ગૌશાળા જ કેમ નડી? શનાળા રોડ, મણી મંદિર પાસેના દબાણોનું શું? કમિશનરે મળવાની પણ ના પાડી દીધી!
મોરબી મનપા દબાણો હટાવવા સહિતની કામગીરીમાં એક ખોળ અને બીજાને ગોળ જેવી નીતિ અપનાવે છે તેવો તેવો ગંભીર આક્ષેપ વિહિપ દ્વારા કરવામાં આવેલ છે અને વિહિપના આગેવાનો કમિશનરને આવેદનપત્ર આપવા ગયા હતા. ત્યારે કમિશનરે વિહિપના આગેવાનોને મળવાની ઘસીને ના પાડી દીધી હતી.
વિહિપના આગેવાનો મનપાના કમિશનરને રજુઆત કરવા માટે મહાપાલિકા કચેરીએ ગયા હતા ત્યારે કમિશનરે તેઓને મળવાની ના પાડી દીધી હતી અને ડેપ્યુટી કમિશનરને મળવા માટે કહ્યું હતું જેથી વિહિપના આગેવાનોમાં નારાજગી હતી કેમ કે, મોરબીના લોકોને મળવા માટે ખુદ કમિશનરે સોમવારનો દિવસ નિશ્ચિત કરેલ છે.
તો પણ વિહિપના આગેવાનોને તે મળ્યા ન હતા જેથી રાજ્યનાં મુખ્યમંત્રી અને મોરબીના કલેક્ટર પણ લોકોને સીધા મળીને તેઓની રાજુયાતોને સાંભળે છે તો પછી મનપાના કમિશનરને વિહિપના આગેવાનોને મળવામા અને તેઓની રજૂઆતને સાંભળવામાં વાંધો શું છે તે તપાસનો વિષય છે.
વધુમાં વિહિપના આગેવાન પાસેથી મળતી માહિતી મુજબ મોરબીમાં સ્મશાનની બાજુમાં આવેલા વોકળા પર બનેલી યદુનંદન ગૌશાળાનું બાંધકામ અવરોધરૂપ હોય તોડી નાખ્યું હોય તો ગૌશાળાના બાંધકામની સીધી લીટીમાં આવેલા મકાન કેમ પાડવામાં નથી આવ્યા ?,
કાલીકા પ્લોટમાં કે જ્યાંથી શનાળા રોડ અને રવાપર રોડનો પાણીનો નિકાલ છે ત્યાં દબાણો છે તેને કેમ દૂર કરવામાં ન આવ્યા ?, મોરબીમાં આવેલ મણીમંદિરની બાજુમાં જે દબાણ છે તેનો કેસ પણ ચાલુ છે.
તો તેના લાઇટ અને પાણીના જોડાણ બાબતે કેમ કોઈ કાર્યવાહી કરેલ નથી ?, મહાપાલિકાની પોતાની જગ્યા (પવડીનો ડેલો)માં પણ ગેરકાયદેસર દબાણ છે તેને કેમ તોડવામાં આવતું નથી ?
મોરબીમાં હરતા-ફરતા પશુઓના અવેડા તોડી પાડવામાં આવેલ છે જો કે, ગેરકાયદે કતલખાના આજની તારીખે પણ ચાલી રહ્યા છે? જેથી કરીને કાયદા મુજબની એક સમાન કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરેલ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી ચોમાસાની સંભવિત વરસાદી સ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકારની સજ્જતા અને આગોતરા આયોજનની તલસ્પર્શી માહિતી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં મેળવી હતી.રાજ્યમાં પ્રિ-મોનસૂન કામગીરી વિવિધ વિભાગોએ હાથ ધરી છે અને વરસાદી સ્થિતિમાં જનજીવનને વિપરીત અસર ન પડે તેવું આયોજન પોતાના વિભાગોના ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરીને કર્યું છે.આ સંદર્ભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિસ્તૃત વિગતો મેળવી હતી.
કચ્છ -સૌરાષ્ટ્ર માટે એક ટીમ પરમેનેન્ટ ડીપ્લોય રહે તે જરૂરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે,સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં વરસાદી સ્થિતિના સમયે જરૂર જણાયે પ્રશાસનની સહાયતા માટે એન.ડી.આર.એફ.ની ટીમ સમયસર પહોંચે તે હેતુસર કચ્છ -સૌરાષ્ટ્ર માટે એક ટીમ પરમેનેન્ટ ડીપ્લોય રહે તે જરૂરી છે.
