મોરબી મોરબી જિલ્લાના જેતપર ગામે લગભગ 4 મહિના જેટલા સમયથી ખેડૂતો દ્વારા ખાનગી વીજ કંપનીના વીજપોલ અને વાયરની સામે પૂરતું વળતર મેળવવા માટે આંદોલન કરવામાં આવી રહ્યું છે અને આ આંદોલન પહેલા જ દિવસથી બિન રાજકીય રીતે કરવામાં આવી રહ્યું છે ત્યારે હળવદ શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ જયેશ વાસુદેવભાઈ પટેલે ખેડૂત આંદોલનના સમર્થનમા પોતાના પદ અને પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી ખેડૂત આંદોલનને સમર્થન આપ્યું છે.

હળવદ ખાતેથી જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે પહોચેલા આમ આદમી પાર્ટીના પ્રમુખ જયેશ પટેલે જણાવ્યુ હતું કે, તેઓએ ખેડૂતોના હિત અને અધિકાર માટે હાલમાં જે બિનરાજકીય આંદોલન ચાલી રહ્યું છે. તેને સમર્થન આપવા માટે પોતાના પદ ઉપરથી જ નહીં પરંતુ આમ આદમી પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી પણ રાજીનામું આપ્યું છે.

વધુમાં તેઓએ અન્ય પક્ષ સાથે જોડાયેલા રાજકીય આગેવાનોને પણ ગુજરાતમાં સરકાર દ્વારા ખેડૂતો વળતર મામલે અન્યાય કરવામાં આવી રહ્યો છે જેથી તેઓ પણ પોતાના પદ અને પક્ષને છોડીને ખેડૂત આંદોલનના સમર્થનમાં આવે તેના માટે આહ્વાન કર્યું હતું તો મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલનના આગેવાન નેહુલભાઈ અમૃતિયાએ ખેડૂત આંદોલનના સમર્થનમાં પદ અને પક્ષ છોડીને ખેડૂતોને ટેકો આપનારા જયેશભાઇ પટેલને બિરદાવ્યા હતા. અને ખેડૂતના દીકરા જયેશભાઈએ પોતાનું કર્તવ્ય નિભવ્યું છે તેવી લાગણી વ્યક્ત કરી હતી. અને ખેડૂતો માટે રાજકીય પક્ષના આગેવાનો પોતાના પદ છોડીને પહેલા ખેડૂતોની વહારે આવે તેવું આહ્વાન કર્યું હતું.
























