
કાલાવડ તાલુકાના મણવર ખીજડીયા ગામે પુરૂષોત્તમ માસ નિમિત્તે વર્ષોથી ચાલી આવતી અનોખી ધાર્મિક પરંપરા અંતર્ગત નિઃસંતાન દંપતિઓને વિશેષ શ્રીફળનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને માનતાધારકો ઉપસ્થિત રહ્યા હતા.
સ્થાનિક માન્યતા અનુસાર પુરૂષોત્તમ ભગવાન પ્રત્યે શ્રદ્ધા રાખી અને નિયમોનું પાલન કરીને આ શ્રીફળ ગ્રહણ કરનાર નિઃસંતાન દંપતિઓને સંતાન સુખ પ્રાપ્ત થતું હોવાની લોકમાન્યતા છે. આ કારણે દર વર્ષે ગુજરાત સહિત વિવિધ વિસ્તારોમાંથી ભક્તો અહીં દર્શન અને પ્રસાદી મેળવવા માટે આવે છે.
આ પ્રસંગે આયોજકો દ્વારા જણાવાયું હતું કે આ પરંપરા અનેક વર્ષોથી અવિરતપણે ચાલી રહી છે અને ભક્તોમાં તેના પ્રત્યે વિશેષ આસ્થા જોવા મળે છે. પુરૂષોત્તમ માસ દરમિયાન યોજાતા આ ધાર્મિક કાર્યક્રમમાં ભક્તોએ પુરૂષોત્તમ ભગવાનના દર્શન કરી સુખ-શાંતિ અને મનોકામના પૂર્ણ થવાની પ્રાર્થના કરી હતી.
સમગ્ર કાર્યક્રમ ધાર્મિક વાતાવરણ અને ભક્તિમય માહોલ વચ્ચે સંપન્ન થયો હતો. (રિપોર્ટ : અજય કાંજીયા)





