તેમણે આ માટે NDRF સાથે જરૂરી સંકલન માટે મહેસુલ અધિક મુખ્ય સચિવ ડો.જયંતિ રવીને સૂચનાઓ આપી હતી.તેમણે દરેક વિભાગોના વરિષ્ઠ સચિવોને જણાવ્યું કે,ચોમાસા દરમિયાન જે દુરસ્તી કામ યુદ્ધના ધોરણે હાથ ધરીને જનજીવન પૂર્વવત કરવામાં આવે તે વિષયને સોશિયલ મીડિયા,મીડિયા દ્વારા સકારાત્મક રીતે લોકો સુધી પહોંચે તે પણ જરૂરી છે.
ઊર્જા વિભાગ સેટેલાઈટ ફોન સહિત પૂરતા સાધનો સાથે સજ્જ
મુખ્યમંત્રીએ ભારે વરસાદને કારણે હાઇવે -માર્ગોને નુકસાન થાય તો તાકીદે રીપેરીંગ કરવા સાથે વૈકલ્પિક રૂટ તૈયાર રાખવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.રાજ્યના નાના પુલ -કોઝ-વેનું 90 ટકા પ્રિ- મોનસુન ઇન્સ્પેક્શન થઈ ગયું છે તેમ આ બેઠકમાં માર્ગ મકાન સચિવે જણાવ્યું હતું.
વરસાદી સ્થિતિમાં વીજ પુરવઠાને અસર પડે તો તાત્કાલિક તે પૂર્વવત થાય એ માટે ઊર્જા વિભાગ સેટેલાઈટ ફોન સહિત પૂરતા સાધનો અને મેનપાવરથી સુસજ્જ છે તેમ ઊર્જાના અધિક મુખ્ય સચિવ એસ.જે.હૈદરે જણાવ્યું હતું. મુખ્ય સચિવ પંકજ જોશીએ જિલ્લાઓમાં કંટ્રોલ રૂમ સતત કાર્યરત રહે તે માટે તેમજ દરેક જિલ્લાની જરૂરિયાત મુજબ તેમને સાધન-સામગ્રી કે અન્ય મદદ મળે તે જોવા સંબંધિત વિભાગોને સૂચનો કર્યા હતા.
અહિંસા અને શાકાહાર ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે, તબીબ ક્ષેત્રે અને સમાજ સેવા ક્ષેત્રે એમ ૪ કેટેગરીમાં અપાય છે ‘ભગવાન મહાવીર એવોર્ડ’
‘૨૯માં મહાવીર એવોર્ડ’ માટે ઈચ્છુક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. આ અરજી આગામી ૩૦ જુલાઈ ૨૦૨૫ સુધીમાં કરવાની રહેશે.
સામાન્ય વહિવટ વિભાગ તથા મહેસૂલ વિભાગ, ગાંધીનગર, ગુજરાત સરકાર, દર વર્ષની જેમ આ વર્ષે પણ ‘ભગવાન મહાવીર એવોર્ડ’ આપવામાં આવનાર છે.
આ એવોર્ડ ૧. અહિંસા અને શાકાહાર ક્ષેત્રે, ૨. શિક્ષણ ક્ષેત્રે, ૩. તબીબ ક્ષેત્રે અને ૪. સમાજ સેવા ક્ષેત્રે એમ ૪ કેટેગરીમાં આપવામાં આવે છે.
જે અંગેની તમામ વિગતો www.bmfawards.org પરથી મેળવી શકાશે. જેથી ૩૦ જુલાઈ ૨૦૨૫ સુધીમાં nominations.bmfawards@gmail.com પર નોમિનેશન કરવા મોરબ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
મોરબીના રવાપર- ધૂનડા રોડ પર રહેતા વેપારીને જૂના ધંધાના પૈસાની લેતી- દેતીના મામલે ડીવાયએસપીની ખોટી ઓળખ ફોન પર આપી 3 શખ્સોએ ડરાવી- ધમકાવી રૂૂા. 30 હજાર ગુગલ પે કરાવી લેતા આ અંગે મોરબી સિટી બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવાતા તપાસ હાથ ધરાઇ છે.
