ્રસ્ટના પ્રમુખ અનિલભાઈ મહેતા, મોરબી સમસ્ત બ્રહ્મ સમાજના અધ્યક્ષ પ્રશાંતભાઈ મહેતાના અધ્યક્ષ સ્થાને કાર્યકારી પ્રમુખ કિશોરભાઈ પંડ્યાની હાજરીમાં બ્રહ્મ સમાજની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું

    આ તકે મોરબી સમસ્ત બ્રહ્મ સમાજની નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ પદે રાજેન્દ્રભાઇ કે. ભટ્ટ (આર.કે. ભટ્ટ)ની વરણી કરવામાં આવેલ છે.

    મોરબી સમસ્ત બ્રહ્મસમાજની નવી ટિમ જાહેર કરવામાં આવેલ છે. જેમાં પ્રમુખ પદે રાજેન્દ્રભાઇ કે. ભટ્ટ, મહામંત્રી પદે જયેશભાઈ દવે અને નીરજભાઈ ભટ્ટ, ઉપપ્રમુખ દીપકભાઈ મહેતા, કિશોરભાઈ પંડ્યા, મીલેશભાઈ જોશી અને રાજુભાઈ જોષી (આશીર્વાદ હોટલ),

    સહમંત્રી પદે સુરેશભાઈ જોશી, દીપ પંડ્યા, દીપકભાઈ ચાઉં, કાનાભાઈ ગિરધરભાઈ જોષી અને સુરેશભાઈ ત્રિવેદી, ખજાનચી પદે રાજુભાઈ પંડ્યા, પ્રોજેક્ટ ચેરમેન રવિન્દ્ર ભટ્ટ અને કારોબારી સમિતિમાં ડો. અનિલભાઈ મહેતા, ભુપતભાઈ પંડ્યા, હસુભાઈ પંડ્યા, ડો.બીકે લહેરૂ, એડવોકેટ જગદીશ ઓઝા, પ્રશાંતભાઈ મહેતા, મહેશ ભટ્ટ અને અતુલભાઇ જોશીનો સમાવેશ થાય છે.