
મિડલ ઈસ્ટમાં ઈઝરાયલ, ઈરાન અને યમન વચ્ચે શરૂ થયેલા ભયંકર મિસાઈલ યુદ્ધના કારણે પરિસ્થિતિ અત્યંત ગંભીર અને ચિંતાજનક બની ગઈ છે. આ વધતા જતા તણાવને ધ્યાનમાં રાખીને તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકો માટે ટ્રાવેલ એડવાઇઝરીને ફરી એકવાર અપડેટ કરીને નવી નોટિસ જાહેર કરી છે. ભારતીય મિશને પોતાના નાગરિકોને ઈરાનનો પ્રવાસ સંપૂર્ણપણે ટાળવા જણાવ્યું છે અને જે ભારતીયો હાલમાં ઈરાનમાં હાજર છે, તેમને ઉપલબ્ધ વાહનવ્યવહારના સાધનોનો ઉપયોગ કરીને તાત્કાલિક દેશ છોડવા માટે ભારપૂર્વક વિનંતી કરી છે.

તમામ ભારતીયો તાત્કાલિક ઈરાન છોડે: એમ્બેસી
સોમવાર, 8 જૂનના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ભારતીય દૂતાવાસે એક નોટિસ શેર કરી છે. દૂતાવાસે તમામ ભારતીય નાગરિકોને ઈરાનની કોઈપણ પ્રકારની યાત્રા ન કરવા માટે કડક આદેશ આપ્યો છે. આ માર્ગદર્શિકામાં માત્ર પ્રવાસ ટાળવાની જ વાત નથી કરવામાં આવી, પરંતુ જે ભારતીય નાગરિકો, વ્યવસાયીઓ કે વિદ્યાર્થીઓ હાલમાં ઈરાનની અંદર વસવાટ કરી રહ્યા છે, તેમને તાત્કાલિક દેશ છોડવા ઉપલબ્ધ વાહન વ્યવહારની મદદથી દેશ છોડવા નિર્દેશ આપ્યા છે.

ફરીથી મહાયુદ્ધના એંધાણ
અત્રે ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ એશિયામાં છેલ્લા કેટલાક મહિનાઓથી સુરક્ષા વ્યવસ્થા સતત કથળી રહી છે. ઈઝરાયલ દ્વારા ઈરાન અને લેબનોન પર કરવામાં આવેલા હવાઈ હુમલા અને તેના જવાબમાં ઈરાન તથા યમનના હૂથી જૂથો દ્વારા કરાયેલા મિસાઈલ મારો – આ તમામ ગ્લોબલ ડેવલપમેન્ટ્સના લીધે કોઈપણ ક્ષણે ફરીથી મોટું આંતરરાષ્ટ્રીય યુદ્ધ ફાટી નીકળવાની દહેશત છે.

આ જ સુરક્ષા ચિંતાઓને કારણે તેહરાન સ્થિત ભારતીય મિશને છેલ્લા કેટલાક મહિનાઓમાં અવારનવાર આવી ગંભીર એડવાઇઝરીઓ જાહેર કરવી પડી છે.

