મોરબીના રવાપર-ધૂન રોડ પર રહેતા વેપારી અમીતકુમાર દલીચંદભાઇ વરમોરા (ઉ.વ.39) મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ હરીગુણ બિઝનેસ સેન્ટરમાં હરેક્રિષ્ના માર્કેટિંગ નામની ઓફિસમાં વર્ષ 2023માં કોલસાની લે-વેચનો ધંધો કરતા ત્યારે તેમની બાજુમાં દિલીપભાઈ વાઘજીભાઈ જીવાણી (રહે. વિજયનગર-મોરબી) પણ કોલસાનો ધંધો કરતા.
વેપારીએ ધંધા પેટે નાણાકીય વ્યવહાર કર્યો હોઇ દિલીપભાઈ પાસે રૂૂા. 10.69 લાખની રકમ લેવાની નીકળતી હતી. આ બાકી કમ લેવા માટે વેપારીએ દિલીપભાઈને ફોન કરતા હતા. દરમિયાન વેપારીને દિલીપભાઈ રૂૂબરૂૂ મળ્યા ત્યારે ધમકી આપી હતી કે કેમ તું મારી પાસે રૂૂપિયા માંગે છે.
હવે જો મને ફોન કરીશ તો હું જ તને ખોટા ગુનામાં ફસાવી દઇશ અને હવે તને કોનો ફોન આવે છે તેની સાથે તું વાત કરી લેજે.બાદમાં થોડા દિવસો પછી વેપારીના મોબાઇલ પર એક શખ્સનો કોલ આવ્યો હતો અને કહ્યું હતું કે હું ડીવાયએસપી બોલું છું. તારે અને દિલીપને રૂૂપિયાની લેતી-દેતી જે હોય તે મને કહેજે.
હું પુરું કરાવી દઇશ. બાદમાં અવારનવાર ડીવાયએસપી બોલું છું કહી ફોન આવતા. અને બાદમાં એક મોબાઇલ નંબર આપ્યો હતો. આ મોબાઇલ નંબર પરથી વેપારીને ફોન આવ્યો હતો અને 30 હજાર ગુગલ પે કરવાનું કહેતા વેપારીએ ગુગલ પે કરી દીધા હતા.
બાદમાં વેપારીને શંકા જતા તેણે તપાસ કરતાં દિલીપ જીવાણીના કહેવાથી તેના મિત્ર હિતેશભાઈ કેશવજીભાઈ કામરીયા (રહે. હાલ મોરબી)એ ડીવાયએસપી તરીકેની ખોટી ઓળખ આપી અને તેની સાથે કામ કરતા હિમાંશુભાઈ ભટ્ટે ફોન કરી રકમ ગુગલ પે કરાવી લીધી હોવાનું ખુલતા ત્રણેય સામે ફરિયાદ નોંધાવતા તપાસ હાથ ધરાઇ છે.
મોરબી જીલ્લાના સરકારી કર્મચારી તલાટી મંત્રીઓ ખાનગી ઓફીસ ચલાવે છે અને વકીલોના તમામ પ્રકારના કાર્ય કરતા હોય છે જે બંધ કરવા અને ખાનગી કાર્ય કરવા બદલ તાત્કાલિક પગલા લેવા રેવન્યુ બાર એસો દ્વારા માંગ કરવામાં આવી છે.
મોરબી રેવન્યુ બાર એસોના સભ્યોએ આજે જીલ્લા વિકાસ અધિકારીને આવેદન પાઠવી જણાવ્યું છે કે મોરબી જીલ્લામાં આપના કાર્યક્ષેત્રમાં આવતા બધા તલાટી મંત્રીઓ સરકારનો ખોટો ગેરકાયદેસર પગાર મેળવે છે અને ખાનગી ઓફીસ ચલાવી ખુબ આવક મેળવતા હોવાનું ધ્યાને આવ્યું છે
સરકાર તરફથી નિમણુક કરેલ તલાટી કમ મંત્રીઓ ખાનગી ઓફીસ અને ખાનગી કામ કરી ખુબ આર્થી રીતે સુખી સંપન્ન થઇ ગયા છે જો સરકાર તરફથી આપવામાં આવેલ પગાર અને ખર્ચની તપાસ કરવામાં આવે તો સીધી રીતે સ્પષ્ટ ખ્યાલ આવી સકે તેમ છે તલાટી કમ મંત્રીઓ ખાનગી ઓફીસ કરીને વારસાઈ આંબા, વારસાઈ એન્ટ્રી, હક કમી વહેચણી, સુધારા વધારાના કાર્ય, નાની મોટી અપીલ કાર્ય, ગ્રામ્ય વેચાણ વ્યવહારના દસ્તાવેજ અને નોંધો, જન્મ મરણ સહિતના કાર્ય ખાનગી સમજી લીધા હોય તેમ લાગે છે.
અરજીથી તલાટી કમ મંત્રીઓને ખ્યાલ આવે કે સરકારી કામકાજમાં ના આવે એ ખાનગી કાર્યમાં આવે જે કાર્ય ખાનગી ઓફિસે કરવા ગુનો છે જે કાર્ય વકીલની પ્રેક્ટીસ કરતા વ્યક્તિના હોય, સરકારી કામકાજ માટે તલાટી કમ મંત્રીઓ પાસે સમય નથી સરકારી કચેરી એ ખાનગી ઓફિસે બેઠા કાર્ય કરવું, અરજદારના સીધા કાર્ય કરવા, સરકારી કાર્યથી દુર રહી તે ગુનાહિત કૃત્ય ગણાય કચેરીના સમયે અરજદાર બહાર તડકે બેસી સાહેબની રાહ જોતો રહે છે અને સાહેબ દસ્તાવેજ નોંધાવતા હોય છે જે તલાટી કમ મંત્રીઓનું બિલકુલ ખરું કાર્ય નથી
વધુમાં જણાવ્યું છે કે વિમલ ચંદ્રાલા, મેહુલ ઉધરેજા, બળદેવ ક્ચરોલા, આરીફ મન્સૂરી, નીલેશ દેસાઈ, સંદીપ દેત્રોજા, કેતન વડાવીયા, ઉમેશ ચંદ્રાસારા સહિતના તેમજ ટંકારાના દિવ્યેશ રાજકોટિયા, યોગેશ દેત્રોજાની પર્સનલ રેવન્યુ કાર્ય માટેની અને દસ્તાવેજ કાર્યી ઓફીસ છે.
સરકારી કાર્ય કરવામાં જરા પણ રસ ના હોય ખાનગી કાર્યમાં ખુબ મોટો રસ ધરાવતા હોય જે મોરબી રેવન્યુ બાર એસોને ધ્યાને આવેલ છે જેથી ખાનગી કાર્ય બંધ કરવા આદેશ આપવા માંગ કરી છે અને ખાનગી કાર્ય 15 દિવસમાં બંધ નહિ કરે તો મોરબી રેવન્યુ બાર એસો આગળની કાર્યવાહીના આકરા પગલા લેવાની ફરજ પડશે તેમ જણાવ્યું છે.
ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગ હવે એક AI ટીમ બનાવી રહ્યા છે જે સુપરઇન્ટેલિજન્સ ટેકનોલોજી પર કામ કરશે જે માનવ જેટલી જ બુદ્ધિશાળી હશે કે તેનાથી પણ વધુ બુદ્ધિશાળી હશે. મેટાનો હેતુ AGI એટલે કે આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સનો વિકાસ છે, જે ભવિષ્યમાં ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.
દુનિયામાં ટેકનોલોજીની ગતિ હવે એટલી ઝડપી બની ગઈ છે કે માનવીની જેમ વિચારતી AI સિસ્ટમ્સ બનાવવાના પ્રયાસો શરૂ થઈ ગયા છે. હવે ફેસબુક (મેટા) ના માલિક માર્ક ઝુકરબર્ગ પોતે આ દિશામાં એક મોટું પગલું ભરી રહ્યા છે. મેટા એક સુપરઇન્ટેલિજન્સ AI ટીમ બનાવવાની તૈયારી કરી રહ્યું છે જેના માટે માર્કે પણ ભરતી કરવાનું શરૂ કર્યું છે.
બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, માર્ક ઝુકરબર્ગ એક નવી AGI ટીમ બનાવી રહ્યા છે, જેમાં લગભગ 50 AI નિષ્ણાતોનો સમાવેશ થશે. આ ટીમમાં જોડાવા માટે વિશ્વના ટોચના સંશોધકો અને ઇજનેરોની પસંદગી કરવામાં આવી રહી છે. આ ટીમનું નેતૃત્વ એક નવા AI સંશોધન વડા દ્વારા કરવામાં આવશે, જેની જવાબદારી મેટાને AI ની દુનિયામાં મોખરે લાવવાની રહેશે.
AGI ટીમ શું છે? AGI એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જનરલ એ એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમ છે જે માણસોની જેમ સમજણ, તર્ક અને વિચારસરણી કરી શકે છે. તે ફક્ત પ્રશ્ન-જવાબ ચેટબોટ નથી, પરંતુ તે એક એવું AI હશે જે માણસોની જેમ પોતાની રીતે વિચારીને કોઈપણ જટિલ કાર્ય કરી શકે છે. મેટાનું નવું મિશન આ દિશામાં છે કે તે એક એવું સુપરઇન્ટેલિજન્ટ AI બનાવે છે જે માણસોની બરાબર હોય અથવા તેમના કરતા પણ સારું હોય.
10 અબજ ડોલરનું મોટું રોકાણ: આ મિશનને સફળ બનાવવા માટે, ઝકરબર્ગ સ્કેલ AI નામની કંપનીમાં ૧૦ અબજ ડોલર (૮૦,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ)નું રોકાણ કરવા જઈ રહ્યા છે. સ્કેલ AIના સ્થાપક એલેક્ઝાન્ડર વાંગ પણ આ પ્રોજેક્ટમાં જોડાઈ શકે છે અને AGI ડેવલપમેન્ટ ટીમનો ભાગ બની શકે છે.
ઝુકરબર્ગ પોતે કેમ આગળ આવ્યા? મેટાએ તાજેતરમાં તેનું નવું LLaMA 4 મોડેલ લોન્ચ કર્યું છે, જે એક મોટું ભાષા આધારિત AI મોડેલ છે. પરંતુ મેટા પોતે આ મોડેલના પ્રદર્શનથી ખુશ નથી. બ્લૂમબર્ગના મતે, ઝકરબર્ગ થોડા નારાજ છે કે તેના AI મોડેલને અપેક્ષા મુજબ ઓળખ મળી નથી. આ જ કારણ છે કે તેઓ હવે આ પ્રોજેક્ટનું નેતૃત્વ પોતે કરી રહ્યા છે.
બેહેમોથ મોડેલનું લોન્ચિંગ મુલતવી રાખવામાં આવ્યું: વોલ સ્ટ્રીટ જર્નલમાં પ્રકાશિત થયેલા એક અહેવાલમાં જણાવાયું છે કે મેટાએ તેના સૌથી મોટા અને સૌથી અદ્યતન AI મોડેલ બેહેમોથનું રિલીઝ પણ મુલતવી રાખ્યું છે. આનું કારણ આ મોડેલની ક્ષમતા અને સંભવિત જોખમો અંગે ઉભા થયેલા પ્રશ્નો હતા. આને કારણે, ઝકરબર્ગ અને મેટાના સમગ્ર આયોજન પર પુનર્વિચાર કરવામાં આવી રહ્યો છે.
મેટાની કઠિન સ્પર્ધા: મેટા એકમાત્ર એવી કંપની નથી જે AGI ની દિશામાં ઝડપથી કામ કરી રહી છે. OpenAI (ચેટજીપીટી બનાવતી કંપની), ગૂગલ ડીપમાઇન્ડ અને એન્થ્રોપિક જેવી કંપનીઓ પણ માનવ જેવી AI સિસ્ટમ્સ પર કામ કરી રહી છે. દરેક કંપની પહેલા એવી AI બનાવવાનો પ્રયાસ કરી રહી છે જે ફક્ત આદેશોનું પાલન જ નહીં કરે, પરંતુ પોતાની રીતે વિચારી, સમજી અને નિર્ણય પણ લઈ શકે.
મોરબીના પર્યાવરણ પ્રેમી જીતુભાઈ ઠક્કર દ્વારા મહા નગરપાલિકાને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે કે, મોરબી સીટી વિસ્તારમાં રોડ સાઈડમાં જે કોઈ વૃક્ષો હતા તે કોઈને કોઈ રીતે બળી ગયા છે કે કાપી નાખવામાં આવેલા છે.માટે શહેરની મધ્યમાં વૃક્ષો વાવવા જોઈએ અને તેનો યોગ્ય રીતે ઉછેર થાય અને વૃક્ષો મોટા થાય તેવા પણ સઘન પ્રયત્નો કરવા જોઈએ.
જીતુભાઈ ઠક્કર દ્વારા મહા નગર પાલીકાના કમિશનરને પત્ર લખીને જણાવવામાં આવેલ છે કે, મોરબી શહેરમાં શનાળા રોડ, રવાપર રોડ અને વાવડી રોડ ઉપર અગાઉ વાવેલા અને ઉછરી ગયેલા વૃક્ષો વિવિધ કારણોસર એટલે કે સુકાઈ જવાથી, રોડ રસ્તાના પેવર કામ દરમ્યાન અડચણરૂપ થતા કાઢી નાંખવા વિગેરે કારણોસર હાલમાં મોજુદ નથી.! જેમ કે નવા બસ સ્ટેન્ડથી આગળ જીઆઈડીસી પાસે પેવર બ્લોક કામ દરમ્યાન આયુર્વેદિક મહત્તા ધરાવતું નગોડનું વૃક્ષ કોઈએ કાઢી નાંખ્યું.
આપણે સૌ જાણીએ છીએ તેમ હાલ પર્યાવરણ સુરક્ષા તરફના દુર્લક્ષની દુરોગામી અસરોને લીધે આપણે સૌ અતિ ભારે ગરમીનો સામનો કરી રહ્યા છીએ.વળી હાલમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ હાલમાં “એક પેડ માઁ કે નામ” અંતર્ગત અભિયાન ચલાવવામાં આવે છે.
જે અનુસંધાને ઉપર દર્શાવેલ દરેક સ્થળોએ ફરી વૃક્ષો વાવીને ભવિષ્યમાં તે વૃક્ષોને કોઈપણ બહાના હેઠળ દૂર ન કરવામાં આવે તેવું આયોજન અને અમલીકરણ તંત્ર દ્રારા કરાવવામાં આવે તે જરૂરી બન્યુ છે.
સરદાર સરોવર ડેમમાં હાલ 53 ટકાથી વધુ પાણીનો જથ્થો છે. ચોમાસાની શરૂઆત પહેલા રાજ્યમાં હાલની સ્થિતિએ સરદાર સરોવર સહિત 207 જળાશયોમાં 44 ટકાથી વધુ જળ સંગ્રહ છે. ગત વર્ષે આ સમયે રાજ્યના 207 જળાશયોમાં 40.81 ટકા જળ સંગ્રહ હતો.
ચાલુ વર્ષે આગામી દિવસોમાં ચોમાસાનું ગુજરાતમાં આગમન થવા જઈ રહ્યું છે ત્યારે ગત વર્ષે સાર્વત્રિક અને પૂરતા પ્રમાણમાં વરસાદ થયો હોવાના પરિણામે હાલની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના 207 જળાશયોમાં કુલ સંગ્રહશક્તિના 44.18 ટકા જળ સંગ્રહ છે.
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં કુલ સંગ્રહશક્તિના 53.04 ટકા પાણી ઉપલબ્ધ છે. જેમાંથી આગામી સમયમાં નાગરિકોને જરૂરી પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે. ગત વર્ષે આ સમયે એટલે કે, તા. 10 જૂન-2024ની સ્થિતિએ રાજ્યના 207 જળાશયોમાં 40.81 ટકા જળ સંગ્રહ હતો તેમ જળ સંપત્તિ વિભાગ ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
વધુમાં મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં સૌથી વધુ 44.08 ટકા જળ સંગ્રહ, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 43.25 ટકા જળ સંગ્રહ, ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 29.38 ટકા, સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 28.10 ટકા અને કચ્છના 20 જળાશયોમાં 27.57 ટકાથી વધુ જળ સંગ્રહ ઉપલબ્ધ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં અને જળ સંપત્તિ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા તેમજ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના નેતૃત્વમાં સરકારે સુજલામ સુફલામ જળસંચય અભિયાન, નલ સે જલ અભિયાન જેવા જળ સંચયના અનેક અભિયાનો શરૂ કર્યા હોવાથી જળ વ્યવસ્થાપન ક્ષેત્રે ગુજરાત આત્મનિર્ભર બન્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલા ‘કેચ ધ રેઈન’ના આહ્વાનને સાકાર કરવા ગુજરાતમાં ‘કેચ ધ રેઈન- સુજલામ સુફલામ જળ અભિયાન 2.0’નો મહેસાણાના દવાડાથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો.
આ સિવાય સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા ધોળીધજા તેમજ મોરબીના મચ્છુ-3 જળાશયમાં હાલ 91 ટકાથી વધુ પાણી ઉપલબ્ધ છે. જ્યારે કચ્છના કાલાઘોઘા જળાશયમાં 82 ટકાથી વધુ, રાજકોટના ભાદર-2માં 77 ટકાથી વધુ, છોટા ઉદેપુરના સુખી જળાશયમાં 74 ટકાથી વધુ તેમજ રાજકોટના આજી-2માં 73 ટકાથી વધુ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે.
જ્યારે રાજ્યના 06 જળાશયો 70 થી 100 ટકા, 20 જળાશયો 50 થી 70 ટકા તેમજ 71 જળાશયો 25 થી 50 ટકા વચ્ચે ભરાયેલા છે. જેના પરિણામે ઉનાળા દરમિયાન પણ રાજ્યમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં નાગરિકોની જરૂરિયાત મુજબ પૂરતા પ્રમાણમાં પાણી પૂરું પાડવામાં આવ્યું છે તેમ, યાદીમાં વધુમાં જણાવાયું છે.
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ નવી ટોલ પોલિસીની જાહેરાત કરી છે. નવી ટોલ પોલિસીમાં ટોલ કલેક્શનને સેટેલાઈટ સાથે જોડવામાં આવશે. જો ફાસ્ટેગ કામ નહીં કરે તો ટોલ પ્લાઝા પર લાગેલા કેમેરા તમારી નંબર પ્લેટ વાંચશે અને સીધા એકાઉન્ટમાંથી જ ટોલ ટેક્સના રૂપિયા કપાઈ જશે.
New FASTag Rules: દેશમાં ટૂંક સમયમાં નવી ટોલ પોલિસી લાગુ થવા જઈ રહી છે. નવી ટોલ પોલિસીમાં તમારે ફાસ્ટેગની ચિંતા કરવાની પણ જરૂર નહીં પડે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટોલ કલેક્શનને સેટેલાઈટ સાથે જોડવામાં આવશે. જો ફાસ્ટેગ કામ નહીં કરે તો ટોલ પ્લાઝા પર લાગેલા કેમેરા તમારી નંબર પ્લેટ વાંચશે અને સીધા એકાઉન્ટમાંથી જ ટોલ ટેક્સના રૂપિયા કપાઈ જશે. એટલું જ નહીં હાઈવે પર જેટલી ગાડી ચાલશે, માત્ર એટલાનો તમારી પાસેથી ટોલ ટેક્સ લેવામાં આવશે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જે નવી ટોલ પોલિસીની જાહેરાત કરી છે, તેમાં બીજી પણ ઘણી સુવિધાઓ છે. જેના વિશે અમે આપને જણાવીશું.
આ પોલિસી હેઠળ મુસાફરો હવે ઓછા ખર્ચે નેશનલ હાઈવે પર મુસાફરી કરી શકશે, સાથે જ ટોલ પ્લાઝા પર લાગતી ભીડથી પણ રાહત મળશે. આમાં ઘણી નવી સુવિધાઓ ઉમેરવામાં આવી રહી છે, જેમાં વાર્ષિક અને લાઈફટાઈમ પાસ, કિલોમીટરના આધારે ટોલ અને કોઈ અડચણ વગર ટોલ વસૂલી જેવી જોગવાઈઓનો સમાવેશ થાય છે. આ નીતિ ખાસ કરીને એવા લોકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે, જેઓ રોજિંદા અથવા અવાર-નવાર નેશનલ હાઈવેનો ઉપયોગ કરે છે.
હાલમાં એક ટોલ પ્લાઝાના માસિક પાસની કિંમત લગભગ 340 રૂપિયા છે, એટલે વર્ષના 4,080 રૂપિયા. જ્યારે નવી પોલિસી હેઠળ માત્ર 3,000 રૂપિયામાં આખા વર્ષ દરમિયાન કોઈપણ નેશનલ હાઈવે પર અનલિમિટેડ મુસાફરી કરી શકાશે. આ ફેરફારથી ખાસ કરીને પ્રાઈવેટ ગાડીઓના માલિકોને સૌથી વધુ ફાયદો થશે, કારણ કે તેઓ ટોલ ટ્રાફિકનો 60% હિસ્સો છે, જ્યારે કુલ ટોલ આવકમાં તેમનું યોગદાન માત્ર 21% છે.
સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, મે 2025થી આખા દેશમાં સેટેલાઈટ આધારિત ટોલિંગ લાગુ કરવામાં નહીં આવે. તેના બદલે, કેટલાક ચોક્કસ હાઈવે પર ANPR (ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન) ટેકનોલોજી અને FASTagના સંયોજનથી ‘બેરિયર-ફ્રી ટોલ સિસ્ટમ’ લાગુ કરવામાં આવશે. આમાં ટોલ પ્લાઝા પર ઉભા રહેવું નહીં પડે, કેમેરા વાહનની નંબર પ્લેટ સ્કેન કરશે અને ટોલ ટેક્સ આપોઆપ કપાઈ જશે. આ સિસ્ટમ બેંગલુરુ-મૈસૂર અને પાનીપત-હિસાર જેવા માર્ગો પર પાયલટ પ્રોજેક્ટ તરીકે પહેલેથી જ સફળતાપૂર્વક ચલાવવામાં આવી ચૂકી છે.
આ સાથે જ એક અન્ય મોટો ફેરફાર એ છે કે ખાનગી વાહનો માટે રોજનું 20 કિલોમીટર સુધીનું અંતર ટોલ-ફ્રી રાખવામાં આવ્યું છે. એટલે કે જો કોઈ વ્યક્તિ રોજ 20 કિલોમીટર કે તેનાથી ઓછી મુસાફરી કરે છે, તો તેમને ટોલ ટેક્સ ચૂકવવો નહીં પડે. આ નીતિનો ઉદ્દેશ ટૂંકા અંતરની મુસાફરી કરતા લોકો, ખાસ કરીને હાઈવે નજીક રહેતા લોકોને રાહત આપવાનો છે.
2008ના નિયમને પણ કડકતાથી લાગુ કરશે
નવી નીતિ હેઠળ સરકાર 2008ના તે નિયમને પણ કડકતાથી લાગુ કરવા જઈ રહી છે, જે મુજબ બે ટોલ પ્લાઝા વચ્ચે ઓછામાં ઓછું 60 કિમીનું અંતર હોવું જોઈએ. અત્યાર સુધી આ નિયમની અવગણના થતી હતી, જેના કારણે મુસાફરોને થોડા અંતરે ટોલ ટેક્સ ચૂકવવો પડતો હતો. આ ઉપરાંત સરકારે એમ પણ જણાવ્યું છે કે ટોલ ટેક્સને લગતી લોકોની ફરિયાદોને તાત્કાલિક ઉકેલવા માટે નવી ગ્રીવન્સ રિડ્રેસલ સિસ્ટમ તૈયાર કરવામાં આવી રહી છે. આમાં ટોલ ટેક્સને લગતી તમામ ફરિયાદોને ઝડપથી ઉકેલવામાં આવશે. આ સાથે ‘એક વાહન, એક FASTag’ નીતિને કારણે હવે દરેક વાહન માટે માત્ર એક જ માન્ય FASTag રહેશે, જેનાથી ગેરરીતિઓ પર લગામ લાગશે.
ભારતમાં ટોલ કલેક્શન સતત વધી રહ્યું છે. નાણાકીય વર્ષ 2024માં ટોલ ટેક્સથી 64,810 કરોડ રૂપિયાની આવક થઈ, જે ગયા વર્ષના 48,028 કરોડ રૂપિયાથી 35% વધુ છે. ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન આ મામલે સૌથી આગળ છે. આ આવક ભારતમાલા પરિયોજના જેવી રાષ્ટ્રીય યોજનાઓમાં લગાવવામાં આવી રહી છે, જેમાં અત્યાર સુધી 18,700 કિમી રસ્તાઓનું નિર્માણ થઈ ચૂક્યું છે. નીતિન ગડકરીનો દાવો છે કે આગામી બે વર્ષમાં ટોલથી થનારી આવક ₹1.40 લાખ કરોડ સુધી પહોંચી શકે છે, જેનાથી લગભગ ₹5 લાખ કરોડની નવી પરિયોજનાઓને ગતિ મળશે.